ઈરાન માટેના ભારતના બાસમતી ચોખા કંડલા અને મુંદ્રા પોર્ટ ખાતે અટવાયા

મિડલ ઈસ્ટ ક્રાઈસીસને પગલે ભારતીય બાસમતી ચોખાની સૌથી વધુ આયાત સાઉદી અરેબિયામાં થાય છે અને બીજા ક્રમે ઈરાનમાં થાય છે
નવી દિલ્હી,ઓલ ઈન્ડિયા રાઈસ એક્સપોર્ટર્સ એસોસિએશને સોમવારે કહ્યું હતું કે ઈઝરાયેલ-ઈરાન ઘર્ષણને પગલે ઈરાન ખાતે નિકાસ કરવામાં આવનારા ૧ લાખ ટન જેટલા બાસમતી ચોખા પોર્ટ ખાતે અટવાયા છે. એસોસિએશનના પ્રમુખ સતીષ ગોયલે કહ્યું હતું કે અંદાજે ૧ લાખ ટન બાસમતી ચોખા ઈરાન ખાતે નિકાસ થવાના હતા. પરંતુ યુદ્ધની સ્થિતિ વચ્ચે આ ચોખા પોર્ટ ખાતે અટવાઈ પડ્યા છે. ભારતની બાસમતી ચોખાની કુલ નિકાસ પૈકી ૧૮-૨૦ ટકા ઈરાન ખાતે થાય છે.
ગોયલે કહ્યું હતું કે મુખ્યત્વે આ ચોખાનો જથ્થો હાલમાં ગુજરાતના કંડલા અને મુંદ્રા પોર્ટ ખાતે છે. કારણ કે ઈરાન ખાતે જવા માટે કોઈ વેસલ (જહાજ) પણ નથી મળતું અને કોઈ વીમો પણ નથી મળી રહ્યો.તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ઘર્ષણ સામાન્ય રીતે શિપિંગ ઈન્સ્યોરન્સ પોલિસી હેઠળ કવર નથી થતા. તેને કારણે નિકાસકારો તેમના કન્સાઈનમેન્ટ મોકલી શકતા નથી. તેમણે કહ્યું કે શિપમેન્ટમાં વિલંબ અને પેમેન્ટ અંગે અનિશ્ચિતતાને કારણે ગંભીર નાણાકીય સંકટ ઊભું થાય છે.
બાસમતી ચોકાના ભાવ સ્થાનિક બજારમાં કિલોગ્રામ દીઠ શ્૪-૫ ઘટી ગયા છે. એસોસિએશન કેન્દ્રીય એગ્રી-એક્સપોર્ટ પ્રમોશન સંગઠન અપેડા સાથે સંપર્કમાં છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથે ૩૦ જૂને આ અંગે મીટિંગ યોજાવાની છે.ભારતીય બાસમતી ચોખાની સૌથી વધુ આયાત સાઉદી અરેબિયામાં થાય છે અને બીજા ક્રમે ઈરાનમાં થાય છે. ૨૦૨૪-૨૫માં ભારતે ઈરાન ખાતે ૧૦ લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરી હતી. કુલ ૬૦ લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરી હતી.
આ ઉપરાંત ઈરાક, યુએઈ અને અમેરિકા ખાતે તેની મુખ્યત્વે નિકાસ થાય છે. ઈઝરાયેલ-ઈરાન ઘર્ષણ તાજેતરના સપ્તાહમાં ખાસ્સું વધી ગયું છે. બન્ને તરફે ભારે મિસાઈલ હુમલા થઈ રહ્યા છે. અમેરિકાએ પણ તેમાં ઝંપલાવ્યું છે તે જોતા આ ઘર્ષણ વધાર સમય ચાલશે તેવી સંભાવના જોવાઈ રહી છે. તેને પગલે મિડલ ઈસ્ટમાં શિપિંગની સમસ્યા ઊભી થઈ છે.ss1