Western Times News

Gujarati News

લગ્ન પછી મહિલાઓની ‘પર્સનલ લાઇફ’ સમાપ્ત નથી થતીઃ હાઈકોર્ટ

પાસપોર્ટ ઓથોરીટીને ચાર સપ્તાહમા પાસપોર્ટ ઈશ્યુ કરવાનો આદેશ

પાસપોર્ટ બનાવવા જેવા વ્યક્તિગત કામો માટે પતિની મંજૂરી હોવી જરૂરી નથીઃ મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો

નવી દિલ્હી,મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં એક મામલાની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે લગ્ન પછી મહિલાઓની પર્સનલ લાઇફ ખતમ નથી નથી. મહિલાઓએ પાસપોર્ટ બનાવવા જેવા કામો માટે પતિની મંજૂર લેવી જરુરી હોવી જોઈએ નહીં. મહિલાની પાસે પોતાના પતિની મંજૂરી કે સાઇન વિના પાસપોર્ટ માટેની અરજી કરવાનો પૂરો અધિકાર છે. જસ્ટિસ એન આનંદ વેંકટેશે સુનાવણી દરમિયાન કહ્યું કે પાસપોર્ટ માટે અરજી કરવા પણ પતિની મંજૂરી લેવાની જરુરિયાત મહિલાઓની આઝાદીમાં અવરોધ છે અને આ પિતૃસત્તાક સમાજની નિશાની છે.

કોર્ટે જે.રેવતી નામની મહિલાની અરજી પર સુનાવણી દરમિયાન ઉપરોક્ત ટિપ્પણી કરી છે.ચેન્નઇ સ્થિત ક્ષેત્રીય પાસપોર્ટ ઓફિસે રેવતીના પાસપોર્ટની અરજી એ આધાર પર સ્થગિત કરી હતી કે તેના પતિના અરજીપત્ર(ફોર્મ-જે) પર હસ્તાક્ષર હતા નહીં. રેવતીએ ૨૦૨૩માં મોહનકૃષ્ણન નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. બંને વચ્ચે વિવાદ થયા પછી પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી, જેના પર ચુકાદો પડતર હતો.આ દરમિયાન રેવતીએ પાસપોર્ટ માટે અરજી કરી, પરંતુ પાસપોર્ટ ઓફિસે પતિના હસ્તાક્ષર વિના તેની અરજીને મંજૂર કરવાનો ઈનકાર કર્યાે હતો.

ત્યાર પછી રેવતીએ હાઈકોર્ટમાં ન્યાય માટે અરજી કરી હતી. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, લગ્ન પછી અરજદારની પોતાની ઓળખ છે અને પત્ની કોઈ પણ રૂપમાં પતિની મંજૂર કે હસ્તાક્ષર વિના પાસપોર્ટ માટે અરજી કરી શકે છે. પાસપોર્ટ માટે અરજી કરવા પતિ પાસેથી મંજૂરી લેવાની પ્રથા સમાજ માટે સારા સંકેત નથી. હાઈકોર્ટે પાસપોર્ટ અધિકારીઓને ચાર સપ્તાહમા પાસપોર્ટ ઈશ્યુ કરવાનો આદેશ આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.