વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સંપન્ન

(એજન્સી)અમદાવાદ, શહેરમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા ૨૭મી જુલાઈએ શુક્રવારે નીકળવાની છે. તે પહેલા આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિની સાથે ગજરાજ પૂજન પણ કરાવવામાં આવ્યું છે. આજે ત્રણેય ભાઈ-બહેનોના આંખે પાટા બાંધવામાં આવ્યા છે.
આ પાટા અષાઢી બીજે રથયાત્રાના આગમન પહેલાં મંગળા આરતીના સમયે ખોલવામાં આવશે. પરંપરા અનુસાર, મોસાળમાંથી ઘરે આવેલા ત્રણેય ભાઈ-બહેનને આંખ આવતાં તેમની આંખે પાટા બાંધવામાં આવે છે. આ વિધિમાં સમિતિના ટ્રસ્ટી ઉપરાંત સંતો-મહંતોએ હાજરી આપી હતી.
અમદાવાદમાં રથયાત્રાના ૧૫ દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈઓ અને જાંબુ વધારે પ્રમાણમાં આરોગે છે. જેના કારણે તેમની આંખો આવી જાય છે. અમાસને દિવસે ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફરે છે. તેમને આંખ આવેલી હોવાથી આરામ મળે તે માટે તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. જેથી ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી રાખવામાં આવે છે. આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.
ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રભુની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. આજે મોટી સંખ્યામાં ભાવિકો પ્રભુ જગન્નાથના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. રથયાત્રા પહેલા ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રથયાત્રાના રુટનું નિરીક્ષણ કર્યું છે. રુટનું નિરીક્ષણ કરવા માટે ગયેલા ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું લોકોએ સ્વાગત કર્યું છે.
રથયાત્રાના દિવસે કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભક્તો માટે પ્રસાદની પણ તૈયારીઓ ચાલી રહી છે. પ્રભુ જગન્નાથના ધામમાં ભક્તોને કાળી રોટી-ધોળી દાળનો પ્રસાદ આપવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલે છે. જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાજીએ કાળી રોટી ધોળી દાળનો પ્રસાદ આપવાની શરૂઆત કરી હતી. જેની પાછળનો મુખ્ય હેતુ હતો. ભક્તોને સાÂત્વક ભોજન કરાવવાનો.
કાળી રોટી એટલે માલપુવા અને ધોળી દાળ એટલે દૂધપાક આજે પણ નિજ મંદિરે આવતા ભક્તોને માલપુવા અને દૂધપાકનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. તેમજ ભક્તોને ઘરે લઈ જવા માટે પણ માલપુવા, બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવે છે.
અમદાવાદમાં હવેથી ઠીક બે દિવસમાં ૧૪૮મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવાની છે. રથયાત્રાની તૈયારીઓ હાલ તો અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિર ખાતે ચાલી રહી છે. રથયાત્રા શહેરમાં ધામધૂમથી ઉજવાય તે માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
ત્યારે રથયાત્રા રથની સાથે સાથે અનેક અખાડા તેમજ ભજન મંડળીઓ જોડાતી હોય છે. તો રથની પૂર્વે ગજરાજ એટલે કે શણગારેલા હાથીઓ રથયાત્રાનું અનેરું આકર્ષણ ઊભું કરે છે. ત્યારે ઠીક બે દિવસ બાદ યોજાનાર રથયાત્રામાં આ વર્ષે ૧૭ જેટલા હાથીઓ પણ જોડાવાના છે. આ હાથીઓની શારીરિક-માનસિક હેલ્થની દરકાર અમદાવાદ જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા લેવામાં આવી રહી છે.
૨૭ જૂને યોજાનારી અમદાવાદની રથયાત્રામાં ૧૮ ગજરાજો, ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળીઓ ભાગ લેશે. આ ઉપરાંત ૧૨૦૦ ખલાસીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાશે.