અમદાવાદ ગ્રામ્યની ૬૮૬ પ્રાથમિક અને ૨૩૬ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યક્રમનું આયોજન કરાશે

file photo
અમદાવાદ જિલ્લામાં ૨૬થી ૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન
અમદાવાદ શહેરમાં સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે
મહાનુભાવોના હસ્તે કુલ ૯૦૮૬૨ બાળકોનો શાળા પ્રવેશોત્સવનું આયોજન
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૫નું આયોજન કરવામાં આવેલું છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ૨૬થી ૨૮ જુન-૨૦૨૫ દરમિયાન અમદાવાદ જિલ્લામાં સરકારી બાલવાટિકા, સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ કાર્યક્રમ યોજવામાં આવનાર છે.
જેમાં અમદાવાદ ગ્રામ્યની ૬૮૬ પ્રાથમિક, ૨૩૬ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાનાર છે. બાલવાટિકામાં કુલ-૧૪૫૩૩, ધોરણ-૧ માં કુલ-૧૬૭૭૭, ધોરણ-૯માં કુલ -૩૨૭૬૭ અને ધોરણ-૧૧માં કુલ -૨૬૭૮૫ એમ કુલ ૯૦૮૬૨ બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રવેશ આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે.
આ ઉપરાંત રાજ્યકક્ષાએથી કુલ-૧૫ જેટલા જુદા-જુદા વિભાગોના આઈ.એ.એસ.. આઈ.પી.એસ. ડૉ. નીરજા ગોટરુ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન શ્રી હિમાંજય પાલીવાલ, અમદાવાદ જિલ્લાના કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તેમજ રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રી પ્રકાશ ત્રિવેદી તથા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ડૉ. એમ.આઈ.જોશી. જેવા ઉચ્ચ કક્ષાના અધિકારીશ્રીઓની સાથે સાથે જિલ્લાકક્ષાના વર્ગ-૧ અને ૨નાં અધિકારીશ્રીઓ પણ જોડાનાર છે.
ઉપરાંત જિલ્લા પંચાયત અમદાવાદના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના ચેરમેનશ્રી, તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તથા અમદાવાદ જિલ્લાના ૬ જેટલા ધારાસભ્યોશ્રી પણ આ કાર્યક્રમમાં જોડાનાર છે. શાળા કક્ષાએ આ કાર્યક્રમ સવારે ૮.૦૦ કલાકેથી શરૂ કરી ૧૩.૩૦ કલાકે પૂર્ણ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત અધિકારીશ્રી/પદાધિકારીશ્રીઓ ૩ દિવસ ફાળવવામાં આવેલ પ્રવેશોત્સવના રૂટમાં ફરજ બજાવશે. જેમાં ૧ દિવસની ત્રણ શાળાઓનો એક રૂટમાં સમાવેશ કરવામાં આવેલ છે. એમ અમદાવાદ જિલ્લાના કુલ- ૯૬ રૂટો બનાવવામાં આવેલ છે.