વડોદરાના દેવ ડેમમાંથી પાણી છોડાતાં ૮ ગામો સંપર્કવિહોણાં

File Photo
વડોદરા, વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના દેવડેમમાંથી પપ૮૬ ક્યુસેક પાણી ઢાઢર નદીમાં છોડવામાં આવ્યું છે. આ પાણી રાજલીથી મંડાળા, થુવાવી ક્રોસિંગથી બનૈયા, સીમલીયાથી વાઘોડિયા તરફ જતો માર્ગ પર ફરી વળતા તે બંધ થયા છે.
જેના કારણે તાલુકાના સાતથી આઠ જેટલા ગામો હાલ સંપર્ક વિહોણા થઈ ચૂકયા છે. ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવકને લઈ પંચમહાલના દેવાડેમમાંથી પપ૮૬ ક્યુસેક પાણી છોડાતા ડભોઈ તાલુકાના થુવાવીથી અંગુઠન, રાજલી, મંડાળાનો માર્ગ કેડ સમા પુરના પાણી ફરી વળતા બંધ કરાયો હતો. જયારે ઢાઢર કાંઠાના ડાંગીવાડા, વીરપુરા, બબોજ, અમરેશ્વર અને સુરતીપુરા સંપર્ક વિહોણા બન્યા હતા.
જયારે બનૈયા વિખૂટું પડી જતા ચિંતા વ્યાપી જવા પામી હતી. એટલું જ નહી સીમળીયાથી વાઘોડિયા જતા માર્ગ પર પણ પાણી ફરી વળતા માર્ગ બંધ કરાયો હતો. આમ સતત વરસી રહેલા વરસાદ અને પૂરના પાણીએ ગ્રામ્ય વિસ્તારોને રીતસર ઘમરોળ્યા હતા.
View this post on Instagram
દેવડેમમાંથી છોડાયેલા પપ૮૬ ક્યુસેક પાણીને કારણે દેવ નદી અને ઢાઢર નદીમાં ઘોડાપુર આવ્યા હતા. ઢાઢર નદીમાં પંચમહાલ જીલ્લામાં અને બોડેલી તાલુકામાં પડેલા મુશળધાર વરસાદને કારણે ઘોડાપુર આવ્યું હતું. દેવડેમ અને ઢાઢરના પૂરનું પાણી સીમળીયા અને અમરેશ્વર વચ્ચેના માર્ગ પર ફરી વળ્યા હતા. એક બાજુ દેવડેમમાંથી દેવ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.
લોકને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચનાઓ અપાઈ છે ત્યારે બીજીબાજુ જાંબુઘોડાના જંગલમાંથી નીકળતી ઢાઢર નદીમાં પણ ઘોડાપુર આવતા જેની અસરથી ડભોઈ તાલુકાના સીમળીયાથી વાઘોડિયા જતા માર્ગ પર આવેલ અમરેશ્વર ગામ અને આજુબાજુના ખેતરો, કોતરો અને તળાવો જળબંબાકાર થઈ ગયા હતા. દૂરદૂર સુધી પાણી જ પાણી દેખાતું હતું. અમરેશ્વર ગામની નવીનગરીના રપથી વધુ મકાનોમાં ઢાઢરના પાણી ઘુસ્યા હતા જેથી ગામલોકોના જીવ પડીકે બંધાયા હતાં.