સુરતમાં મંદીએ વધુ એક રત્નકલાકાર અને હીરા દલાલનો ભોગ લીધો

વેપારની ચિંતામાં વરાછાના યુવકે ઝેર પીધું
આર્થિક સંકડામણને કારણે લાલ દરવાજાના રત્નકલાકારે ગઈકાલે ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધુ હતું
સુરત,હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્નકલાકારના આપઘાતનો સિલસિલો યથાવત રહ્યો છે. આર્થિક સંકડામણને કારણે લાલ દરવાજાના રત્નકલાકારે ગઈકાલે ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધુ હતું. બીજીતરફ હીરામાં મંદીના પગલે ભવિષ્યના વેપારની ચિંતામાં વરાછાના ૨૬ વર્ષીય હીરા દલાલે ઝેર ગટગટાવી આપઘાત કરી લીધો હતો. મૂળ રાજસ્થાન બિકાનેરના વતની ૪૭ વર્ષીય સંદીપ જેઠમલ કોઠારી હાલ લાલદરવાજા સાંઈપૂજન સોસાયટીમાં મિત્ર સાથે રહેતો હતો.
સંદીપ રત્નકલાકાર તરીકે નોકરી કરીને મુંબઈ રહેતા એક સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સોમવારે સાંજે સંદીપે રૂમમાં પંખા સાથે ચાદર બાંધીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સંદીપે આર્થિક સંકડામણને કારણે મોતને વ્હાલું કરી લીધું હોવાનું મનાઈ રહ્યું છે. બીજી ઘટનામાં મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની ૨૭ વર્ષીય ભાવિન રાજુભાઈ કોલડિયા હાલ વરાછા વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો.
ભાવિન હીરા બજારમાં ટ્રેડિંગ સાથે સંકળાયેલો હતો. સોમવારે રાત્રે ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો. ઘટનાની જાણ થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈને ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ભાવિનના પિતાએ જણાવ્યું હતું કે, હીરામાં મંદીને કારણે ભાવિન ટેન્શનમાં રહેતો હતો.