‘અમેરિકા ઈતિહાસથી કંઈ ન શીખ્યું, તાકાતથી શાંતિ ન આવે’ : UN મહાસચિવ

UNSCમાં ચીન-રશિયાની ચોખ્ખી વાત
રશિયાના યુએન રાજદૂત વેસિલી નેબેન્ઝ્યાએ આ હુમલાની સરખામણી ૨૦૦૩ના ઇરાક યુદ્ધ સાથે કરી હતી
નવી દિલ્હી,સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ની ઈમરજન્સી બેઠકમાં ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા પર ગંભીર ચર્ચા જોવા મળી. રશિયા, ચીન અને પાકિસ્તાને ૧૫ સભ્યોની પરિષદમાં એક ડ્રાફ્ટ પ્રસ્તાવ રજૂ કર્યાે, જેમાં પશ્ચિમ એશિયામાં તાત્કાલિક અને બિનશરતી યુદ્ધવિરામની માંગ કરવામાં આવી હતી. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટેરેસે બેઠકની શરૂઆતમાં કહ્યું કે, “અમેરિકા દ્વારા ઈરાનના પરમાણુ સ્થળો પર બોમ્બમારો એક ખતરનાક વળાંક છે.
આપણે તાત્કાલિક અને નિર્ણાયક રીતે કાર્ય કરવું પડશે જેથી લડાઈ બંધ થઈ શકે અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ગંભીર વાટાઘાટો ફરી શરૂ થઈ શકે.” આ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યાે છે કે અમેરિકાએ ઈરાનના મુખ્ય પરમાણુ સ્થળોને “સંપૂર્ણપણે નાશ” કરી દીધા છે. ૧૯૭૯ ની ઈરાની ક્રાંતિ પછી ઇસ્લામિક રિપબ્લિક પર આ સૌથી મોટો પશ્ચિમી સૈન્ય હુમલો મનાય છે. અમેરિકાના આ પગલા પછી, સમગ્ર વિશ્વ હવે ઈરાનના પ્રતિભાવની રાહ જોઈ રહ્યું છે.
યુએનમાં રશિયા અને ચીને આ હુમલાની સખત નિંદા કરી છે. ચીનના યુએન રાજદૂત ફુ કોંગે કહ્યું, “બળના ઉપયોગથી પશ્ચિમ એશિયામાં શાંતિ લાવી નહીં શકાય. હાલમાં, વાતચીત અને વાટાઘાટો એ ઉકેલનો સાચો માર્ગ છે. ઈરાની પરમાણુ મુદ્દા પર રાજદ્વારી વિકલ્પો હજુ સુધી ખતમ થયા નથી અને શાંતિનો માર્ગ હજુ પણ ખુલ્લો છે.”કાર્યકારી અમેરિકન રાજદૂત ડોરોથી શીએ કહ્યું કે હવે નિર્ણાયક કાર્યવાહીનો સમય છે.
તેમણે સુરક્ષા પરિષદને અપીલ કરી કે તે ઈરાનને ઇઝરાયલને મિટાવવાના તેના પ્રયાસો બંધ કરવા અને પરમાણુ શસ્ત્રો મેળવવાના તેના પ્રયાસો બંધ કરવા કહે. તેમણે કહ્યું, “ઈરાને લાંબા સમયથી તેનો પરમાણુ કાર્યક્રમ છુપાવ્યો છે અને તાજેતરની વાટાઘાટોમાં અમારા સારા વિશ્વાસના પ્રયાસોને નકારી કાઢ્યા છે.”રશિયાના યુએન રાજદૂત વેસિલી નેબેન્ઝ્યાએ આ હુમલાની સરખામણી ૨૦૦૩ના ઇરાક યુદ્ધ સાથે કરી હતી. તેમણે કહ્યું, “ફરી એક વાર આપણને અમેરિકાની કાલ્પનિક વાર્તાઓ પર વિશ્વાસ કરવાનું કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે પશ્ચિમ એશિયાના લાખો લોકો દુઃખી થશે. આ સાબિત કરે છે કે અમેરિકાએ ઇતિહાસમાંથી કંઈ શીખ્યું નથી.”ss1