Western Times News

Gujarati News

નિતિશ તિવારીની રામાયણમાં સની દેઓલ હનુમાનના રોલમાં જોવા મળશે

‘લાહોર ૧૯૪૭’ વિશે વાત કરતા સની દેઓલે કહ્યું કે આમિર ખાને તેનો સામેથી સંપર્ક કર્યાે હતો

અભિનેતા સની દેઓલ હનુમાન બનવામાં નર્વસ થઈ ગયો

મુંબઈ,સની દેઓલની ‘ગદ્દર ૨’ને મળેલી અણધારી સફળતા અને પછી મૈથરી મુવીઝની ‘જાટ’ને મળેલી સફળતાથી તેની જાણે બીજી ઇનિંગ શરૂ થઈ છે. હવે તેના ફૅન્સને તેની આવનારી ફિલ્મો બાબતે પણ ઘણી ઇન્તેઝારી છે. હવે તેની ‘લાહોર ૧૯૪૭’ અને ‘રામાયણ’ ફિલ્મ આવશે. ત્યારે તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં સની દેઓલે હનુમાનના રોલ વિશે અને લાહોર તેને કઈ રીતે મળી એ અંગે વાત કરી હતી.‘લાહોર ૧૯૪૭’ વિશે વાત કરતા સની દેઓલે કહ્યું કે આમિરે તેનો સામેથી સંપર્ક કર્યાે હતો. તેણે કહ્યું, “આ વિષય મારા અને લાહોરના ડિરેક્ટર રાજકુમાર સંતોષીના મનમાં ઘણા વર્ષાેથી હતો.

અમે ઘણા વર્ષાેથી આના પર ફિલ્મ બનાવવા માગતા હતા, પરંતુ એ શક્ય બનતું નહોતું. ગદ્દર ૨ પછી એ શક્ય બન્યું અને આમિર સીધો જ મારી પાસે આવ્યો અને કહ્યું કે એને આ ફિલ્મ કરવી છે અને હું બહુ ખુશ થઈ ગયો.”સની દેઓલે આગળ કહ્યું, “મેં અને રાજે ભુતકાળમાં ત્રણ ફિલ્મો કરી છે, જેમાં પાત્રોનું ઊંડાણ હતું અને ઉત્કટ લાગણીઓ હતી. આ વિષય પણ બિલકુલ એવો જ છે. આ એક નાટક છે, જેના પરથી ફિલ્મ બની રહી છે, અમે બહુ જલ્દી આ ફિલ્મ બનાવીને રિલીઝ કરીશું. અમે બસ આમિરની ફિલ્મ રિલીઝ થાય એની રાહ જોતાં હતાં.”જ્યારે નિતિશ તિવારીની રામાયણમાં હનુમાનનો રોલ કરવા અંગે નર્વસ હોવાની વાત પણ કરી હતી. સની દેઓલે કહ્યું, “હા હું એ રોલ કરું જ છું અને તેના માટે ઉત્સુક અને ખુશ પણ છું.

બહુ જલ્દી એનું શૂટ શરુ કરીશ. મને લાગે છે એ ફિલ્મ જોરદાર અને સુંદર હશે. હાલ તો હું બસ જઈશ અને તેમણે જે કર્યું છે એ જોઈશ. આવું પાત્ર કરવામાં થોડો ડર અને નર્વસનેસ તો કાયમ હોય જ. પણ મજાની વાત જ એ છે કારણ કે તમારે તમારી જાતે શોધવું પડશે કે તમે આ પડકારને કઈ રીતે લેશો.”સનીએ આ ફિલ્મના મોટા બજેટ અને ખર્ચ અંગે પણ વાત કરી હતી, તેણે કહ્યું, “મને વિશ્વાસ છે કે પ્રોડ્યુસર્સ બહુ સારું કામ કરશે કારણ કે એમને જ કાલ્પનિક અને દૈવી બાબતો પડદા પર યોગ્ય રીતે બતાવવાની છે.

મને આશા છે કે એમાં હોલિવૂડ ફિલ્મથી કંઈ જ ઉતરતું નહીં હોય. રામાયણ ઘણી વખત બની છે અને જ્યારે આ ફિલ્મ પદા પર આવશે તો બધા કલાકારોએ જે રીતે કામ કર્યું છે, તે આ મહાકથાને ન્યાય કરશે અને લોકોને પણ આ જોઇને સંતોષ થશે અને મજા આવશે.” આ સાથે સની દેઓલે રનબીર કપૂર સાથે કામ કરવાના અનુભવની વાત કરીને તેના વખાણ પણ કર્યા હતા. તેણે કહ્યું, “એ બહુ સારો કલાકાર છે એટલે કામ કરવાની બહુ મજા આવશે. તે જે ફિલ્મ હાથમાં લે તેના માટે સંપુર્ણ સમર્પિત હોય છે.” આ ફિલ્મ ૮૩૫ કરોડના બજેટ સાથે બે ભાગમાં બની રહી છે, જેમાં રનબીર કપૂર સાથે સાઇ પલ્લવી અને યશ જેવા કલાકારો પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.