પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે ભારત સાથેના તમામ વિવાદ ઉકેલવા મંત્રણાની તત્પરતા દર્શાવી

પાકિસ્તાન આતંકવાદને સમર્થન બંધ ન કરે ત્યાં સુધી વાટાઘાટો શક્ય નથીઃ ભારતની સ્પષ્ટ વાત
ઈસ્લામાબાદ,પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે ભારત સાથે તમામ પડતર મુદ્દા સંદર્ભે અર્થસભર વાટાઘાટો શરૂ કરવાની તત્પરતા દર્શાવી છે. ૨૨ એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો તણાવગ્રસ્ત બન્યાં છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર થયેલી વાતચીત દરમિયાન શરીફે ભારત સાથેના સંબંધો સુધારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વાતચીત સંદર્ભે રેડિયો પાકિસ્તાને જણાવ્યુ હતું કે, શરીફે જમ્મુ-કાશ્મીર, પાણી, વેપાર અને આતંકવાદ સહિત તમામ પડતર મુદ્દે ભારત સાથે અર્થસભર વાટાઘાટો કરવાની તૈયારી દર્શાવી હતી.
અગાઉ અઝરબૈઝાન અને ઈરાન મુલાકાત દરમિયાન પણ શરીફે ભારત સાથે વાટાઘાટો મારફતે ભારત સાથેના તમામ વિવાદને વાટાઘાટો મારફતે ઉકેલવાની તૈયારી દર્શાવી હતી. ભારતના વલણનો પુનરોચ્ચાર કરતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિનો અમલ નહીં થાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે તેમ, ટેરર અને ટોક, ટેરર અને ટ્રેડ સાથે થઈ શકે નહીં. પાણી અને રક્ત એક સાથે વહી શકે નહીં.પાકિસ્તાને એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB) સાથે ૩૫૦ મિલિયન ડોલરની લોન માટે કરાર કર્યા છે.
આ લોન મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે આપવામાં આવશે. ACB સેકટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત વીમેન ઈન્ક્લુઝિવ ફાઈનાન્સ (WIF) અન્વયે આ કરાર થયા છે. આ લોનથી મહિલાઓને નાણાકીય સદ્ધરતા સાથે રોજગારની નવી તકોનું સર્જન કરવામાં મદદ મળશે. ૨૦૨૪-૨૫ના ઈકોનોમિક સર્વે મુજબ, વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ૯ મહિનામાં પાકિસ્તાનનું દેવું વધીને ૭૬,૦૦૦ અબજ પાકિસ્તાની રૂપિયા થયું છે. આ સાથે પાકિસ્તાનના અર્થતંત્રમાં આ વર્ષે ૨.૭ ટકાની નજીવી વૃદ્ધિ થવાની પણ સંભાવના છે. ગત વર્ષે પાકિસ્તાનને ૭ અબજ ડોલરની લોન આપવા IMF સંમત થયું હતું. તેમાંથી બે હપ્તા પાકિસ્તાનને મળી ગયા છે. હવે પાકિસ્તાનને ચીનની બેન્કો પાસેથી ૩.૩ અબજ ડોલરની લોન મળે તેવી શક્યતા છે.SS1