ગાંધીનગરમાં ચોમાસા દરમિયાન જ ૧૦ લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન

દરેક ખાલી જગ્યામાં વૃક્ષો રોપવા અને ક્યા વોર્ડમાં કેટલા વૃક્ષ રોપાશે ? તેની યાદી બનાવવા સ્ટેન્ડિંગ ચેરમેનની માંગણી
ગાંધીનગર, સમગ્ર વિશ્વમાં હરિયાળા પાટનગર તરીકે જાણીતા ગાંધીનગરમાં છેલ્લા એક દસકા દરમિયાન હજારો વૃક્ષો ઘટયા છે. કપાયેલા વૃક્ષોની સામે અનેક ગણાં વૃક્ષો ઉછેરવા ગાંધીનગર મ્યુનિ. દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરમાં ‘ઓપરેશન સિંદુર’ અંતર્ગત ૧૦ લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું એલાન થયું છે. આ તમામ વૃક્ષોને ચોમાસા દરમિયાન જ રોપી દેવાય તો આગામી વર્ષે સમગ્ર ગાંધીનગરને ગીચ હરિત આવરણ મળી શકે છે, તેથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ બાબતે નક્કર આયોજન હાથ ધરાયું છે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસે મ્યુનિ. કમિશનરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, હરિત ભાવિ નિર્માણ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને મજબુત બનાવવાના આશયથી ‘ઓપરેશન સિંદૂર’ નામથી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે ગાંધીનગરમાં ૧૦ લાખ વૃક્ષો રોપવાનું આયોજન છે.
આ તમામ રોપાનો ઉછેર કરી ઘટાદાર વનરાજી ઉભી કરવા સંયુકત પ્રયાસ હાથ ધરવા જોઈએ. ગાંધીનગરના સેકટરોમાં ખાલી જગ્યાઓ માટે માર્ગ- મકાન વિભાગ અને વન વિભાગ સાથે તથા ટીપી વિસ્તારના ખાલી પ્લોટો માટે મ્યુનિ.ની ટીપી શાખા સાથે સંકલન કરવું જોઈએ.
દરેક વોર્ડમાં ખાલી વિસ્તાર નકકી કરી કયા વોર્ડમાં કેટલા વૃક્ષ વાવવાના છે અને ક્યારે વાવવાના છે ? તે અંગેનો રોડમેપ તૈયાર કરવા અને ચોમાસા દરમિયાન જ સમગ્ર પાટનગરમાં વૃક્ષો રોપી દેવા મ્યુનિ. કમિશનરને જણાવવામાં આવ્યું છે. વિસ્તાર, વૃક્ષ અને સમયને નિય્ત કરી માઈક્રોપ્લાનિંગ સાથે વૃક્ષારોપણ થાય તો સમગ્ર ગાંધીનગરને હરિયાળું બનાવી શકાશે.