૧૪૮ મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં થયું વધુ એક અંગદાન

અંગદાનની સાથે મળ્યું ત્વચાનું પણ દાન-અત્યાર સુધી સિવિલ હોસ્પિટલ સ્કીન બેંકને મળ્યા કુલ ૨૧ ત્વચાના દાન
અમરેલીના પરસોત્તમભાઇ જીવરાજભાઇ વેકરોયાના અંગદાન થી એક લીવર, બે આંખો અને ચામડીનું એમ ૪ અંગ પેશીઓનું દાન મળ્યુ
સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આજે ૧૯૭ મું અંગદાન થયું છે. ધારી, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ત્રંબકપુર ગામના વતની એવા પરસોત્તમભાઇ વેકરોયાને તેમના રોજીંદા કામ થી ધારી થી અમરેલી જતા રસ્તામાં પડી જવાથી મગજમાં હેમરેજ થતા પ્રથમ તેમને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ અમરેલી હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ તા.૨૨.૦૬.૨૫ ના રોજ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ લાવવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૨૬.૦૬.૨૫ ના રોજ ડોક્ટરોએ પરસોત્તમભાઇ વેકરોયા ને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇન ડેડ પરીસ્થિતિ અને અંગદાન વિશે કાઉન્સેલિંગ કરતા તેમના ધર્મપત્ની જયાબેન તથા હાજર તમામ પરીવારજનોએ પરસોત્તમભાઇ વેકરોયા ના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી.
બ્રેઇનડેડ પરસોત્તમભાઇ વેકરોયા ના અંગદાનથી મળેલ એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આ સાથે પરસોત્તમભાઇ વેકરોયા ની બે આંખો તેમજ ત્વચાનું પણ દાન મળેલ જેમાંથી બે આંખો સિવિલ કેમ્પસમાં જ આવેલી એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી તેમજ મળેલ ચામડી નું દાન સિવિલ હોસ્પિટલની સ્કીન બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૯૭ અંગદાતાઓ થકી કુલ ૬૪૫ અંગો નું દાન મળેલ છે. જેમાં ૧૭૨ – લીવર, ૩૫૮ – કીડની, ૧૩ – સ્વાદુપિંડ, ૬૨ – હ્રદય, ૩૨ – ફેફસા, ૦૬ – હાથ, ૦૨- નાના આંતરડા નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિવિલ હોસ્પીટલ સ્કીન બેંક ને અત્યાર સુધી માં ૨૧ જેટલી ચામડીનુ પણ દાન મળ્યુ છે.
ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા ની પૂર્વ સંધ્યા એ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં થયેલ ૧૯૭ માં અંગદાન સાથે હાથ દિન સુધી ૬૨૬ જેટલા લોકોને નવી જિંદગી આપણે આપી શક્યા છીએ તેમ ડૉ. જોષીએ ઉમેર્યુ હતુ.