‘ભારતમાં યાત્રા વખતે સાવચેત રહો’ ઃ અમેરિકાની એડવાઇઝરી

ભારતમાં બળાત્કાર, હિંસા અને આતંકવાદની ઘટનાઓમાં વૃદ્ધિ થઈ છે
અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું કે, આ ક્ષેત્રમાં આતંકવાદી હુમલા અને હિંસક નાગરિક અશાંતિ શક્ય છે
નવી દિલ્હી,અમેરિકાના વિદેશ વિભાગે ભારતમાં રહેતા, અહીં પ્રવાસે કે અન્ય કોઇ કામ માટે રહેતા તેના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે. જોકે જે કારણોસર તેને લેવલ-૨ની ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી જારી કરી છે તે અત્યંત ચોંકાવનારો અને નિંદનીય છે.આ ચોંકાવનારા નિર્ણયમાં અમેરિકાએ પોતાના નાગરિકો, ખાસ કરીને મહિલાઓને ભારતમાં કોઈ પણ પ્રવાસન સ્થળ કે અન્ય સાર્વજનિક સ્થાનો પર ‘વધુ સાવચેતી રાખવા’ની સલાહ આપી છે.
વિદેશ વિભાગે એડવાઈઝરીમાં ભારતમાં બળાત્કાર, હિંસા અને આતંકવાદની ઘટનાઓમાં વૃદ્ધિનો હવાલો આપ્યો છે. આ એડવાઈઝરીમાં ગુનાઓ અને આતંકવાદને મુખ્ય કારણ ગણાવવામાં આવ્યા છે, જ્યાં કેટલાક ક્ષેત્રોમાં વધુ જોખમ હોવાનું કહેવામાં આવ્યુ છે. અમેરિકાની એડવાઈઝરી મુજબ, ભારતમાં હિંસક ગુનાઓ અને આતંકવાદ થાય છે. એમાં વિશેષ કરીને બળાત્કાર ભારતમાં સૌથી ઝડપથી વધી રહેલા ગુનાઓ પૈકી એક છે. જાતીય હિંસા સહિત હિંસક ગુનાઓ પ્રવાસન સ્થળો અને અન્ય સાર્વજનિક સ્થળો પર પણ થાય છે.
આતંકવાદના ખતરાનો ઉલ્લેખ કરીને અમેરિકાએ પોતાના નાગરિકોને પ્રવાસન સ્થળો, પરિવહન કેન્દ્રો, બજાર-શોપિંગ મોલ અને સરકારી સુવિધાઓથી બચવાની વિનંતી કરી છે. કારણ કે આ આતંકવાદી હુમલાઓ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર પ્રદેશ માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે, જ્યાં આતંકવાદ અને નાગરિક અશાંતિના કારણે યાત્રા નહીં કરવાની સલાહ આપી છે. એમાં પૂર્વ લદ્દાખ અને લેહના ક્ષેત્રોને અપવાદ રાખવામાં આવ્યા છે.
અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું કે, આ ક્ષેત્રમાં આતંકવાદી હુમલા અને હિંસક નાગરિક અશાંતિ શક્ય છે. નાની-મોટી હિંસા થતી રહે છે અને ભારત-પાકિસ્તાનની વચ્ચેની નિયંત્રણ રેખા(એલઓસી) પર સામાન્ય છે. કાશ્મીર ખીણના પ્રવાસન સ્થળો જેવા કે શ્રીનગર, ગુલમર્ગ અને પહલગામમાં પણ હિંસા થાય છે. એડવાઈઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર એલઓસીના કેટલાક ક્ષેત્રોમાં વિદેશી પ્રવાસીઓને જવાની મંજૂરી આપતી નથી.
આ ઉપરાંત, અમેરિકાએ પોતાના નાગરિકોને ભારત-પાકિસ્તાનની વચ્ચે સંભવિત સશસ્ત્ર સંઘર્ષ પ્રત્યે પણ સાવચેત કર્યા છે અને તેમને આંતરરાષ્ટ્રીય સરહદ પાસેના ભારતના ક્ષેત્રોમાં યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવી છે. અમેરિકાની એડવાઈઝરી પછી મોદી સરકાર વિપક્ષોના નિશાન પર આવી ગઈ છે. કોંગ્રેસે વ્યંગ કરીને કહ્યું કે, ‘‘મોદી હૈં તો મુમકિન હૈં.’’ જેનાથી સરકાર પર દબાણ વધી ગયું છે. કોંગ્રેસે અમેરિકાની ટ્રાવેલ એડવાઈઝરી પર મોદી સરકારની નીતિઓ સામે સવાલ કર્યા છે. આ ઉપરાંત, કર્ણાટક કોંગ્રેસે પણ અમેરિકાની એડવાઈઝરીને લઈને કેન્દ્રની મોદી સરકાર માટે ઝાટકો અને શરમજનક ગણાવી છે.ss1