હું જેઆરડી નથીઃ AI171ની કરૂણાંતિકા અંગે ટાટાના ચેરમેનની લાગણીસભર પ્રતિક્રિયા

Mumbai, અત્યંત ચીવટ અને સાવચેતીભર્યા કોર્પોરેટ કમ્યુનિકેશન્સના વર્તમાન યુગમાં ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને એર ઈન્ડિયા ફ્લાઈટની AI171ની કરૂણાંતિકા અંગે વ્યક્ત કરેલી લાગણીસભર અને તદ્દન પારદર્શી વ્યક્તિગત પ્રતિક્રિયાએ કટોકટીના સમયે નેતૃત્વક્ષમતાનું બેજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
275 લોકોનો ભોગ લેનારી 12 જૂને બનેલી આ અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના વિશે એક જાણીતી ચેનલ પર બોલતાં ચંદ્રશેખરને આ શોકાંતિકાને ઓછી આંકવાનો કે તેને વિપરીત દિશામાં વાળવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો. અત્યંત ગમગીન અને ભારે સ્વરે તેમણે જણાવ્યું હતું કે, આ અકસ્માત ટાટાની માલિકીની એરલાઈનમાં થયો તેનાથી હું અત્યંત વ્યથિત છું અને તે બદલ ગ્લાનિ અનુભવી રહ્યો છું.
ત્યારબાદ તેમણે સહજભાવથી કરેલી કબૂલાત તેમના દરજ્જાના કોર્પોરેટ લીડર માટે અત્યંત પ્રભાવક હતી. ચંદ્રશેખરને પોતાના પૂરોગામી મહાન નેતાઓને યાદ કરતાં કહ્યું કે, ‘હું જેઆરડી નથી’, હું આરએનટી (રતન નવલ ટાટા) નથી. ‘પરંતુ આપણે સૌ આ મૂલ્યોને આત્મસાત કરીને આગળ વધીએ છીએ અને આશા રાખું છું કે આપણે નૈતિકતા અને પ્રતિબદ્ધતાપૂર્ણ રીતે આચરણ કરીશું જેથી સૌ કોઈ આપણાં માટે ગર્વ અનુભવે ’
એર ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ થયું તે પહેલાં તેની સ્થાપના કરનારા જેઆરડી ટાટા અને રતન ટાટાનો સંદર્ભ વિશેષ મહત્વનો હતો.
કાનૂની સલાહકારોની પાછળ છુપાઈ જવાને બદલે ચંદ્રશેખરને તૂટી પડેલાં એરક્રાફ્ટની મેઈન્ટેનન્સ હિસ્ટ્રી અંગે સંપૂર્ણ પારદર્શકતા દાખવવાનો માર્ગ પસંદ કર્યો. જ્યાં સુધી તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈ પણ અટકળો અંગે સાવચેત રહેવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે, જમણું એન્જિન નવું હતું, જે માર્ચ, 2025માં લગાવાયું હતું, જ્યારે ડાબા એન્જિનની સર્વિસ છેલ્લે 2023માં કરાઈ હતી અને તેની તેની આગામી સર્વિસ ડિસેમ્બર, 2025માં થવાની હતી. બંને એન્જિનની ભૂતકાળની કામગીરી અત્યંત સ્વચ્છ રહેવા પામી છે.
તેમનો અભિગમ માત્ર સ્પષ્ટતા કરવાથી વિશેષ હતો. વધુ બહેતર સુરક્ષા ચકાસણી માટે જ્યારે એર ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં 15 ટકાનો ઘટાડો કરવાના, આવક અને હજારો મુસાફરોને અસર કરે તેવા નિર્ણયની જાહેરાત કરી તે અંગેના કારણો કોર્પોરેટની જેમ બેવડી વાતો કરવાને બદલે ચંદ્રશેખરને સ્પષ્ટ રીતે સમજાવ્યાં હતાં.
પોતાની માતા, પિતા, પતિ, પત્ની કે પુત્રને ગુમાવનારા લોકોને સાંત્વના આપવાનું અત્યંત કપરું છે તેમ જણાવતાં ચંદ્રશેખરને આવી ખોટને વર્ણવવા માટે શબ્દો અપૂરતાં હોવાનું સ્વીકાર્યું હતું. તેમની પ્રતિક્રિયામાં દરેક પીડિત પરિવારને રૂ. 1 કરોડનું વળતર, સારવારનો ખર્ચ તથા તૂટી ગયેલી મેડિકલ હોસ્ટેલના પુનઃનિર્માણ સહિતની બાબતો આવરી લેવાઈ હતી.
સંસ્થાકીય પ્રતિબદ્ધતાથી પણ વિશેષ એવી વ્યક્તિગત વચનબદ્ધતા દાખવતાં તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે, આપણે હંમેશા તેમની સાથે રહીશું અને હું તેમની સાથે રહેવાનું વચન આપું છું.
ચેરમેનના આ અભિગમની ઉદ્યોગજગતના લીડર્સ અને પ્રસાર માધ્યમોના અગ્રણી વક્તાઓમાં વ્યાપક પ્રશંસા થઈ છે. આરપીજી એન્ટરપ્રાઈઝિસના ચેરમેન હર્ષ ગોએન્કાએ લખ્યું કે, આવી ક્ષણોમાં નેતૃત્વ એ માત્ર વ્યૂહરચનાઓ અથવા ઈન્વેસ્ટર કોલ્સ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં ઉપસ્થિતિ, સ્ટાફનો જુસ્સો જાળવી રાખવો, પરિવારોને હૈયાધારણ આપવી, નિષ્ફળતાઓની જવાબદારી લેવી, વિનમ્રતાપૂર્વક સાંભળવું તથા સ્પષ્ટતાથી કાર્યવાહી કરવાનો સમાવેશ થાય છે.
વરિષ્ઠ પત્રકાર વીર સંઘવીએ નોંધ્યું હતું કે, સહાનુભૂતિ, સુરુચિ તથા પ્રામાણિકતાના મૂલ્યો માટે ટાટા જૂથ સુપ્રસિદ્ધ છે, અને ચંદ્રશેખરનની પ્રતિક્રિયાએ આ મૂલ્યોને કાર્યમાં કેવી રીતે વણી લેવાયા તે દર્શાવ્યું છે.
એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને પણ ગ્રાહકો સાથેના સંવાદમાં આ જ પ્રમાણે પારદર્શક અભિગમનો પરિચય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ વિનાશક દુર્ઘટનાથી અસર પામેલા પરિવારો અને તેમના સ્નેહીજનો પ્રત્યે અમે અનુભવી રહેલાં દુઃખને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.
ભારત, અમેરિકા અને યુકે સહિતના દેશોના નિષ્ણાતો સાથેની બહુરાષ્ટ્રીય તપાસ ચાલી રહી છે. અમે અને સમગ્ર ઉડ્ડયન ઉદ્યોગ આ દુર્ઘટના અંગે વધુ માહિતી અને સમજ મેળવવા માટે સત્તાવાર તપાસ અહેવાલની રાહ જોઈ રહ્યાં છે તેમ જણાવતાં ચંદ્રશેખરને તે પહેલા થઈ રહેલાં દોષારોપણના દબાણનો પ્રતિકાર કર્યો હતો.
‘હું ટાટાનું ફરજંદ છું અને આ જૂથ દ્વારા સંવર્ધિત કરાયેલાં મૂલ્યો સાથે આગળ વધ્યો છું’, તેમ જણાવતાં ચંદ્રશેખરને સ્વયંને ટાટાના વારસાના માલિક તરીકે રજૂ કરવાને બદલે વાલી ગણાવી, જ્યારે કટોકટી સર્જાય ત્યારે આધુનિક કોર્પોરેટ લીડર્સે કેવી રીતે પ્રતિક્રિયા આપવી જોઈએ તે માટેના ઉચ્ચ માપદંડ સ્થાપિત કર્યાં હતાં.