ભારતીય ટીમના કંગાળ દેખાવ બાદ શાર્દુલને હટાવી કુલદીપને સામેલ કરવાની માંગણી

સ્પિનર કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવાની માગણી
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ભારત બીજી ટેસ્ટમાં કુલદીપ યાદવને સમાવે તેવી માંગ
લંડન,ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે અને તેની પહેલી ટેસ્ટમાં લીડ્ઝ ખાતે મંગળવારે ઇંગ્લેન્ડ સામે ભારતનો પાંચ વિકેટે પરાજય થયો હતો. ભારતના કંગાળ દેખાવની આકરી ટીકા થઈ રહી છે ત્યારે બીજી જુલાઈથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટમાં મોટા ફેરફાર થાય તેવી અપેક્ષા રખાય છે. ખાસ કરીને ઝડપી બોલર શાર્દુલ ઠાકુરને સ્થાને સ્પિનર કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરાય તેવી માગણી થઈ રહી છે.
મેચ બાદ ચીફ કોચ ગૌતમ ગંભીરે કેપ્ટન શુભમન ગિલના આ મેચમાં શાર્દુલને ઓછી ઓવર આપવાના નિર્ણયનો બચાવ કર્યાે હતો પરંતુ બીજી ટેસ્ટમાં તેની પસંદગી થાય તેવી શક્યતા ખાસ દેખાતી નથી.ડિસેમ્બર ૨૦૨૩ બાદ શાર્દુલ ઠાકુર પહેલી વાર ટેસ્ટ રમી રહ્યો હતો જેમાં તેને અન્યની સરખામણીએ ઓછી ઓવર આપવામાં આવી હતી. જોકે તેણે બેટિંગમાં પણ નિરાશ કર્યા હતા. ઓલરાઉન્ડર મનાતા ઠાકુરે મેચમાં બંને ઇનિંગ્સમાં મળીને ૨૦ બોલ રમીને પાંચ રન કર્યા હતા.મેચ દરમિયાન એક સ્પેશિયાલિસ્ટ બોલર તરીકે રમતો હોવા છતાં શાર્દુલને જે રીતે ઓછી ઓવર અપાઈ તેનાથી આશ્ચર્ય સર્જાયું હતું.
મુંબઈના આ બોલરે પ્રથમ ઇનિંગ્સમાં છ અને બીજી ઇનિંગ્સમાં દસ ઓવર બોલિંગ કરી હતી જેમાં બીજી ઇનિંગ્સમાં તેણે બે વિકેટ લીધી હતી.પાંચમા દિવસે ભારતના વળતા પ્રહારની કોઈ આશા રહી ન હતી ત્યારે શાર્દુલે ઉપરા ઉપરી બે વિકેટ ઝડપીને ભારત માટે આશા પેદા કરી હતી પરંતુ ત્યાર બાદ તે પોતાનો પ્રભાવ જાળવી શક્યો ન હતો. તેની સાથે પ્રસિદ્ધ ક્રિષ્ણાએ પણ બે વિકેટ લીધી હતી પરંતુ છેલ્લી ઘડીએ બુમરાહની ગેરહાજરીમાં આ બંને બોલર ખાસ પ્રભાવ દાખવી શક્યા ન હતા.ભારતે આ ટેસ્ટના મોટા ભાગના સમયે મેચ પર અંકુશ દાખવ્યો હતો પરંતુ પાંચમા દિવસે બપોર બાદ પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી.
આમ છતાં ટીમના પ્રદર્શનને જોતાં ખાસ ચિંતા કરવાની જરૂર નથી તેમ છતાં એજબસ્ટન ખાતેની ટેસ્ટમાં કાદ બે ફેરફાર થાય તેવી પૂરી શક્યતા રહેલી છે.ક્રિકેટ સમીક્ષકો પહેલી ટેસ્ટમાં કુલદીપ યાદવના સમાવેશની તરફેણ કરતા હતા અને હવે લીડ્ઝમાં બોલિંગમાં નિષ્ફળતા બાદ તેઓ મજબૂત રીતે કુલદીપના સમાવેશની માગણી કરી રહ્યા છે.ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને ઇંગ્લેન્ડમાં સફળ રહેલા દિલીપ વેંગસરકરે જણાવ્યું હતું કે કુલદીપની ટીમમાં જરૂર છે. ચાર પેસર સાથે રમવાનું કોઈ કારણ નથી.
તેના કરતાં શાર્દુલ કે પ્રસિદ્ધ ક્રિષ્ણાને સ્થાને કુલદીપ યાદવને સમાવવો જરૂરી છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે પણ આવો જ અભિપ્રાય આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ભારતે એક ફેરફાર કરવાની જરૂર છે અને એજબસ્ટનમાં શાર્દુલને સ્થાને કુલદીપને તક આપવી જરૂરી છે. હું એમ કહેતા દિલગીરી અનુભવું છું પરંતુ આગામી ટેસ્ટમાંથી શાર્દુલને બહાર રાખી દેવો જોઇએ.SS1