ઘાટલોડિયામાં ટૂર ઓપરેટરના ઘરમાંથી ૧૧ લાખની ચોરી

થોડા સમય પહેલાં જ વસ્ત્રાપુરમાં તબીબના ઘરે લૂંટ થઈ હતી
બેંકમાં ભરવા રૂપિયા ભરેલી બેગ બેડ પાસે મૂકી હતી અને તસ્કરો રોકડા રૂપિયા લઈ ગયા ને પર્સ રોડ પર ફેંકી દીધું
અમદાવાદ,ઘાટલોડિયાના શિવમ ટેનામેન્ટમાં રહેતા ટૂર ઓપરેટરના ઘરમાંથી રૂપિયા ૧૧ લાખની ચોરી થઇ છે. ટૂર ઓપરેટરે બેંકમાં ભરવા માટે ૧૧ લાખની બેગ બેડરૂમમાં મૂકી હતી ત્યારે જ રાત્રે તસ્કરો હાથફેરો કરી ગયા છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ આદરી છે. આ ઘટનાના સીસીટીવી ફુટેજ પોલીસ ચેક કરી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ વસ્ત્રાપુરમાં તબીબના ઘરે લૂંટ થઇ હતી. ઘાટલોડિયા કે.કે. નગર નજીક શિવમ્ ટેનામેન્ટમાં રહેતા સંજયભાઇ તનસુખભાઇ પટેલ સ્થાનિક વિસ્તારમાં પટેલ હોલીડેઝ નામની ઓફિસ ધરાવી ટૂર એન્ડ ટ્રાવેલ્સનું કામ કરે છે.
સંજય પટેલ પટેલ ફોરેક્સ નામની કંપની પણ ધરાવતા હતા. જોકે, તે કંપની તેમણે બંધ કરી દીધી હતી અને ખાલી પડેલી ઓફિસ વેચી દીધી હતી. સંજય પટેલની ફરિયાદ મુજબ ઓફિસ વેચતાં તેના રૂપિયા ૧૧ લાખ આવ્યા હતા. આ રૂપિયા બેંકમાં જમા કરાવવાના હોવાથી મંગળવારે રાત્રે તેમણે એક બેગમાં મૂકીને બેગ બેડરૂમમાં મૂકી હતી. રાત્રે સંજયભાઇએ બેડરૂમનો દરવાજા અંદરથી લોક કર્યાે નહોતો. બીજા દિવસે સવારે પત્નીએ ઊઠાડ્યા અને જણાવ્યું હતું કે સવારે તેમના માતા દૂધ લેવા ગયા ત્યારે કોઇએ તેમને જણાવ્યું હતું કે રોડ પર એક પર્સ પડ્યું છે
. જેમાં વિઝટિંગ કાર્ડ સહિતની વસ્તુઓ પડી છે. સંજયભાઇની માતા બેગ ઘરે લઇ આવ્યા હતા. બેગ ચેક કરતાં તેમાં રૂપિયા નહોતા. સંજયભાઇ અને તેમની પત્નીએ આ રૂપિયા અંગે તપાસ કરી હતી પરંતુ કંઇ ભાળ મળી નહોતી. તેમણે આ બાબતે ઘાટલોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સંજયભાઇના ઘર આજુબાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.ss1