સીરિયામાં ચર્ચમાં પ્રાર્થના સમયે જ હુમલાખોરે આત્મઘાતી વિસ્ફોટ કરતાં ૧૫ લોકોનાં મોત

સીરિયાના દમાસ્કસના ડ્વેલા વિસ્તારમાં આવેલા માર એલિસ ચર્ચમાં અનેક લોકો હાજર હતા
સીરિયાના ગૃહ મંત્રાલયે પણ આ હુમલાની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે આ હુમલો આઇએસના આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો છે
નવી દિલ્હી,સીરિયામાં એક ચર્ચ પર આતંકીઓ દ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલા સમયે ચર્ચમાં અનેક લોકો પ્રાર્થના કરી રહ્યા હતા, જેને પગલે બહુ મોટી જાનહાનિ થઇ હોવાના અહેવાલો છે. પ્રાથમિક રિપોર્ટ મુજબ આ હુમલામાં અત્યાર સુધીમાં ૧૫ લોકોના મોત થયા છે જ્યારે ૧૫ જેટલા લોકો ઘાયલ થયા છે. સીરિયાના દમાસ્કસના ડ્વેલા વિસ્તારમાં આવેલા માર એલિસ ચર્ચમાં રવિવારની પ્રાર્થના ચાલી રહી હતી, ચર્ચમાં અનેક લોકો હાજર હતા. આ દરમિયાન જ એક આતંકીએ ચર્ચમાં પ્રવેશ કર્યાે હતો અને ખુદને બોમ્બથી ઉડાવી દીધો હતો.
જેને કારણે બહુ જ મોટો ધમાકો થયો હતો. આ હુમલામાં ૧૫ લોકો માર્યા ગયા છે. જ્યારે અન્ય ૧૫ લોકો ઘાયલ થયા છે તેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. સીરિયાના ગૃહ મંત્રાલયે પણ આ હુમલાની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે આ હુમલો આઇએસના આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો છે. હુમલાખોરે સૌથી પહેલા ચર્ચમાં પ્રવેશ કર્યાે અને બાદમાં પ્રાર્થના કરી રહેલા લોકો પર અંધાધુંધ ગોળીબાર કરી દીધો હતો, પછી ખુદને બોમ્બથી ઉડાવી દીધો હતો.
જેને કારણે અનેક લોકો માર્યા ગયા હતા.તાજેતરમાં સીરિયામાં ખ્રિસ્તીઓને નિશાન બનાવીને કરવામાં આવેલો આ વર્ષનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. સીરિયા અને ઇરાકમાં આઇએસ સામે અમેરિકા દ્વારા મોટા પાયે અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને આઇએસની પકડ નબળી પાડી દીધી હતી, એવામાં આઇએસ દ્વારા હવે આ પ્રકારના હુમલા કરવામાં આવી રહ્યા છે.ss1