Western Times News

Gujarati News

અમદાવાદમાં  ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’માં પૌષ્ટિક આહારના પગલે બાળકોના વજન અને ઊંચાઈમાં હકારાત્મક ફેરફાર

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫: બે શાળાઓમાં અભ્યાસ હાથ ધરાયો- ૧ હજારથી વધુ બાળકોનું વજન સરેરાશ ૧.૧૫ કિ.ગ્રા વધ્યું- ઊંચાઈમાં ૧.૬૭ સે.મીનો વધારો

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાથમિક શાળાનાં બાળકોને પૌષ્ટિક આહાર પૂરો પાડવા હકારાત્મક અભિગમ અપનાવી  સમગ્ર રાજ્યમાં ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ ગત વર્ષના ડિસેમ્બર માસથી અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત સપ્તાહના સાતેય દિવસે  શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલા  પ્રાર્થના સમયે એક સમાન જથ્થો અને કેલેરી ધરાવતો પૌષ્ટિક આહાર આપવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન એક અભ્યાસ હાથ ધરાયો હતો. શહેરની બે શાળાના ધોરણ -૧થી ૮માં ભણતાં ૧ હજારથી વધુ બાળકોના વજન અને ઊંચાઈ મપાયા હતા. ગત વર્ષના(૨૦૨૪) ઓક્ટોબર માસની સાપેક્ષે હાલના વજન- ઊંચાઈ મપાતા  પ્રત્યેક બાળકનું વજન સરેરાશ ૧.૧૫ કિ.ગ્રા વધ્યું હોવાનું તથા  ઊંચાઈમાં ૧.૬૭ સે.મીનો વધારો થયાનું જણાયું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ૨૦૦૩થી શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવના ૨૩મા ચરણનો રાજ્યવ્યાપી કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ ગામે ગામે ફરી બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત અનેક હકારાત્મક બાબતો ધ્યાને આવી છે.

રાજ્યમાં પી.એમ. પોષણ યોજના હેઠળ આવરી લેવાયેલા  સરકારી અને ગ્રાન્ટ ઈન-એઈડ શાળાઓના બાલવાટિકાથી ધોરણ-૮ સુધીના  અંદાજિત સરેરાશ ૪૧ લાખ જેટલા  વિદ્યાર્થીઓને  બપોરના ગુણવત્તાયુક્ત  ભોજન ઉપરાંત  ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ હેઠળ  શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલા  પ્રાર્થના સમયે એક સમાન જથ્થો અને કેલેરી ધરાવતો પૌષ્ટિક આહાર આપવામાં આવે છે.  આ યોજના અંતર્ગત સોમવાર, બુધવાર અને શનિવારે સુખડી- (ખાંડેલા સીંગદાણા સહિતની ઘઉં અથવા સ્થાનિક શ્રીઅન્ન-મીલેટ), મંગળવાર, ગુરુવાર તથા શુક્રવારે  ચણા ચાટ/ મિક્ષ કઠોળ ચાટ/ સ્થાનિક અન્ય ઉત્પાદિત કઠોળ ચાટ (સીંગદાણા સહિત)  આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત અમદાવાદ શહેરની  પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનાં વજન અને ઊંચાઈમાં હકારાત્મક ફેરફાર જોવા મળ્યો છે.

મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરના હાંસોલ પ્રાથમિક શાળા તથા સુભાષબ્રીજ વિસ્તારમાં કેશવનગર પ્રાથમિક શાળામાં ‘શાળા પ્રવેશોત્સવ’ યોજવામાં આવ્યો હતો. શ્રીમતી અવંતિકા સિંઘે ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ અંતર્ગત બાળકોને અપાતા પૌષ્ટિક આહારના પરિણામો ચકાસવા સૂચના આપી હતી. તેના પગલે બાળકોના વજન અને ઊંચાઈ અંગે તપાસ કરાઈ હતી.

શહેરની અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત  બે પૈકી હાંસોલ પ્રાથમિક શાળાની વાત કરીએ તો ધોરણ ૧થી ૮ના કુલ ૬૫૩ વિદ્યાર્થીઓમાં વજન ૧.૧૫ કિ.ગ્રા વધ્યું છે અને ઊંચાઈમાં ૧.૬૭ સે.મીનો વધારો થયો છે. જ્યારે કેશવનગર પ્રાથમિક શાળાના ૩૯૮ વિદ્યાર્થીઓમાં  સરેરાશ ૧ કિલો વજન વધ્યું છે, જ્યારે ઊંચાઈમાં સરેરાશ ૧ સે.મીનો વધારો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રીએ ૨૦૦૩માં શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારે  ડ્રોપ આઉટ રેટ ૩૫ ટકા જેટલો હતો તે ઘટાડીને ૦.૮૫ ટકા એટલે કે ૧ ટકાથી પણ નીચે લઈ જવામાં સફળતા મળી છે.  રાજ્ય સરકારે શાળામાં પ્રવેશ લેનાર બાળકો અભ્યાસ છોડી ન દે તેની પૂરતી કાળજી લીધી છે. પરિવારની આર્થિક તકલીફને કારણે અભ્યાસમાં અગવડ ન થાય તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાથી સરકાર આવા બાળકોની પડખે ઊભી રહે છે. વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં આવે તેની દરકાર પણ સરકારે લીધી છે.  આ અભિગમને સાર્થક કરવા  ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ મહત્ત્વનું પીઠબળ પુરવાર થઈ છે.

વિશેષ અહેવાલ: હિમાંશુ ઉપાધ્યાય


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.