આસારામ આશ્રમ અને સદાશીવ આશ્રમની જમીનનો કબજો એક મહિનાની અંદર લેવામાં આવશે

૮૦ હજાર ચો.મી.માં ફેલાયેલા ભારતીય સેવા સમાજ આશ્રમનો કબજો લેવાયો-હાઈકોર્ટે આશ્રમની તમામ રજૂઆતો ફગાવી નાંખતા સાબરમતી મામલતદારે કાર્યવાહી કરી
(એજન્સી)અમદાવાદ, સાબરમતી મામલતદાર કચેરીએ ૮૦૯૪૦ ચોરસ મીટરની જગ્યામાં ફેલાયેલ ભારતીય સેવા સમાજના આશ્રમનો કબજો લેવાયો. હવે આસારામ આશ્રમનો કબજો લેવાશે. ભારતીય સેવા સમાજ સહિત સદાશીવ આશ્રમ અને આસારામ આશ્રમની જગ્યા પર સરકારનું નામ દાખલ કરી દેવાતા તમામ પક્ષકારોએ હાઈકોર્ટ ગયા હતા.
હાઈકોર્ટે મામલતદાર કચેરીએ કરેલી કાર્યવાહીને માન્ય રાખી મંજૂરી આપતાં જમીનનો કબજો સાબરમતી મામલતદાર કચેરી દ્વારા લઈ ત્યાં સરકારી જગ્યા હોવાનું બોર્ડ પણ મારી દેવામાં આવ્યું હતું. ત્યારે મહત્ત્વનું છે કે, વર્ષ ૧૯૬૪માં અમદાવાદ કલેકટરના હુકમથી આ જગ્યા ભારતીય સેવા સમાજને આપી હતી.
જો કે, આશ્રમ દ્વારા સરકારની શરતોને ભંગ કરવાની જાણ થતાં જમીન ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી. આવનારા દિવસોમાં આસારામ આશ્રમ અને સદાશીવ આશ્રમનો પણ કબજો એક મહિનાની અંદર લેવામાં આવશે.
અમદાવાદના કલેકટર સુજીત કુમારના માર્ગદર્શન હેઠળ ચાલેલ કામગીરીમાં પૂરતા પુરાવાઓ ભેગા કરી આશ્રમ વિરૂદ્ધ શરતભંગની ફરિયાદોને હકીકતમાં પૂરવાર કરવામાં આવી હતી. શરતભંગમાં એવું છે કે, જ્યારે ૧૯૬૪ જ્યારે આ જમીનની ફાળવણી કરાઈ ત્યારથી એક વર્ષની અંદર તેનો ઉદ્દેશ્ય પૂર્ણ થવો જોઈતો હતો
પરંતુ આશ્રમ દ્વારા મોટાભાગની જમીન વણવપરાયેલ હોવાના કારણે શરતભંગ ગણાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી આશ્રમ દ્વારા મહેસૂલ ભર્યો ન હતો જેના લીધે સરકાર દ્વારા આ જમીનનો કબજો લેવાયો હતો. સાબરમતીના મામલતદાર નિલેશ રબારીએ કહ્યું કે, આશ્રમે જમીન પચાવી પાડવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. જો કે, હાઈકોર્ટ સમક્ષ તમામ પુરાવા જમા કરાવાતા કોર્ટે અમારી કાર્યવાહીને માન્ય રાખી હતી. આશ્રમની તમામ દલીલો કોર્ટે ફગાવી દીધી હતી.