અમદાવાદ સિવિલ ખાતે અનેક સેવાભાવી સંસ્થાઓ અને સંગઠનો દ્વારા ૧૨મી જૂનથી ચાલતું સતત સેવાકાર્ય

ભોજન-પાણીથી માંડીને આવશ્યક અન્ય તમામ સહાયતાઓ માટે સંસ્થાઓ અને સંગઠનો સતત સેવારત
Ahmedabad, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હતભાગીઓના પાર્થિવ દેહ અને નશ્વર અવશેષો લેવા આવનારા પરિજનોને મદદરૂપ થવા અને તેમના ભોજન-પાણીથી માંડીને આવશ્યક અન્ય તમામ સહાયતાઓ માટે અનેક સેવાભાવી સંસ્થાઓ અને સંગઠનો દ્વારા ૧૨મી જૂનથી સતત સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે.
આ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક અગ્રણીના જણાવ્યા અનુસાર જેવી તેમને દુર્ઘટનાની જાણ થઈ કે તરત આશરે ૨૦૦ જેટલા સ્વયંસેવકો દ્વારા અલગ-અલગ બે ગ્રૂપમાં ૧૨ જેટલી ટુકડીઓ બનાવીને દુર્ઘટના સ્થળે કાટમાળ હટાવવાથી માંડીને ઇજાગ્રસ્ત અને દાઝેલા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
ત્યારબાદ ત્રણ શિફ્ટમાં તેમને સારવારમાં સંકલન, કસોટી ભવન અને પોસ્ટમોર્ટમ રૂમ, ટ્રોમા રૂમ, બી.જે. મેડિકલ કોલેજમાં પ્રવેશમાં સહાયતા તેમજ ટ્રાફિક નિયમન તથા ભોજન-પાણી સહિતની જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાંના અનેક સ્વયંસેવકો તો પ્રથમ દિવસથી જ પોતાના ઘર-પરિવારની ચિંતા છોડીને ૨૪*૭ સેવારત છે.
આ માટે કાલુપુર સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ બીએપીએસ, ઇસ્કોન મંદિર, મોહનદાસ મહારાજ સાંઈ મંદિર, અગ્રવાલ સેવા સમિતિ, રામ-શ્યામ ચેરિટેબલ ટ્રસ્ટ અને છોટી સી આશા ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ દ્વારા ભોજન, નાસ્તો, ચા-પાણી સહિતની સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે.