Western Times News

Gujarati News

એરપોર્ટ નજીકની જોખમ ઊભું કરતી ઉંચી બિલ્ડીંગો પર નિયંત્રણ કડક બનાવવાશે

પ્લેન ક્રેશ બાદ નિયમો બદલવા માટે કેન્દ્ર સરકારની કવાયત-મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમ ઊભું કરતી ભૌતિક રચનાઓ પર નિયંત્રણ કડક બનાવવા નવા ડ્રાફ્ટ નિયમો રજૂ કર્યા

(એજન્સી)નવી દિલ્હી, અમદાવાદમાં ૧૨મી જૂને એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાથી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ૨૭૯ લોકો મોતને ભેટ્યા છે. આ દુર્ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમ ઊભું કરતી ભૌતિક રચનાઓ પર નિયંત્રણ કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો રજૂ કર્યા છે.

૧૨ જૂનના દિવસે અમદાવાદથી લંડન જતી વખતે એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું. વિમાને અમદાવાદ ઍરપોર્ટથી ઉડાન ભરી હતી અને થોડા અંતર પછી, વિમાન બીજે મેડિકલ કાલેજની હોસ્ટેલ સાથે અથડાયું હતું અને તેમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં, વિમાનમાં સવાર ૨૪૨ લોકોમાંથી ૨૪૧ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ, કેન્દ્ર સરકાર હવે કડક પગલાં લઈ રહી છે.

નવા ડ્રાફ્ટ નિયમોને એરક્રાફ્ટ-૨૦૨૫ નામ આપવામાં આવ્યું છે. આ નિયમો ગેઝેટમાં પ્રકાશિત થતાં જ અમલમાં આવશે. તેનો હેતુ અધિકારીઓને ઍરપોર્ટની આસપાસના નિયુક્ત વિસ્તારોમાં ઊંચાઈ મર્યાદા કરતાં વધુ ઇમારતો અને વૃક્ષો પર તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સશક્ત બનાવવાનો છે. આ પહેલને ફ્લાઇટ પાથમાં અવરોધોને કારણે થતાં અકસ્માતોને રોકવા માટેના એક સક્રિય પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.

ડ્રાફ્ટ નિયમો હેઠળ, જો કોઈ માળખું નિર્ધારિત ઊંચાઈથી ઉપર હોવાનું જણાય, તો સંબંધિત વિસ્તારના પ્રભારી અધિકારી દ્વારા નોટિસ જાહેર કરવામાં આવશે. મિલકત માલિકે ૬૦ દિવસની અંદર સાઇટ પ્લાન અને માળખાના માપન સહિત અન્ય વિગતો સબમિટ કરવાની રહેશે. જો આમ કરવામાં ન આવે, તો અધિકારીઓને માળખાને તોડી પાડવા અથવા તેની ઊંચાઈ ઘટાડવા માટે કાર્યવાહી કરવાનો અધિકાર રહેશે.

જો ડિરેક્ટોરેટ જનરલ આૅફ સિવિલ એવિએશન અથવા કોઈપણ અધિકૃત અધિકારીને કોઈ માળખું નિયમોનું ઉલ્લંઘન કરતું જણાય, તો તે તેને દૂર કરવા અથવા ઘટાડવાનો આદેશ જારી કરી શકે છે. માલિકને પાલન કરવા માટે ૬૦ દિવસનો સમય મળશે, જે માન્ય કારણોસર બીજા ૬૦ દિવસ સુધી લંબાવી શકાય છે.

આ ઉપરાંત, અધિકારીઓને દિવસ દરમિયાન સ્થળનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવશે, જો તેઓ મિલકત માલિકને અગાઉથી જાણ કરે. જો મિલકત માલિક સહકાર ન આપે, તો અધિકારીઓ ઉપલબ્ધ માહિતીના આધારે વધુ કાર્યવાહી કરી શકે છે અને મામલો DGCAને મોકલી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.