પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો કારમો પરાજય

બેન ડકેટે સદી ફટકારી
જો રૂટની અડિખમ બેટિંગથી ઇંગ્લેન્ડે પાંચ વિકેટે ૩૭૧ રનનો ટારગેટ વટાવી દીધો, ઇંગ્લેન્ડને ૧-૦ની સરસાઈ
લીડ્ઝ,બેન ડકેટની શાનદાર સદી અને જો રૂટની મકકમ બેટિંગની મદદથી ઇંગ્લેન્ડે અહીં રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ભારતને પાંચ વિકેટથી હરાવીને પાંચ મેચની સિરીઝમાં ૧-૦ની સરસાઈ હાંસલ કરી લીધી હતી. મેચના અંતિમ દિવસે મંગળવારે ભારતીય બોલર્સ લાચાર જોવા મળ્યા હતા. તેમાંય ખાસ કરીને જસપ્રિત બુમરાહ મોટા ભાગના સમય દરમિયાન ડ્રેસિંગરૂમમાં રહ્યો હતો જેની પ્રવાસી ટીમને ખોટ પડી હતી. બેન ડકેટે ૧૪૯ રન ફટકાર્યા હતા તો જો રૂટ ૫૩ અને જેમી સ્મિથ ૪૪ રન સાથે અણનમ રહ્યા હતા.
ટેસ્ટ ઇતિહાસની આ એવી માત્ર ત્રીજી ટેસ્ટ હતી જેમાં બંને ટીમે બંને ઇનિંગ્સમાં ૩૫૦+નો સ્કોર રજૂ કર્યાે હોય. ભારત માટે આ મેચમાં પાંચ બેટરે સદી ફટકારી હતી તેમ છતાં તેનો પરાજય થયો હતો તે ટેસ્ટ ઇતિહાસનો પ્રથમ પ્રસંગ બની રહ્યો હતો. લીડ્ઝના હેડિંગ્લે ખાતે રમાયેલી અત્યાર સુધીની બંને વચ્ચેની આઠ ટેસ્ટમાંથી ઇંગ્લેન્ડે પાંચમો વિજય હાંસલ કર્યાે હતો. ભારતે મેચની બંને ઇનિંગ્સમાં નોંધપાત્ર બેટિંગ કરી હતી પરંતુ મેચને અંતે ભારતના પૂંછડિયા ખેલાડીઓની નિષ્ફળતા ભારે પડી ગઈ હતી. આ ઉપરાંત બીજી ઇનિંગ્સમાં ભારતના બોલર્સની નબળાઈ પણ છતી થઈ ગઈ હતી.
સિરીઝની બીજી ટેસ્ટ બીજી જુલાઈથી બ‹મગહામના એજબસ્ટન ખાતે રમાશે.ઇંગ્લેન્ડે વિના વિકેટે ૨૧ રનના સ્કોરથી ઇનિંગ્સ આગળ ધપાવી ત્યારે રમી રહેલા બેન ડકેટે શાનદાર બેટિંગ કરીને તેની કારકિર્દીની છઠ્ઠી સદી પૂરી કરી હતી. પાંચમા દિવસે લંચ સુધીમાં ઇંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવી ન હતી. આમ ભારતીય બોલર્સ વિરામ સમય સુધી લાચાર રહ્યા હતા. અંતે પ્રસિદ્ધ ક્રિષ્ણાને સફળતા મળી હતી. તેણે ઓપનર ઝેક ક્રોલેને આઉટ કર્યાે હતો. રાહુલના હાથમાં કેચ આપી દેતાં અગાઉ ક્રોલેએ ૧૨૬ બોલમાં ૬૫ રન ફટકાર્યા હતા જેમાં સાત ચોગ્ગા સામેલ હતા.
પ્રસિદ્ધ ક્રિષ્ણાએ ત્યાર બાદ તરત જ ઓલિ પોપને પણ પેવેલિયનમાં મોકલી આપતાં મેચ રસપ્રદ બની હતી. જોકે ડકેટ એક છેડે મજબૂત બેટિંગ કરી રહ્યો હતો. તે પોતાની ટીમ માટે વિકેટ તો બચાવી રહ્યો હતો પરંતુ સાથે સાથે સ્કોર પણ આગળ ધપાવી રહ્યો હતો. પહેલી વિકેટ માટે ૧૮૮ રનની ભાગીદારી બાદ ડકેટ અને જો રૂટે ત્રીજી વિકેટ માટે બહુમૂલ્ય ૪૭ રન ઉમેર્યા હતા. અંતે શાર્દુલ ઠાકુરે ભારતને સફળતા અપાવી હતી. આ વખતે પણ ઇંગ્લેન્ડે ઉપરા ઉપરી બે વિકેટ ગુમાવી હતી.
ડકેટ આક્રમક બેટિંગ કરીને ૧૭૦ બોલમાં ૧૪૯ રન ફટકારીને આઉટ થયો હતો જેમાં ૨૧ ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. ડકેટ આઉટ થયો તે પછીના જ બોલે હેરી બ્›ક પણ આઉટ થઈ ગયો હતો. આમ શાર્દુલે ઉપરા ઉપરી બે બોલમાં ભારતને બે સફળતા અપાવી હતી. આ સમયે ઇંગ્લેન્ડની ટીમનો આધાર જો રૂટ પર આવી ગયો હતો. તે છેક સુધી ટકી રહ્યો હતો અને ઇંગ્લેન્ડનો વિજય નિશ્ચિત કરી દીધો હતો. ભારત માટે પ્રસિદ્ધ ક્રિષ્ણા અને શાર્દુલ ઠાકુરે બે બે વિકેટ લીધી હતી તો જાડેજાને ફાળે એક વિકેટ આવી હતી.