ઉદેપુરના જોશી પરિવારને અમદાવાદમાં જ અંતિમક્રિયા કરવી પડી

પિતાએ દીકરીનું અને દાદા-દાદીએ પૌત્રોનું મોઢું જોવા આગ્રહ કરતાં કરૂણ દૃશ્યો સર્જાયા
(એજન્સી)ગાંધીનગર, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનારાના મૃતદેહો પરિવારને સોંપતી વેળાએ હૃદય કંપાવી નાંખતા દૃશ્યો ઉભરી આવ્યા છે.
મંગળવારે રાજસ્થાનના ઉદેપુરના એક જ પરિવારના પાંચ સભ્યોના ક્ષતવિક્ષત મૃતદેહોના કોફિન સોંપતી વેળાએ પિતાએ પોતાની વ્હાલસોયી દીકરીનું અને વૃદ્ધ દાદા-દાદીએ પૌત્રી-પૌત્રનું છેલ્લીવાર મોઢું જોવા માટે આગ્રહ કરતાં તેમને સમજાવવામાં એક તબક્કે અધિકારીઓ-સિવિલ સ્ટાફ, સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓથી લઈને સ્વૈÂચ્છક સંગઠનોના કાર્યકરોની આંખો ભીની થઈ ગઈ હતી.
લગભગ પોણા કલાકની સમજાવટ પછી પરિવાર બંધ કોફિનને ન ખોલવા સહમત થતા છેવટે પોલીસ અને અધિકારીઓની સાથે મૃતદેહ સોંપાયા અને અમદાવાદમાં જ અંતિમક્રિયા કરાઈ હતી.
મૂળ રાજસ્થાનના ઉદેપુરના અને યુકેમાં સ્થાયી થયેલા પ્રતિક જોષી, મિરાયા જોષી, નકુલ જોશી, પ્રદ્યુત જોષી અને કોમી વ્યાસ એક જ પરિવારના પાંચ સભ્યો એર ઈન્ડિયાના બોઈંગ ડ્રીમલાઈનર ૭૮૭-૮ના પેસેન્જર હતા.
આ પાંચેયના સાવ ભડથુ થયેલા મૃતદેહો-માનવ અંગોના ડીએનએ રિપોર્ટ એક પછી એક એમ મંગળવારની સવારે આવી ચૂકયા હતા. પાંચેય મૃતદેહને એક સાથે સ્વીકારી શકાય તેના માટે પરિવારજનોએ ઉદેપુરથી વડીલોને સૌથી છેલ્લે અમદાવાદ બોલાવ્યા હતા.
મંગળવારની સાંજે છ વાગ્યા આસપાસ સિવિલ કેમ્પસમાં ૧ર૦૦ બેડની હોસ્પિટલ સામે પોસ્ટમોર્ટમ રૂમ-બિલ્ડીંગમાં રાજસ્થાનના આ પરિવાર હાજર હતો ત્યારે તેમાંથી કોમી વ્યાસના પિતાએ છેલ્લીવાર દીકરીનું મોઢું જોવા, દાદા-દાદીએ પૌત્ર-પૌત્રી મિરાયા-નકુલનું મોઢું જોવા રડતા રડતા લાગણી વ્યક્ત કરતાં વજ્રની છાતી ધરાવતા વ્યક્તિનું કાળજુ કંપાવે સ્થિતિ ઉદભવી હતી. પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ, પ્લેન ક્રેશના મૃતકોની સ્થિતિનું વર્ણન શકય નથી. પહેલાંથી જ અહીં અસહ્ય દુર્ગંધ છે.