સાવરકુંડલામાં ૫ વર્ષના બાળકને સિંહે ફાડી ખાધો

(એજન્સી)અમરેલી, જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંયા સિંહે એક ૫ વર્ષના બાળકને ફાડી ખાધો છે. જેના કારણે આ બનાવ હાલ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. થોરડી અને રાજુલાની બોર્ડર વિસ્તારમાં આ બનાવ બન્યો છે.
જેમાં મધ્યપ્રદેશથી એક પરિવાર ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. બાળકનું નામ ગુલસિંહ હરિલાલ અજનેરા હોવાનું સામે આવ્યું છે અને આ બાળકની ઉંમર ૫ વર્ષ હોવાનું સામે આવ્યું છે. બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો સાવરકુંડલાના થોરડી ગામનો આ બનાવ છે કે જ્યાં ૫ વર્ષના બાળકને સિંહે ફાડી ખાધો છે.
સિંહ બાળકને પરિવાર વચ્ચેથી ઉપાડીને ઝાડી ઝાંખરામાં ઢસડી લઈ ગયો અને ત્યાં તેનું મારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે વન વિભાગની ટીમે હાલ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે શેત્રુંજી ડિવિઝન અને ગીર પૂર્વ ડિવિઝન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે.
જેમાં સિંહને પાંજરે પૂરવા માટે હવે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવશે. સિંહ દ્વારા બાળકનું મારણ કર્યા હોવાનો આ બનાવને લઈને લોકો પણ નવાઈ પામી ગયા છે. સાથે જ હવે આ વિસ્તારમાં સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે. જેથી સિંહને પકડી પાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ૫ વર્ષના બાળકના મોતને લઈને હાલ તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવાર વચ્ચેથી બાળકને સિંહ ઉપાડીને લઈ ગયો અને તેનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને હાલ વન વિભાગની ટીમ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. જેમાં સિંહને પકડી પાડવા માટે હવે ટૂંક સમયમાં ઓપરેશન હાથ ધરવામાં આવશે.