ગુજરાત યોગ બોર્ડના સફળ છ વર્ષ: 1.5 લાખ પ્રશિક્ષકોને તાલીમ, 5000થી વધુ દૈનિક સત્રો, 5 લાખથી વધુ નાગરિકો નિયમિત યોગાભ્યાસ કરતા થયા

File Photo
ગુજરાત યોગ બોર્ડના નામે છે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ: એક યોગ સત્રમાં 1,47,952 લોકોએ ભાગ લીધો, 50,000થી વધુ લોકોએ કર્યા સૂર્ય નમસ્કાર
Ahmedabad, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશીના પરિણામે આપણી પ્રાચીન પરંપરા સમા યોગને આજે વૈશ્વિક ઓળખ મળી છે. વડાપ્રધાનશ્રીના પ્રસ્તાવ બાદ 2014થી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો અને વિશ્વભરના લોકોએ યોગને તેમના દૈનિક જીવનમાં અપનાવ્યું. ગુજરાત રાજ્યમાં યોગની પરંપરાને આગળ વધારવામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GSYB)નો ફાળો ખૂબ મહત્વપૂર્ણ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ 21 જૂને 6 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. 21 જૂન, 2019ના રોજ સ્થાપના થઈ ત્યારથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજ્યના નાગરિકોની આરોગ્ય અને સુખાકારી સુનિશ્ચિત કરી રહ્યું છે.
‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને સાકાર કરવામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની નોંધનીય ભૂમિકા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડે તેની સ્થાપનાના 6 વર્ષમાં જ અભૂતપૂર્વ સીમાચિહ્નો હાંસલ કર્યા છે. માર્ચ 2025 સુધીમાં GSYBએ 1.5 લાખથી વધુ યોગ પ્રશિક્ષકોને તાલીમ આપી છે અને 1,500થી વધુ પ્રોફેશનલ કૉચને પ્રમાણિત કર્યા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સમર્પિત પ્રયાસોના પરિણામે રાજ્યભરમાં 5,000થી વધુ સ્થળોએ દૈનિક યોગાભ્યાસની એક પ્રથા શરૂ થઈ છે અને 5 લાખથી વધુ નાગરિકોને તેનો લાભ મળી રહ્યો છે. યોગના વારસા દ્વારા નાગરિકોનો વ્યક્તિત્વ વિકાસ સુનિશ્ચિત કરીને GSYB વડાપ્રધાનશ્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને સાકાર કરવામાં ખૂબ નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નામે નોંધાયા છે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
યોગને જીવનશૈલીનો ભાગ બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે શરૂ કરેલા અભિયાનને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પ્રાપ્ત થઈ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 નિમિત્તે ગુજરાત યોગ બોર્ડ દ્વારા સુરતમાં આયોજિત યોગ સત્રમાં 1,47,952 લોકોએ ભાગ લીધો હતો. વિશ્વમાં આટલી બહોળી સંખ્યામાં લોકોએ યોગાભ્યાસ કર્યો હોય તેવું આ પહેલીવાર થયું હતું અને આ વિક્રમ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો હતો.
ત્યારબાદ 1 જાન્યુઆરી, 2024ના રોજ બીજો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જેમાં 50,000થી વધુ લોકોએ પ્રતિષ્ઠિત મોઢેરા સૂર્ય મંદિર સહિત 108 સ્થળોએ એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા. ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ શિબિર અને યોગોત્સવ-2023 જેવા કાર્યક્રમોમાં અમદાવાદ, વડોદરા અને અનેક ગ્રામીણ વિસ્તારોમાંથી લાખો લોકોએ ભાગ લીધો છે. આ ઉપરાંત, વિશેષ સમર કેમ્પના માધ્યમથી બાળકોને યોગનો પરિચય થયો છે અને બાળપણથી જ સ્વસ્થ દિનચર્યા કેળવવાનું પ્રોત્સાહન મળ્યું છે.
‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાનમાં GSYBની મહત્વપૂર્ણ ભૂમિકા
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શરૂ થયેલ ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાનમાં ગુજરાત યોગ બોર્ડની ભૂમિકા મહત્વની છે. ગુજરાત યોગ બોર્ડ અંતર્ગત યોગાભ્યાસ દ્વારા દીપ્તિબેન ધોળકિયાએ ચાર મહિનામાં 15 કિલો વજન ઘટાડ્યું છે. લોકોની સુખાકારીમાં વધારો કરવાની સાથે ગુજરાત યોગ બોર્ડ 5,000 ટ્રેનર્સને માસિક સ્ટાઇપેન્ડ આપીને નિયમિત રોજગારી પણ સુનિશ્ચિત કરી રહ્યું છે. યોગ વ્યાવસાયિકોને પ્રમાણિત કરવા માટે GSYBને યોગ પ્રમાણપત્ર બોર્ડ દ્વારા સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે, જે તાલીમની ગુણવત્તા સુનિશ્ચિત કરે છે.
GSYB ગુજરાતને આધ્યાત્મિક અને સુખાકારીનું કેન્દ્ર બનાવવા માટે પ્રતિબદ્ધ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં યોગનો પ્રસાર કરવાનું, દૈનિક 50,000 વર્ગો અને 10 લાખ પ્રેક્ટિશનરોને તાલીમ આપવાનું લક્ષ્ય ધરાવે છે. આ ઉપરાંત, GSYB રાજ્યમાં 51 સ્થળોએ “યોગ નિલયમ” સ્ટુડિયો સ્થાપિત કરવાની યોજના પણ ધરાવે છે. અડધા દાયકાથી વધુ સમયથી કાર્યરત ગુજરાત યોગ બોર્ડ લોકોના આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપીને ગુજરાતને આધ્યાત્મ અને સુખાકારીનું કેન્દ્ર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.