Western Times News

Gujarati News

અમદાવાદ-દિલ્હી સહિત એર ઇન્ડિયાની ૮ ફ્‌લાઇટ કેન્સલ -પ્લેન ક્રેશ બાદ ૮ દિવસમાં ૮૪ ફ્‌લાઇટ રદ કરાઈ

file

નવી દિલ્હી, શુક્રવારે એર ઇન્ડિયાએ ૮ ફ્‌લાઇટ્‌સ રદ કરી છે, જેમાં ૪ ઈન્ટરનેશનલ અને ૪ ડોમેસ્ટિક ફ્‌લાઇટ્‌સનો સમાવેશ થાય છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે એરપોર્ટ પર મેન્ટેનન્સ અને ઓપરેશનલનાં કારણોસર આ ફ્‌લાઇટ્‌સ રદ કરવામાં આવી છે.

ડોમેસ્ટિક ફ્‌લાઇટ્‌સમાં પુણેથી દિલ્હી ફ્‌લાઇટ એઆઈ૮૭૪, અમદાવાદથી દિલ્હી ફ્‌લાઇટ એઆઈ૪૫૬, હૈદરાબાદથી મુંબઈ ફ્‌લાઇટ એઆઈ૨૮૭૨ અને ચેન્નઈથી મુંબઈ ફ્‌લાઇટ એઆઈ૫૭૧ રદ કરવામાં આવી છે.

ઈન્ટરનેશનલ ફ્‌લાઇટ્‌સમાં દુબઈથી ચેન્નઈની ફ્‌લાઇટ એઆઈ૯૦૬, દિલ્હીથી મેલબોર્નની ફ્‌લાઇટ એઆઈ૩૦૮, મેલબોર્નથી દિલ્હીની ફ્‌લાઇટ એઆઈ૩૦૯ અને દુબઈથી હૈદરાબાદની ફ્‌લાઇટ એઆઈ૨૨૦૪નો સમાવેશ થાય છે.

આ રીતે અમદાવાદ વિમાન દુર્ઘટના પછી ૮ દિવસમાં અત્યારસુધીમાં ૮૪ ફ્‌લાઇટ્‌સ રદ કરવામાં આવી છે. દિલ્હીથી વિયેતનામ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્‌લાઈટ એઆઈ૩૮૮ (એરબસ છ૩૨૦ નિયો એરક્રાફ્‌ટ)ને ગુરુવારે અધવચ્ચે જ દિલ્હી પરત બોલાવી લેવામાં આવી હતી. ફ્‌લાઈટમાં ૧૩૦ મુસાફર સવાર હતા. ફ્‌લાઈટ બપોરે ૧.૦૦ વાગ્યે ઉડાન ભરવાની હતી, પરંતુ ૪૫ મિનિટ મોડી પડી, પછી તેણે ૧.૪૫ વાગ્યે ઉડાન ભરી.

આ પછી પ્લેનમાં ટેક્નિકલ ખામી જોવા મળી. થોડો સમય હવામાં રહ્યા બાદ ફ્‌લાઈટને દિલ્હી એરપોર્ટ પર પાછી ઉતારવામાં આવી. એરલાઈને કહ્યું, બધા મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા. ગુવાહાટીથી ચેન્નઈ આવી રહેલા એક ખાનગી એરલાઇનના વિમાનને ઇંધણના અભાવે બેંગલુરુમાં ઉતારવામાં આવ્યું હતું. ફ્‌લાઇટમાં ૧૬૮ મુસાફર સવાર હતા.

અહીં ઇંધણ ભર્યા પછી તેણે ચેન્નઈ પાછી ઉડાન ભરી. અગાઉ દિલ્હીથી લેહ જતી ઇન્ડિગોની ફ્‌લાઇટ ૬ઈ ૨૦૦૬ ગુરુવારે સવારે ટેક્નિકલ ખામીને કારણે દિલ્હી પરત ફરી હતી. ફ્‌લાઇટમાં ક્રૂ-મેમ્બર્સ સહિત ૧૮૦ લોકો સવાર હતા. સ્પાઇસજેટની ફ્‌લાઇટ એસજી ૨૬૯૬ પણ ટેક-ઓફ થયાની ૧૦ મિનિટ પછી પાછી ફરી હતી. આ ફ્‌લાઇટ હૈદરાબાદથી તિરુપતિ જઈ રહી હતી.

ફ્‌લાઇટમાં કુલ ૮૦ મુસાફર સવાર હતા. એરલાઇન્સે કહ્યું હતું કે ટેક-ઓફ કર્યા પછી પાઇલટને સંકેત મળ્યો કે વિમાનના પાછળના દરવાજામાં કોઈ સમસ્યા છે. ત્યાર બાદ ફ્‌લાઇટ એરપોર્ટ પર પાછી ફરી. દિલ્હીથી બાલી જતી ફ્‌લાઇટ એઆઈ૨૧૪૫ અધવચ્ચે જ દિલ્હી પરત ફરી હતી. એરલાઇને જણાવ્યું હતું કે બાલી એરપોર્ટ નજીક જ્વાળામુખી ફાટવાના અહેવાલોને કારણે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટોરોન્ટોથી દિલ્હી જતી ફ્‌લાઇટ એઆઈ૧૮૮ રદ કરવામાં આવી હતી. જે મુસાફરો પહેલાંથી જ ફ્‌લાઇટમાં સવાર હતા તેમને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે વિમાનના મેન્ટેનન્સ અને ક્રૂના ફ્‌લાઇટ ડ્‌યૂટી સમયની મર્યાદાને કારણે એ રદ કરવામાં આવ્યું હતું. દુબઈથી દિલ્હી જતી ફ્‌લાઇટ એઆઈ૯૯૬ ટેક્નિકલ ખામીને કારણે રદ કરવામાં આવી હતી. મુસાફરો પહેલાંથી જ આ ફ્‌લાઇટમાં સવાર થઈ ગયા હતા. આદેશ જારી થતાં જ તેમને પણ નીચે ઉતારવામાં આવ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.