Western Times News

Gujarati News

મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરી પ્રેસની સ્વતંત્રતા ખતમ કરવામાં આવી હતીઃ મોદી

કટોકટીના ૫૦ વર્ષ પૂરા થવા અંગે મોદીનું નિવેદન

નવી દિલ્હી, દેશમાં આજથી ૫૦ વર્ષ પહેલાં કટોકટી લાદવામાં આવી હતી. કેન્દ્ર સરકાર આજે ૨૫ જૂન, ૨૦૨૫ના રોજ નવી દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે દેશની સ્વતંત્રતા બાદના ઈતિહાસના સૌથી કાળા પ્રકરણો પૈકી એક કટોકટીને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવશે.

ગતવર્ષે ૨૦૨૪માં કેન્દ્ર સરકારે ૨૫ જૂન, ૧૯૭૫માં લાદવામાં આવેલી કટોકટીના દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. આ દિવસને યાદ કરતાં વડાપ્રધાન મોદીએ આજે એકસ પર પોસ્ટ કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એકસ પર પોસ્ટ કરી હતી કે, આજે ભારતના લોકતંત્રના ઈતિહાસમાં સૌથી કાળા અધ્યાયો પૈકી એક કટોકટીને ૫૦ વર્ષ પૂરા થયા છે. દેશના લોકો આ દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે માને છે. આ દિવસે ભારતના બંધારણના મૂલ્યોની અવગણના કરવામાં આવી હતી. મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરી પ્રેસની સ્વતંત્રતા ખતમ કરવામાં આવી હતી.

અનેક રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ, અને સામાન્ય નાગરિકોને જેલ ભેગા કર્યા હતા. તે સમયે શાસન કરી રહેલી કોંગ્રેસ સરકારે લોકતંત્રને બંધક બનાવ્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમે કટોકટી વિરૂદ્ધ લડાઈમાં અડગ રહેનારા દરેક વ્યક્તિને સલામ કરીએ છીએ. આખા ભારતમાંથી, દરેક ક્ષેત્રમાંથી, અલગ-અલગ વિચારધારાઓમાંથી લોકો આવ્યા હતાં.

જેમનો એક જ ઉદ્દેશ હતો એકબીજા સાથે મળીને કામ કરવું. ભારતના લોકશાહી ઢાંચાની રક્ષા કરવી અને તેના આદર્શોને જાળવી રાખવા. તેના માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આ તેમનો સામૂહિક સંઘર્ષ હતો. જેના લીધે તે સમયની કોંગ્રેસ સરકારે લોકશાહીની પુનઃસ્થાપના કરવી પડી. નવેસરથી ચૂંટણી કરાવવી પડી અને તેમાં કારમી હારનો સામનો કર્યો.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આપણે આપણા બંધારણના સિદ્ધાંતોને મજબૂત કરવા અને વિકસિત ભારતના સપનાને સાકાર કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. અમે નવા વિકાસની ઊંચાઈઓએ પહોંચ્યા છીએ. ગરીબ અને વંચિતોનું સપનું પૂરુ કરીએ. વડાપ્રધાન મોદી કટોકટી દરમિયાન યુવાવસ્થામાં હતા. આ દરમિયાન તેમણે પોતાની ભૂમિકા અને પોતાના મિત્રોના અનુભવોના આધારે એક પુસ્તક લખ્યું છે.

નવી દિલ્હીમાં આયોજિત એક સેમિનારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇમરજન્સીના ૫૦ વર્ષ પૂર્ણ થતા પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે આ ક્ષણને દેશના લોકતાંત્રિક ઇતિહાસની મહત્વની ક્ષણ ગણાવતા કહ્યું કે, “જ્યારે કોઈ પણ સારી કે ખરાબ ઘટનાને ૫૦ વર્ષ થઈ જાય છે, ત્યારે લોકો તેને ભૂલવા લાગે છે. યાદશક્તિ ઝાંખી પડી જાય છે, પરંતુ આપણે ઇમરજન્સી જેવા કાળા અધ્યાયને ક્્યારેય ન ભૂલવો જોઈએ.”

અમિત શાહના જણાવ્યા અનુસાર, આ ઇમરજન્સીના સમયની લડાઈ જ હતી કે જેણે ભારતમાં લોકતંત્રને જીવંત રાખ્યું અને એ દર્શાવ્યું કે ભારતની જનતા ક્્યારેય તાનાશાહીને સ્વીકારતી નથી. અમિત શાહે કહ્યું કે, ઇમરજન્સી દરમિયાન માત્ર લોકતંત્રનું ગળું જ ન હતું દબાવવામાં આવ્યું, પરંતુ હજારો પરિવારોનું જીવન પણ પ્રભાવિત થયું હતું. તેમણે કહ્યું, “અનેક કારકિર્દીઓ બરબાદ થઈ ગઈ, લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને અભિવ્યક્તિની આઝાદી છીનવી લેવામાં આવી.”

અમિત શાહે જણાવ્યું કે, ગૃહ મંત્રાલયે ગયા વર્ષે ૨૫ જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે મનાવવા નોટિફિકેશન જાહેર કર્યું હતું, જેથી નવી પેઢીને આ કાળા અધ્યાયની જાણકારી રહે. અમિત શાહે કહ્યું કે, “જ્યારે પેઢીઓ બદલાય છે, ત્યારે આવા વિષયો પર સેમિનારનું આયોજન કરવું જરૂરી બની જાય છે, જેથી લોકો ઇતિહાસમાંથી શીખ લે.”

ગૃહમંત્રીએ કહ્યું કે, “ભારત લોકતંત્રની જનની છે. આપણા સંવિધાન નિર્માતાઓએ જનતાની ભાવનાઓને શબ્દોમાં વ્યક્ત કરી છે, પરંતુ ૧૯૭૫માં લાગુ કરવામાં આવેલી ઇમરજન્સી એવો સમય હતો, જ્યારે લોકતંત્રની હત્યા થઈ.” અમિત શાહે એમ પણ કહ્યું કે, “તાનાશાહ અને તેમના નજીકના લોકો સિવાય કોઈ પણ તે સમયે ખુશ નહોતું. આ જ કારણ હતું કે ઇમરજન્સી પછી દેશે પહેલી વખત બિન-કોંગ્રેસી સરકાર પસંદ કરી.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.