Western Times News

Gujarati News

અજય ‘દૃશ્યમ-૩’નું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ કરશે

૨૦૨૬ની ગાંધી જયંતીએ રિલીઝ થશે

માહિતી અનુસાર અજય દેવગનનો સલગાંવકર પરિવાર ૨ ઓક્ટોબર ૨૦૨૫થી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છે

મુંબઈ, અજય દેવગનની બહુ ઓછી ફિલ્મ નિષ્ફળ જાય છે, સાથે જ અજય ફ્રેન્ચાઇઝીની સફળતા માટે સૌથી જાણીતો હિરો માનવામાં આવે છે. તેમાં પણ તેની દૃશ્યમ ફ્રેન્ચાઈઝી સૌથી જાણીતી છે અને લોકપ્રિય થઈ છે. ફિલ્મ રસિક દર્શકોમાં તેનું વિજય સલગાંવકરનું પાત્ર હંમેશા ચર્ચામાં રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં પણ અજય દેવગન આ ફિલ્મ કરી રહ્યો હોવાના અહેવાલો હતા અને આ ફિલ્મ ૨૦૨૫ના અંત સુધીમાં શરૂ થઈ જશે એવા પણ અહેવાલો હતા.

ત્યારે હવે એવા અહેવાલો છે કે આ ફિલ્મના પ્રોડ્યુસર કુમાર મંગત અને અભિષેક પાઠકે દૃશ્યમ ૩ માટેનું શિડ્યુલ નક્કી કરી નાખ્યું છે. ત્યારે હવે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અજય દેવગનનો સલગાંવકર પરિવાર ૨ ઓક્ટોબર ૨૦૨૫થી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છે. તેમણે જણાવ્યું, “દૃશ્યમ ફ્રેન્ચાઇઝી માટે ગાંધી જયંતની તારીખ બહુ મહત્વની છે તેથી તેઓ હવે આ ફ્રેન્ચાઈઝીની છેલ્લી ફિલ્મનું કામ પણ ૨ ઓક્ટોબરથી શરૂ કરવા માગે છે. એક વખત શૂટ શરૂ થાય તો પછી સતત ત્રણ મહિના સુધી આ ફિલ્મનું શૂટ ચાલશે. મહારાષ્ટ્રના વિવિધ સ્થળો પર આ ફિલ્મ શૂટ થશે, બાકીનું અમુક શૂટ સ્ટુડિયોમાં પણ થશે.

અજય દેવગને આ શૂટ માટે પોતાની તારીખો પણ આપી દીધી છે.”આ ફિલ્મ શરૂ થયાના બિલકુલ એક વર્ષ પછી એટલે કે ૨ ઓક્ટોબર ૨૦૨૬ના દિવસે રિલીઝ થશે એવી પણ ચર્ચા છે. આ અંગે સુત્ર દ્વારા એવી માહિતી મળે છે કે, “આ ફિલ્મ ૨૦૨૬ની ગાંધી જયંતિએ રિલીઝ થશે. ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ ગઈ છે. હાલ તેના ડાયલોગ પર કામ ચાલી રહ્યું છે. ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ માટે પણ સમગ્ર સલગાંવકર પરિવાર ફરી એકઠો થશે અને આ વખતે આ પરિવારની વાર્તાનો અંત આવી જશે. આ ફિલ્મ અભિષેક પાઠક ડિરેક્ટ કરશે.”થોડાં વખત પહેલાં એવા અહેવાલો હતાં કે મોહનલાલ આ વખતે તેમની દૃશ્યમ ૩ હિન્દીમાં પણ બનાવી રહ્યા છે અને તેનું શૂટિંગ શરૂ પણ થઈ ચૂક્યું છે, ત્યારે અજય દેવગનની ફિલ્મ બનશે કે નહીં અને બનશે તો કોઈ જોશે કે નહીં એવા પણ સવાલો ઉઠ્યા હતા.

પછી મોહનલાલ અને અજય દેવગનની ટીમ વચ્ચે મીટિંગ થઈ હોવાના પણ અહેવાલ હતા. ત્યારે હજુ એ નક્કી નથી કે અજય દેવગનની દૃષ્યમ ૩ મલયાલમ ફિલ્મની રીમેક હશે કે પછી એક ઓરિજીનલ નવી વાર્તા બનશે. કારણ કે થોડાં વખત પહેલાં ફિલ્મની ટીમ એક નવા ડ્રાફ્ટ પર પણ કામ કરી રહી હતી. સુત્રએ આ અંગે જણાવ્યું, “જુલાઈ મહિનાના અંત સુધીમાં આ એક નવી ફિલ્મ હશે કે પછી મલયાલમ ફિલ્મની રીમેક તે સ્પષ્ટ થઈ જવું જોઈએ.”પરંતુ આ ફિલ્મ શરૂ કરે એ પહેલાં અજય દેવગને ‘ટોટલ ધમાલ’ અને ‘રેન્જર’ એ બે ફિલ્મના શૂટિંગ પુરા કરવાના છે. આ ઉપરાંત તે રોહિત શેટ્ટી સાથે ‘ગોલમાલ ૫’માં પણ કામ કરી રહ્યો છે. હાલ એવી શક્યતા છે કે તે ‘દૃષ્યમ ૩’ પૂરું કર્યા પછી ૨૦૨૬ની શરૂઆતમાં ‘શૈતાન ૨’નું કામ શરૂ કરશે. તે આ સિવાય પણ કેટલીક ફિલ્મ માટે અજય દેવગનની વાટાઘાટો ચાલી રહી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.