કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થિનીનું બસ સ્ટોપ પર ગોળી વાગતાં મોત

૩ મહિનામાં ચોથી ઘટના
હરસિમરત બસ સ્ટોપ પર ઉભી હતી ત્યારે બે લોકો વચ્ચે થયેલાં ગોળીબાર દરમિયાન એક ગોળી તેને વાગતાં તેનું મોત નિપજ્યું હતું.
ઓટાવા,કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થિનીનું રહસ્ય મોત નિપજ્યું છે. છેલ્લાં ત્રણ મહિનામાં કેનેડામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓના અકાળે થયેલાં મોતને પગલે અહીં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓમાં અસુરક્ષિતતા અને ડરની લાગણી પ્રવર્તી રહી છે. દિલ્હીની તાન્યા ત્યાગી નામની વિદ્યાર્થિની કેલગરી યુનિવર્સિટીમાંથી માસ્ટર ઈન ફૂડ સેફ્ટી એન્ડ ક્વોલિટીનો અભ્યાસ કરતી હતી.
ભારતમાંથી તેણે આઈટી વિદ્યાશાખામાં ગ્રેજ્યુએશન કર્યું હતું. કેનેડાના સત્તાવાળાઓએ હજી સુધી ત્યાગીના રહસ્યમય મૃત્યુ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. જોકે સોશિયલ મીડિયા પર ચાલતી અનધિકૃત અટકળો અનુસાર, ત્યાગીનું નિધન ૧૭ જૂનના રોજ હૃદયરોગના હુમલાથી થયું હતું. તાન્યા ત્યાગીના પરિવારે તેનો મૃતદેહ ભારત પરત લાવવાની કાર્યવાહીમાં સહાય કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ત્રણ મહિનામાં કેનેડાના વિવિધ પ્રાંતમાં ચાર ભારતીય વિદ્યાર્થીઓના રહસ્યમય સંજોગમાં મોત નિપજવાની ઘટનાઓ બનવા પામી છે. આ અગાઉ ગત ૪ એપ્રિલે ગુજરાતના ધર્મેશ કથિરીયા નામના ૨૭ વર્ષના વિદ્યાર્થીની ઓન્ટારિયાના રોકલેન્ડ ખાતે ચાકુ મારી હત્યા કરાઈ હતી. ત્યારબાદ એપ્રિલમાં જ ઓટાવામાંથી ૨૧ વર્ષની વંશિકા સૈની નામની વિદ્યાર્થિની ગુમ થઈ ગઈ હતી. તેને મકાન ભાડે લેવાનું હોઈ તે જોવા માટે ગઈ હતી ત્યારબાદ તે રાત્રે તેનો ફોન બંધ થઈ ગયો હતો.
ગુમ થયાના ચાર દિવસ બાદ ઓટાવાના એક સમુદ્ર કિનારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના એક સપ્તાહ અગાઉ હેમિલ્ટનની મોહોક કોલેજમાં અભ્યાસ કરતી હરસિમરત રંધાવા નામની ૨૧ વર્ષીય વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું. હરસિમરત બસ સ્ટોપ પર ઉભી હતી ત્યારે બે લોકો વચ્ચે થયેલાં ગોળીબાર દરમિયાન એક ગોળી તેને વાગતાં તેનું મોત નિપજ્યું હતું.ss1