Western Times News

Gujarati News

નિકોલમાં મધુમાલતી આવાસાની ફરી એકવખત દયનીય સ્થિતિ

સ્થળાંતર રહીશને સમયસર સારવાર ન મળતા જીવ ગુમાવ્યો-અમદાવાદ-ગાંધીનગર જળબંબાકારઃ રાજ્યમાં અવિરત ભારે વરસાદથી એક હજારથી વધુનું સ્થળાંતર

અમદાવાદ, રાજ્યમાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો છે. પ્રથમ વરસાદે જ ગુજરાતને પાણી પાણી કરી નાંખ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દ.ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બુધવારે સવારથી જ વરસાદ પડવાનો શરૂ થયો હતો. બુધવારની મોડી રાત્રે અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં ભારે વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડયો હતો.

નિકોલ વિસ્તારમાં આવેલા મધુમાલતી આવાસમાં કેડ સમા પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. લોકોના ઘરની અંદર પાણી ઘૂસી જતા લોકોએ પોતાનો સામાન બચાવવા ઊંચાઈવાળા સ્થળ પર રાખ્યો હતો. આ સમયે જ એક વ્યકિત ઈજાગ્રસ્ત થતા ૧૦૮ને બોલાવવામાં આવી હતી. પરંતુ, પાણી ભરાયેલું હોવાથી ૧૦૮ આવી ન શકતા લોકોએ લારીમાં રાખી દર્દીને ૧૦૮ સુધી લઈ જવા પડ્‌યા હતા.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંત પરીખે જણાવ્યું હતું કે મોડી રાત્રે અમદાવાદ શહેરમાં સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્‌યો હતો. જેના કારણે ૧૦૫ જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા જેમાં બપોરે ૧ વાગ્યા સુધીમાં મોટાભાગના સ્થળોએ પાણીનો નિકાલ થઈ ગયો હતી. જ્યારે ૧૫ જગ્યાએ મોડી સાંજ સુધી વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી હતી. સૌથી ખરાબ સ્થિતિ નિકોલ મધુમાલતી આવાસના રહીશોની થઈ છે જેમાં સમયસર સારવાર ન મળતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ મધુમાલતી આવાસ યોજનાના મકાનોમાં લોકોના ઘરમાં વરસાદી પાણી છેલ્લા ૧૦ કલાકથી ભરાયેલા છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો છે. ગ્રાઉન્ડ ફ્‌લોરમાં લોકોના ઘરમાં બે ફુટ સુધી પાણી છે. બ્લોક નંબર નવમાં રહેતા જીતુભાઈ પંડયા નામના વ્યક્તિના નીચેના માળે આવેલા મકાનમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું.

જેના કારણે તેમનો પરિવાર પ્રથમ માળે આવેલા મકાનમાં રાત્રે સામાન ફેરવી ઉપર જતા રહ્યા હતા પરંતુ સવારના સમયે તેઓ કોઈ કારણોસર નીચેના ભાગે તેમના ઘરે આવ્યા ત્યારે પગ લપસતા ઘરના પાણીમાં પડી ગયા હતા.થોડો સમય બાદ સ્થાનિક દ્વારા તેમના ઘરમાં જોતા જીતુભાઈ પાણીમાં પડેલા હતા જેથી તેમના પરિવારજનોને જાણ કરી હતી અને તેઓ તાત્કાલિક ધોરણે નીચે આવ્યા હતા ૧૦૮ એમ્બ્યુલન્સ ને જાણ કરવામાં આવી હતી પરંતુ મધુમાલતી આવાસ યોજનામાં ૧૦૮ એમ્બ્યુલન્સ આવી શકે તેવી સ્થિતિ નહોતી. જળબંબાકારની સ્થિતિ હતી જેથી સ્થાનિક લોકોએ એક લારી લાવી હતી અને લારીમાં જીતુભાઈ ને બહાર રોડ ઉપર ૧૦૮ સુધી લઈ ગયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીએ તપાસ કરતા તેઓનું મૃત્યુ થઈ ગયું હતું.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખના જણાવ્યા મુજબ ઈસ્ટન મેઈન ટ્રેકલાઇનની કામગીરી કરવામાં આવી રહી છે જે ૩૦ જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ તેના જોડાણ ની પ્રક્રિયા પણ ચાલી રહી છે

જેથી પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાનો જલ્દીથી ઉકેલ આવશે. શહેરમાં વરસાદી પાણીની લાઈનો અને વહેલી સવારે ડ્રેનેજની લાઈનો વધારે કાર્યરત હોવાના કારણે વરસાદી પાણીનો જલ્દી નિકાલ ન થઈ શક્યો હોવાનું કોર્પોરેશનના અધિકારીઓએ સ્વીકાર્યું હતું. હવામાન વિભાગ સાથે વરસાદની આગાહીના પગલે છૈં બેઝ સોફ્‌ટવેર તૈયાર કરવામાં આવ્યું છે જેના કારણે અગાઉથી રાત્રે વરસાદ અંગેની માહિતી હતી.

તેથી વહેલી સવારે જ મજુરો મોકલી વરસાદી પાણીનો નિકાલ કરાયો હતો. જો કે ડેÙનેજ લાઈનો કાર્યરત હોવાના કારણે વરસાદી પાણીના નિકાલમાં સમય લાગ્યો હતો. શહેરમાં બુધવારે મોડી રાત્રે થયેલ વરસાદના કારણે મિઠાખશી, પરીમલ, મકરબાગ, સહિત પાંચ અંડરપાસ્ટ બંદ કરવામાં આવ્યા હતા. તેમજ જાડ પડવાની ૧૨ ફરિયાદ નોંધાઈ હતી શહેરમાં વરસાદના કારણે ૬ જગ્યાએ રોડ બેસી જવાની ફરિયાદો પણ હતી જેમાં પાલડી ચાર રસ્તા અને રામોલ એકસપ્રેસ હાઈવે પર રોડ બેસી ગયાનો સમાવેશ થાય છે.

શહેરના ૧૯ અંડર પાસ્ટમાં પાણી ભરાઈ ત્યારે દરવાજા ઓટોમેટીક બંધ થઈ જાય છે. પરંતુ તેમાં બે ફુટ જેટલું પાણી ભરાય ત્યારે બંધ થાય છે. જેના કારણે અખબાર નગર અંડર પાસ્ટમાં ગાડી ફસાઈ ગઈ હતી. અને ડી-કેબીને અંડર પાસ્ટમાં દરવાજા બંધ થયા ન હતા. બોપલ વિસ્તારની સ્ટર્લીંગ સોસાયટીમાં બે ફુટ સુધીના પાણી ભરાઈ ગયા હતા.

શહેરના ગોતા વોર્ડમાં બંધન પાર્ટી પ્લોટ પાસે પણ પાણી ભરાઈ ગયા હતા. અને જેનો નિકાલ કરાવમાં ખુબ ઘણો સમય લાગ્યો હતો. આ ઉપરાંત નરોડો, ઈશનપુર, મેમકો, કોતરપુર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. શહેરમાં બપોરે બે વાગ્યા સુધી સરેરાશ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

શહેરના પૂર્વ ઝોનમાં વિરાટનગર અને ઓઢવમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં સરેરાશ ૨.૭૧ ઈંચ, દક્ષિણ ઝોનમાં સરેરાશ ૨ ઈંચ, મધ્ય ઝોનમાં ૩ ઈંચ. ઉત્તર ઝોન, ૩ ઈંચ, દક્ષિણ ઝોનમાં ૨.૯૫ ઈંચ વરસાદ નોંધાયો હતો.

કેટલાક ગામડાઓ સંપર્કવિહોણા બન્યા છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે કુલ ૧૦૧૬ વ્યક્તિનું સ્થળાંતર કરાવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે. હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં બુધવાર(૧૮ જૂન)ની મોડી રાત્રે એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સામે આવી હતી. નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો. શહેરના પૂર્વ વિસ્તારના ઇસનપુર, નિકોલ, દાણીલીમડા, ઓઢવ સહિતના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.