Western Times News

Gujarati News

જંબુસર મહાપુરા ગામે જવાના માર્ગે રેલ્વે દ્વારા આપવામાં આવેલ ડાઈવર્ઝન માથાના દુખાવા સમાન

વાહનો ફસાઈ જવા સાથે ૧૦૮ પણ ગામમાં આવી નહીં શકતા લોકોમાં રોષ ઃ વહેલી તકે સમારકામ થાય તેવી માંગ

ભરૂચ, જંબુસર મહાપુરા ગામે જવાના માર્ગે રેલ્વે દ્વારા આપવામાં આવેલ ડાઈવર્ઝન માથાના દુખાવા સમાન બન્યો છે. ભરૂચ જીલ્લાના જંબુસર મહાપુરા જવાના મુખ્ય જોડતા રોડ રેલવે પાસેથી પસાર થાય છે.હાલમાં જ વરસાદ પહેલા આ રેલ્વેના કોન્ટ્રાકટર દ્વારા માટી કામ કરવામાં આવ્યુ છે.

આ માટી કામ છેક રોડ સુધી માટી પુરાણ કરી દીધી છે.આ રેલ્વે કોન્ટ્રાકટર દ્વારા સાઈડ પર પાણીનો કોઈ નિકાલ રાખેલ નથી જેથી માટી ધોવાયને રોડ પર આવે છે અને ખુબ મોટા પાયે કીચડ થાય છે.

બીજું કે રેલ્વેનું નાળુ બનાવી દેવાથી મહાપુરા જવા ખાડામાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ ડાયવર્ઝન માટીથી બનાવવામાં આવ્યું છે.ડાયવર્ઝન ઉપરથી ગામના લોકો વાહનો લઈને જાય છે તો એમના અનેક વાહનો ફસાઈ જાય છે.સ્કૂલે આવતા જતા નાના બાળકો પણ સાયકલ લઈને ઘણીવાર પડી ગયા છે.

આ રેલવેના કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં તે લોકોનું પેટનું પાણી હલતું નથી એ લોકો તેમના માણસોને મોકલી દે છે.તેમના માણસો આવે છે તે મન ફાવે,જેવા તેવા,જ્યાં ફાવે ત્યાં ફેંકીને જતા રહે છે.

ઘણીવાર તો આ લોકો એવા ઢગલા કરી દે છે તો મહાપુરા ગામે જવાના રસ્તા બન્ને બાજુથી બંધ કરી દે છે.મહાપુરા ગામની અંદર જો કોઈ બીમાર થાય અને ૧૦૮ ને કોલ કરે તો આ ૧૦૮ ગામમાં આવી ના શકે એવી પરિસ્થિતિ ઊભી કરી દે છે.જો કોઈ બીમાર પડે અને કોઈ તકલીફ ઊભી થાય તેની જવાબદારી કોની તે ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.વહેલી તકે આ વિકટ પરિસ્થિતિનો ઉકેલ લાવવામાં આવે તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.