યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી પરંતુ આપણા શરીર, મન અને આત્માને જોડતો એક સંવાદ છે: ગાંધીનગર મેયર

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં ૩ હજારથી વધુ શહેરીજનોએ યોગાભ્યાસ કર્યો
યોગાભ્યાસ કાર્યક્રમમાં મહિલા-બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાની ગરિમામય ઉપસ્થિતિ
ગાંધીનગર, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને મહિલા-બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ૧૧માં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ‘ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત યોગ બોર્ડ અને ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં એક સાથે અંદાજે ૩ હજાર જેટલા શહેરીજનોએ ભાગ લઈને વિવિધ યોગાભ્યાસ કર્યા હતા. ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ‘ નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશાખાપટ્ટનમથી વર્ચ્યુઅલી સંબોધન કરી દેશવાસીઓને યોગદિનની શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે યોગને વૈશ્વિક ઓળખ આપી છે. જે સમગ્ર માનવજાત માટે એક આશીર્વાદ સમાન છે. તેમણે કહ્યું કે યોગ એ શરીર, મન, ચિત્ત, બુદ્ધિ અને આત્મા સુધી સ્પર્શ કરવાની પ્રક્રિયા છે. દૈનિક યોગ કરવાથી શરીર, મન અને બુદ્ધિનું શુદ્ધિકરણ થાય છે.
અધ્યક્ષશ્રીએ ઉમેર્યું કે, નિયમિત રીતે ખુલ્લા વાતાવરણમાં યોગ કરવાથી વૃક્ષોથી મળતા પ્રાણવાયુનું અનેરૂ મહત્વ સમજાય છે, જેથી વૃક્ષોને બચાવવાનું કામ એ પણ આપણું કર્તવ્ય છે. આ ઉપરાંત પક્ષીઓના કલરવ, માટીનું સારૂ સ્વાસ્થ્ય અને પંચમહાભૂતોનું સાનિધ્ય આપણને સહજતાથી સમજાય છે. આમ, યોગના માધ્યમથી પ્રકૃતિની વધુ નજીક જઈ શકાય છે તેમજ પ્રકૃતિના સંવર્ધનનું કામ પણ ખૂબ સારી રીતે થઈ શકે છે. તેમણે કહ્યું કે, આજે વડનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના ૧૧માં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ‘ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલે જણાવ્યું હતું કે, યોગ દિવસ નિમિત્તે આપણે સૌ આપણા પ્રાચીન વારસા એવા યોગની શક્તિ અને તેના ફાયદાઓને યાદ કરવા માટે એક સાથે એકત્રિત થઈએ છીએ. યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી પરંતુ આપણા શરીર, મન અને આત્માને જોડતો એક સંવાદ છે. જે આપણને સંતુલિત અને શાંતિપૂર્ણ જીવન જીવવામાં મદદરૂપ થાય છે. તેમણે કહ્યું કે, આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા શરૂ
કરવામાં આવેલા મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન, માત્ર શરીરના વધેલા વજન નહી પરંતુ બેઠાડી જીવનશૈલી વિરૂદ્ધ જાગૃતિ માટે મહાભિયાન છે. ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં યોગ સ્ટુડિયો બનાવવામાં આવી રહ્યાં છે, જેમાં ચ-૦ ખાતે આઈકોનિક યોગ સ્ટુડિયો બનાવવામાં આવી રહ્યો છે, જેથી દરેક વ્યક્તિ યોગનો લાભ લઈ શકે છે.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વે શ્રી રીટાબેન પટેલ અને અલ્પેશભાઈ ઠાકોર, ડે. મેયર શ્રી નટવરજી ઠાકોર, સંગઠન શહેર પ્રમુખ શ્રી આશિષભાઈ દવે, સંગઠન મહામંત્રીશ્રીઓ, મ્યુ.કમિશનરશ્રી, નાયબ મ્યુ.કમિશનરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ, અગ્રણીઓ અને યોગપ્રેમી યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ સહિત શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS) શ્રી જયંતિ રવિ તથા ગાંધીનગર જિલ્લાના પ્રભારી સચિવશ્રી પી. સ્વરૂપ, કલેક્ટર શ્રી મેહુલ કે. દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે પટેલ, એસ.પીશ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, નિવાસી અધિક કલેકટરશ્રી નિશા શર્મા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા