આઇસીસી વિમેન્સ બેટિંગ ક્રમાંકમાં સ્મૃતિ મંધાના ફરીથી મોખરે
૨૦૧૯ બાદ ભારતીય ક્રિકેટર પહેલી વાર આઇસીસી ક્રમાંકમાં મોખરે પહોંચી
ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે અને તે ગૃહટીમ સામે પાંચ ટી૨૦ અને ત્રણ વન-ડે ઇન્ટરનેશનલ મેચની સિરીઝ રમશે
દુબઈ,ભારતની સ્ટાર ક્રિકેટર અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના ફરી એક વાર આઇસીસી વિમેન્સ વન-ડે ક્રિકેટના બેટિંગ ક્રમાંકમાં મોખરાના ક્રમે પહોંચી ગઈ છે. આઇસીસીએ મંગળવારે જારી કરેલા ક્રમાંકમાં મંધાનાએ સારી પ્રગતિ કરી હતી. ૨૦૧૯ બાદ મંધાના પહેલી વાર આ ક્રમે પહોંચી છે. સાઉથ આળિકન બેટર અને કેપ્ટન લૌરા વોલ્વાર્ડે ૧૯ રેટિંગ પોઇન્ટ ગુમાવતાં તેનું સ્થાન મંધાનાએ હાંસલ કરી લીધું હતું. મંધાનાએ આ ગાળામાં ૭૨૭ રેટિંગ પોઇન્ટ મેળવ્યા હતા. ત્યાર પછીના ક્રમે ઇંગ્લેન્ડની કેપ્ટન નાતાલી સિવર-બ્રન્ટ આવે છે જે ૭૧૯ પોઇન્ટ ધરાવે છે.
આઇસીસીએ જારી કરેલી વિમેન્સ વન-ડે ક્રમાંકની યાદીમાં મંધાના બાદ ભારતની બે ક્રિકેટર સામેલ છે જેમાં જેમિમાહ રોડ્રિગ્સ ૧૪મા ક્રમે અને કેપ્ટન હરમનપ્રિત કૌર ૧૫મા ક્રમે છે.ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે અને તે ગૃહટીમ સામે પાંચ ટી૨૦ અને ત્રણ વન-ડે ઇન્ટરનેશનલ મેચની સિરીઝ રમશે. આ દરમિયાન મોખરાના બે ક્રમની ખેલાડીઓ મંધાના અને સિવર-બ્રન્ટ રમવાની છે. આમ આ સિરીઝ દરમિયાન બંનેના પ્રદર્શન પરથી તેમના ક્રમાંક પર અસર પડી શકે છે.તાજેતરમાં મંધાનાએ વન-ડે ક્રમાંકમાં ટોપ-૧૦માં તો સ્થાન હાંસલ કરી લીધું હતું પરંતુ ભારતના આ સૌથી સફળ લેફ્ટ હેન્ડ બેટર ૨૦૧૯માં મોખરે પહોંચ્યા બાદ છ વર્ષના લાંબા ગાળા બાદ પહેલી વાર આ સ્થાને પહોંચી શકી છે.
ભારતીય ઓપનરે તાજેતરમાં શાનદાર બેટિંગ કરી છે. તેણે ભારત, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રિકોણીય વન-ડે સિરીઝની ફાઇનલમાં કોલંબો ખાતે સદી ફટકારી હતી. આ ઉપરાંત સ્મૃતિ મંધાના ટી૨૦ ક્રમાંકમાં પણ ચોથા ક્રમે છે. મંધાનાએ તેની વન-ડે કારકિર્દીમાં અત્યાર સુધીમાં ૧૧ સદી ફટકારેલી છે. બીજી તરફ વોલ્વાર્ડનું પ્રદર્શન તાજેતરમાં કથળ્યું હતું અને વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સિરીઝમાં તે સાઉથ આફ્રિકા માટે ૨૭ અને ૨૮ રનના સામાન્ય સ્કોર નોંધાવી શકી હતી.ss1