વડોદરાની ફાઇનાન્સ કંપનીએ રૂપિયા ૪૮.૯૦ લાખ પડાવ્યા

૧૦૦૦ કરોડની લોનની વાતો કરી મુંબઇના વસઇ વિસ્તારમાં રહેતા લોન એજન્ટે ધનલક્ષ્મી ફીનકોર્પના સંચાલકોની સામે નોંધાવી ફરિયાદ
વડોદરા,વડોદરા રેલવે સ્ટેશન નજીક જેતલપુર રોડ વિસ્તારમાં આવેલી એક ફાઇનાન્સ કંપનીએ મુંબઈના એજન્ટના બે કલાઈન્ટને લોન અપાવવાના નામે છેતરપિંડી કરતા સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મુંબઈના વસઈ ખાતે રહેતા અને લોન એજન્ટ તરીકે કામ કરતા વિશાલ બનૅવાલે પોલીસ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે, ઓગસ્ટ ૨૦૨૩માં બિનીતા કંસારા એ ફોન કરી વડોદરાની ધનલક્ષ્મી ફીનકોપૅ માંથી વાત કરતી હોવાનું કહી તેમની કંપની એક કરોડથી ૧૦૦૦ કરોડ સુધીની લોન અપાવે છે તેમ કહ્યું હતું.
બિનીતાએ એમ પણ કહ્યું હતું કે લોનની ટર્મ્સ અને કન્ડિશન જાણવી હોય તો જેતલપુર રોડના ઇન્ડિયા બુલ્સ ખાતે આવેલી તેમની ઓફિસમાં રૂબરૂ આવવું પડશે. જેથી હું વડોદરા કંપનીની ઓફિસમાં આવ્યો હતો.વિશાલે કહ્યું છે કે, મારા ફ્લાઇટ રવિશંકર ક્રિષ્નારાજેયાને લેક રિસોર્ટ ના પ્રોજેક્ટ માટે ૩૦ કરોડની લોન જોઈતી હોવાથી મેં આ કંપનીનો સંપર્ક કરાવ્યો હતો. જેથી તેની પાસેથી લોન પ્રોસેસ તેમજ વિવિધ ચાર્જ પેટે ૧૮.૫૦ લાખ લેવામાં આવ્યા હતા.
આવી જ રીતે બીજા ક્લાઈન્ટ વૈજનાથ સાવન ને એગ્રો ઇન્ડસ્ટ્રીઝ માટે ૫૦ કરોડની લોન જોઈતી હોવાથી તેની પાસે પણ ૩૦.૪૦ લાખ પડાવી લેવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ લોન થઈ ન હતી અને રકમ પણ પરત મળી ન હતી. જેથી પોલીસે ફાઇનાન્સ કંપનીના સંચાલક જયેશ મગનલાલ પટેલ, જયેશ બાબુભાઈ પટેલ, બિનિતા કંસારા અને રીતુ દવે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1