માથામાં બોલ વાગે તેવા સંજોગોમાં ક્રિકેટર સાત દિવસ સુધી બહાર

આઇસીસીએ નવો નિયમ જારી કર્યા
આ ઉપરાંત વાઇડ બોલ માટે પણ નવો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે અને બાઉન્ડ્રી માટેના નિયમમાં પણ ફેરફાર કરાયા છે
દુબઈ,ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઇસીસી) શુક્રવારથી રમતના ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, વન-ડે અને ટી૨૦ ક્રિકેટમાં નવી પ્લેઇંગ કન્ડિશનની જાહેરાત કરી હતી જે મુજબ હવે કોઈ ખેલાડીના માથામાં ઇજા (કન્કશન) થાય અને મેડીકલ ટીમ તેના ઇજાગ્રસ્ત જાહેર કરે તેવા સંજોગોમાં તે સાત દિવસ સુધી મેદાન પર પરત આવી શકશે નહીં. આ ઉપરાંત વાઇડ બોલ માટે પણ નવો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે અને બાઉન્ડ્રી માટેના નિયમમાં પણ ફેરફાર કરાયા છે.
નવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (૨૦૨૫-૨૦૨૭)નો શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ સિરીઝથી પ્રારંભ થયો છે અને તે સાથે આ નવા નિયમ અમલી બનાવવામાં આવ્યા હોવાનું આઇસીસીએ જાહેર કર્યું હતું.આ જ બે ટીમ વચ્ચેની આગામી લિમિટેડ ઓવરની સિરીઝ સાથે વન-ડે અને ટી૨૦માં પણ નવા નિયમો અમલી બની જશે. બીજી જુલાઈથી શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રણ વન-ડે અને દસમી જુલાઈથી ત્રણ ટી૨૦ મેચની સિરીઝ રમાનારી છે. કન્કશન પ્લેયર માટેના નિયમ અંગે આઇસીસીએ જણાવ્યું હતું કે તેમાં બે પરિવર્તન લાવવામાં આવ્યા છે.
વિવિધ ટીમોએ હવે દરેક મેચ માટે ખાસ કન્કશન રિપ્લેસમેન્ટ પ્લેયર જાહેર કરી દેવાનો રહેશે. આમ થવાથી ગૃહટીમને હવે વધારાનો લાભ મળશે નહીં કેમ કે અગાઉ ગૃહટીમ સંખ્યાબંધ ખેલાડીમાંથી એકની પસંદગી કરતી હતી.આઇસીસીએ એમ પણ જાહેરાત કરી હતી કે કોઈ ખેલાડી કન્કશનમાં ઇજાગ્રસ્ત જાહેર થાય તો તેણે સાત દિવસ સુધી બહાર રહેવું પડશે. મેચ દરમિયાન આ પ્રકારે ઘાયલ થયેલો ક્રિકેટર ઇજાગ્રસ્ત જાહેર થાય તો તેણે સાત દિવસના લઘુત્તમ સમયગાળા સુધી બહાર રહેવું પડશે. આઇસીસીની મેડિકલ સલાહકાર સમિતિએ આ ફેરફાર સૂચવ્યો હતો. આ નિર્ણય ખેલાડીની સુરક્ષા તથા સુખાકારી માટે લેવામાં આવ્યો છે તેમ આઇસીસીએ જણાવ્યું હતું.
ICYMI, the International Cricket Council have made multiple changes to the playing conditions across formats 🏏https://t.co/FbvZnuLbRs
— ICC (@ICC) June 28, 2025
આઇસીસીએ એમ પણ જણાવ્યું હતું કે આ બે નવા નિયમો ઓક્ટોબર ૨૦૨૫થી ટેસ્ટ રમતા આઇસીસીના સંપૂર્ણ સદસ્ય ક્રિકેટ બોર્ડ માટે પ્રાયોગિક રહેશે. જેમાં વાઇડ બોલ માટેના નવા નિયમોનો પણ સમાવેશ થાય છે. હવેથી વાઇડ બોલ જાહેર કરવા માટે બોલ ફેંકાવાના સમયે બેટરના પગની પોઝિશનને ધ્યાનમાં રાખીને વાઇડ બોલ જાહેર કરાશે. બોલ ફેંકાયા બાદ બેટર ઓફ સાઇડમાં બહાર ચાલ્યો જશે તો પણ તેની અગાઉની પોઝિશન મુજબ અમ્પાયર વાઇડ અંગે નિર્ણય લેશે.
આ નિયમ બોલરના લાભ માટે ધ્યાનમાં રાખવામાં આવ્યો છે કેમ કે સાઉથ આળિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર અને આઇસીસીની મીડિયા સમિતિના પ્રતિનિધી શોન પોલોકે આ વર્ષના પ્રારંભમાં જાહેર કર્યું હતું કે ક્રિકેટની આ વૈશ્વિક સંચાલન સંસ્થા બોલર્સને વાઇડ બોલ અંગે રાહત આપવા માટે કાંઈક વિચારી રહી છે.ડોમેસ્ટિક ક્રિકેટમાં અન્ય એક નિયમનો ટ્રાયલ થનારો છે. જ્યાં કોઈ ખેલાડી ઇલેવન જાહેર થયા બાદ ગંભીર રીતે ઘાયલ થાય તો તેના માટે ટીમ રિપ્લેસમેન્ટની જાહેરાત કરી શકશે. આઇસીસીએ જણાવ્યું હતું કે કોઈ ખેલાડી ટીમની જાહેરાત થયા બાદ ગંભીર રીતે ઘાયલ થાય (ટોસ બાદ વોર્મ અપ દરમિયાન થાય તો પણ) તેવા સંજોગોમાં ટીમ બાકીની મેચ દરમિયાન તેના જેવા જ બીજા ખેલાડીની નિયુક્તિ કરી શકશે.SS1