Western Times News

Gujarati News

વિદ્યાનગર સોસાયટીમાં વતનમાં ગયેલા વેપારીના બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા

૮.૬૯ લાખના દાગીના ચોરી ફરાર

સીસીટીવીમાં મધરાત્રે ચાર ચોરની અવર જવર કેદ થતાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી તસ્કરો સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે

અમદાવાદ,શહેરના ઉસ્માનપુરાની વિદ્યાનગર સોસાયટીમાં આવેલા એક બંગલોમાં ઘૂસેલા તસ્કરોએ એસીનું આઉટડોર કાઢીને ૧૬ લાખની ચોરીને અંજામ આપ્યો હતો. તેવામાં હવે સાયન્સ સિટી સામે આવેલા સ્વામિનારાયણ મંદિર પાછળના હાર્મની સ્ટેટસ બંગલોઝમાં પણ ચોરીનો બનાવ બનવા પામ્યો છે. અહીં આવેલા એક બંગલોમાં રહેતા વેપારી વતનમાં ગયા હતા ત્યારે બંધ મકાનને ટાર્ગેટ કરીને તસ્કરોએ પાછળના દરવાજામાંથી ઘૂસીને રૂ. ૮.૬૯ લાખની મતાના ૩૪૭ ગ્રામથી વધુના સોનાના દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો.

સોલા પોલીસે ગુનો નોંધી રોડ પરના સીસીટીવી તપાસતા મધરાત્રે ચાર ચોરની અવર જવર દેખાતા તપાસ હાથ ધરી છે. મૂળ સુરેન્દ્રનગરના ભાવેશભાઇ પટેલ વતનમાં ફેક્ટરી ધરાવે છે અને જમીન દલાલીનું કામ કરે છે. ભાવેશભાઇ ત્રણેક વર્ષથી સાયન્સ સિટી સામે આવેલા હાર્મની સ્ટેટસ બંગ્લોઝમાં ભાડે રહે છે. ભાવેશભાઇના પત્ની ભાવનાબેન એક માસ પહેલા સુરેન્દ્રનગર વઢવાણ ખાતે વતનમાં ગયા હતા.

ગત તા.૧૨મીએ ભાવનાબેન પિયર મોરબી ગયા હોવાથી ભાવેશભાઇ તેમને લેવા ગયા હતા અને ત્યાંથી વતન સુરેન્દ્રનગર ગયા હતા. તેવામાં તા.૧૭મીએ ભાવેશભાઇના પાડોશી શ્વેતાબેને ફોન કરીને ઘરનો પાછળનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરી હતી. જેથી ભાવેશભાઇ અને ભાવનાબેન તાત્કાલિક અમદાવાદ આવી ગયા હતા. તેમણે ઘરે પહોંચીને તપાસ કરી તો મકાનના પાછળના દરવાજાની અંદરની સ્ટોપર તૂટેલી હતી. બાદમાં વધુ તપાસ કરી તો તસ્કરોએ ઘરમાં તમામ સામાન વેર વિખેર કરીને ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું.

તસ્કરોએ મંદિરમાં રાખેલા ૮.૬૯ લાખની મતાના ૩૪૭ ગ્રામથી વધુના સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ મામલે સોલા પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી આસપાસના સીસીટીવી તપાસ કરતા રોડ પરના ફુટેજ મળી આવ્યા હતા. જેમાં મધરાત્રે ચાર ચોરની અવર જવર કેદ થતાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી તસ્કરો સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.