ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કેમ કરાયા?

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણીમાં હાર બાદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકને પક્ષ વિરોધ પ્રવૃત્તિ બદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ હિંમતસિંહ પટેલ સામે આક્ષેપો બાદ રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથેનો એક ફોટો મુકીને સોશિયલ મીડિયામાં પક્ષ વિરોધ પોસ્ટ મૂકી હતી.
કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આપના દ્વારા દલિત સમાજ માટે જે શબ્દો વાપરવામાં આવે તો તે એટ્રોસીટીનો ગુનો બને છે તેવા શબ્દો તેમજ બીભત્સ ગાળો આપના દ્વારા જે બોલવામાં આવેલ હતી તેની ઓડિયો ક્લિપ પણ શિસ્ત સમિતિએ સાંભળી છે. કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આપના દ્વારા જે અભદ્ર ટીપ્પણી થઈ છે તે ચલાવી શકાય તેમ નથી.
આ ઉપરાંત, એક અન્ય ઓડિયો ક્લિપમાં પૈસાના તોડતાડની વાતો પણ શિસ્ત સમિતિને પ્રાપ્ત થયેલી છે તેને પણ ધ્યાને લેવામાં આવે છે. પક્ષના કોઈપણ કાર્યકર્તાને પક્ષની કોઈપણ બાબત કે કોઈપણ નેતા વિરુદ્ધ મોવડી મંડળને ફરિયાદ કરવાનો પૂરો અધિકાર છે. પરંતુ સોશિયલ મીડિયામાં કે વર્તમાનપત્રોમાં જઈને પક્ષની પ્રતિભાને નુકસાન કરનાર વ્યક્તિની હરકત ચલાવી શકાય નહીં.
સામાજિક કાર્યક્રમોમાં કે જાહેર જનતાના કાર્યક્રમોમાં ભાજપના નેતાઓ સાથે કોઈના ફોટા હોય તેને સોશિયલ મીડિયામાં વિકૃત રીતે રજૂ કરવા યોગ્ય ન જ ગણાય. આપના પણ આ પ્રકારના કાર્યક્રમોમાં ભાજપના નેતાઓ સાથેના ફોટાઓ શિસ્ત સમિતિને મળેલ ફરિયાદની સાથે છે, પરંતુ તે શિસ્ત સમિતિએ ધ્યાને લીધેલી નથી.