RTE કાયદો બન્યો લાખો બાળકો માટે શિક્ષણનું કિરણ

RTE હેઠળ પ્રવેશમાં ઐતિહાસિક વધારો: છેલ્લા ૧૨ વર્ષમાં નામાંકન ૪૩૨થી વધી આ વર્ષે ૯૫ હજાર થયું
Ø ચાલુ શૈક્ષણિક વર્ષથી RTE હેઠળ પ્રવેશ મેળવવાની આવકમર્યાદા વધારીને રૂ. ૬ લાખ કરાઈ
Ø અભ્યાસની આનુસંગિક વસ્તુઓ ખરીદવા પ્રતિ વર્ષ વિદ્યાર્થીદીઠ રૂ.૩,૦૦૦ની સહાય DBT મારફતે ચૂકવનાર ગુજરાત પ્રથમ રાજ્ય
Ø RTE કાયદા હેઠળ રાજ્યના ૬ લાખથી વધુ વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં કુલ રૂ. ૧,૦૫૭ કરોડની સહાય ચૂકવાઈ
Ø શૈક્ષણિક વર્ષ ૨૦૨૫–૨૬ માટે RTE કાયદા હેઠળ કુલ ૯૫,૪૯૪ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો
દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક સારી શાળામાં ઉત્તમ શિક્ષણ મેળવી પોતાના અને પરિવારના સપનાઓ પૂરા કરે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિની કારણે તેમનું આ સપનું સાકાર થઈ શકતું નથી. આવા પરિવારના બાળકો માટે RTE (Right To Education)નો કાયદો આશા-શિક્ષણનું કિરણ બની રહ્યો છે. ચાલુ શૈક્ષણિક વર્ષથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં RTE પ્રવેશ માટેની આવક મર્યાદામાં વધારો કરતો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશના દરેક બાળકને શિક્ષિત બનાવવાનો લક્ષ્યાંક RTE કાયદાના અમલીકરણથી સિદ્ધ થઈ રહ્યો છે. શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોર અને રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં RTEના કાયદા હેઠળ પ્રવેશ મેળવવા માટેની આવકમર્યાદા વધારીને રૂ. ૬ લાખ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી આ વર્ષે અંદાજિત ૪,૦૦૦થી વધુ બાળકો આ કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં RTE હેઠળ વિનામૂલ્યે શિક્ષણનો લાભ મેળવી શકશે. અત્યાર સુધી આ કાયદા હેઠળ પ્રવેશ માટેની આવક મર્યાદા ગ્રામીણ કક્ષાએ રૂ. ૧.૨૦ લાખ અને શહેર વિસ્તારમાં રૂ.૧.૫૦ લાખ રાખવામાં આવી હતી.
રાજ્ય સરકારે છેલ્લાં ૧૨ વર્ષમાં RTE પ્રવેશ અંતર્ગત છેવાડાના બાળકો સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણને પહોંચાડવાનું કાર્ય કર્યું છે. ગુજરાત એ પહેલું રાજ્ય છે જ્યાં વિદ્યાર્થીઓને ગણવેશ, સ્કૂલબેગ, પાઠ્યપુસ્તક, ટ્રાન્સપોર્ટ અને અભ્યાસને લગતી આનુષાંગિક વસ્તુઓ ખરીદવા માટે પ્રતિવર્ષ વિદ્યાર્થીદીઠ રૂ. ૩૦૦૦ની સહાય DBT મારફતે ચૂકવવામાં આવે છે. RTE કાયદા હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના ૬ લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧,૦૫૭ કરોડની સહાય આપવામાં આવી છે.
RTE પ્રવેશ માત્ર વિનામૂલ્યે શિક્ષણની વ્યવસ્થા નથી, તે ગુજરાતના દરેક બાળકને યોગ્ય શિક્ષણ આપવાનો મહત્વનો સીમાચિન્હ કાયદો છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૩થી આ કાયદાની અમલવારી શરૂ કરવામાં આવી છે જે હેઠળ રાજ્ય સરકારે વિવિધ શાળાઓને કુલ રૂ. ૩,૭૨૩ કરોડની ગ્રાન્ટની ચુકવણી કરી છે જેમાં ફી રીએમ્બર્સ પેટે રૂ. ૨,૬૬૫ કરોડની તથા વિદ્યાર્થી સહાય પેટે રૂ. ૧,૦૫૭ કરોડની ચૂકવણી કરી છે.
વર્ષ ૨૦૧૩માં જ્યારે RTE કાયદા હેઠળ પ્રવેશ પ્રકિયા શરૂ થઈ ત્યારે માત્ર ૪૩૨ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે છેલ્લા ૧૨ વર્ષમાં આજે તે આંકડો વર્ષ ૨૦૨૫માં વધીને ૯૫ હજારથી પણ વધી ગયો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે RTE કાયદા હેઠળ અત્યાર સુધીમાં ૯૫,૪૯૪ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.
રાજ્યમાં RTE Act-2009 હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ધોરણ-૧માં ખાનગી બિનઅનુદાનિત શાળાઓમાં ૨૫ ટકા બેઠકો પર વિનામૂલ્યે પ્રવેશ આપવાની પ્રક્રિયા શૈક્ષણિક વર્ષ ૨૦૧૩-૧૪થી અમલમાં છે. RTE પ્રવેશ રાજ્યના શિક્ષણ ક્ષેત્રે સામાજિક સમાનતા તરફ એક મજબૂત પગથીયું સાબિત થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના કેટલાક વાલીઓ દ્વારા પોતાની પસંદ કરેલી શાળાઓ જ પસંદ થવાનો આગ્રહ, ૬ કિમી ત્રિજ્યાની મર્યાદા હોવા છતાં દૂરની શાળાની પસંદગી, ભાષા માધ્યમને લઈ ગુજરાતી માધ્યમમાં આગ્રહ, અન્ય બાળકની શાળામાં જ બીજા બાળકને અભ્યાસ કરાવવો વગેરે જેવી નજીવા કારણોસર અનેક બાળકો RTE હેઠળ પ્રવેશથી વંચિત રહી જતા હોય છે.