Western Times News

Gujarati News

ઈન્ડિગોના ત્રણ અધિકારી સામે એસસી-એસટી એક્ટ હેઠળ ફરિયાદ

જાતિગત ટિપ્પણી કરી હોવાનો તાલીમી પાયલટનો આક્ષેપ

ફરિયાદ કરનાર પાયલટે કહ્યું કે, તેને એમ કહીને નીચું દેખાડ્યું કે એ વિમાન ઉડાડવા માટે લાયક નથી

ગુરુગ્રામ,ઈન્ડિગો એરલાઈન્સ ફરીથી વિવાદમાં આવી છે. એરલાઈન્સના ત્રણ વરિષ્ઠ અધિકારીઓની સામે એક તાલીમી પાયલટે એસસી-એસટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા(બીએનએસ) અંતર્ગત ગંભીર આક્ષેપ લગાવીને એફઆઈઆર નોંધાવી છે. આ ફરિયાદમાં આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે કંપનીની ઓફિસમાં તાલીમી પાયલટની સાથે જાતિગત આધાર પર અપમાનજનક વ્યવહાર કર્યાે હતો. ફરિયાદ કરનાર પાયલટે કહ્યું કે, તેને એમ કહીને નીચું દેખાડ્યું કે એ વિમાન ઉડાડવા માટે લાયક નથી અને અપમાનજનક તરીકે ‘પરત જઈને ચપ્પલ સિવવા’નો ટોણો માર્યાે હતો.

આ મામલામાં પહેલા બેંગલુરુમાં ઝીરો એફઆઈઆર નોંધાઈ હતી, ત્યાર પછી ગુરુગ્રામના ડીએલએફ ફેજ-૧ પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરી હતી. એફઆઈઆર નોંધાયા પછી પણ ઈન્ડિગો એરલાઈન્સે આ મામલા પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. હાલ આ મામલામાં તપાસ ચાલી રહી છે અને સંબંધિત અધિકારીઓના નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. ૩૫ વર્ષીય તાલીમી પાયલટે પોતાના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આ પાયલટનું કહેવું છે કે જાતિના આધારે અપમાન કરવામાં આવ્યું અને કામના બહાને પરેશાન પણ કરવામાં આવ્યો.પાયલટે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે ૨૮મી એપ્રિલે તેને ઈન્ડિગોની હેડ ઓફિસ(એમાર કેપિટલ ટાવર-૨, ગુરુગ્રામ)માં મીટિંગ માટે બોલાવવામાં આવ્યો.

અહીં ઉપસ્થિત તપસ ડે, મનીષ સાહની અને કેપ્ટન રાહુલ પાટિલે અશબ્દો કહ્યાં અને જાતિગત ટિપ્પણી કરી હતી. પાયલટે આક્ષેપ લગાવ્યો કે મને ઓફિસ પહોંચતા જ કહેવામાં આવ્યું કે તમારો ફોન અને બેગ બહાર રાખો. ફરીથી મીટિંગમાં એમ કહેવામાં આવ્યું કે તુ વિમાન ઉડાડવાને લાયક નથી, પરત જતો રહે અને ચપ્પલ સીવ. અહીં તો તું ચોકીદાર બનવાને લાયક પણ નથી.પીડિત તાલીમી પાયલટે ઉમેર્યું કે આ મામલાને કંપનીના મોટા અધિકારીઓ અને એથિક્સ કમિટીની સમક્ષ ઉઠાવ્યો હતો, પરંતુ કોઈ સુનાવણી થઈ નહતી. છેવટે એસસી-એસટી સેલનો સંપર્ક કરવો પડ્યો અને એફઆઈઆર નોંધાવવી પડી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.