AI171ની ફ્લાઈટના ક્રૂ સભ્યોને હૃદયદ્રાવક શ્રદ્ધાંજલિ આપતાં સહકર્મીઓ ભાવુક બન્યાં

અમદાવાદ 28-06-2025, પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનારા એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 ના 12 ક્રૂ સભ્યોને તેમના સહકર્મી સાથીદારોએ હૃદયદ્રાવક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. એક ‘પરિવાર’ ની જેમ રહેતાં સહકર્મીઓ અને મિત્રોએ એરલાઈનના હેડક્વાર્ટર પર આ દુર્ઘટના પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં મૃતક ક્રૂ સભ્યોનું આબેહૂબ ચિત્ર બનાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સન આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અત્યંત ભાવુક થયા હતા. તેમણે ગળગળા થઈને કહ્યું હતું કે, “આપણે જે અનુભવીએ છીએ તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતુ નથી. આપણે દરેક આ નુકસાન સહન કરીશું. પણ આપણે સાથે મળીને આપણા સહકર્મીઓની યાદોને જાળવી રાખી તેમની સેવા અને તેમના જુસ્સાનું સન્માન કરતાં આગળ વધીશું.”
ત્યારબાદ AI171ના ક્રૂ સભ્યો સાથે ઉડાન ભરનારા તેમના સાથી મિત્રો (સહકર્મીઓ) દ્વારા વ્યક્તિગત રૂપે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 30 વર્ષ સુધી સેવા આપનારા ફ્લાઈટના કમાન્ડર કેપ્ટન સુમિત સભરવાલ તેમની ફ્લાઈઠ સ્કૂલના ઉપનામ “સેડ સેક” તરીકે ઓળખાતા હતા. આ નામ તેમના મિત્રોમાં મજાકનું કેન્દ્ર બન્યું હતું. કારણકે, તેઓ તણાવની ઘડીમાં પણ આત્મવિશ્વાસ સાથે શાંત અને હસતાં રહેતાં. તેઓ કોઈની સાથે હરીફાઈ કરતા નહોતા. તેઓ તમામને માન આપતાં હતાં. કેપ્ટન સુમિત માત્ર યુનિફોર્મ પહેરતાં નહોતાં, તેઓ તેને ગૌરવપૂર્ણ રીતે ભજવતા પણ હતાં.
26 વર્ષીય ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદરને તેમના સહપાઠીએ યાદ કર્યા હતાં. તે તેના માટે સહકર્મીથી પણ અધિક હતાં. સહકર્મીએ લાગણીના આવેશમાં આવી જણાવ્યું હતું કે, તે ભાઈની જેમ રહેતો હતો. પૃથ્વીના આકાશ પરથી તેણે સ્વર્ગના આકાશમાં ઉડાન ભરી હતી. તેને ક્યારેય ભૂલી શકાશે નહીં.
કેબિન ક્રૂની વાર્તાઓ ખૂબ કરુણ હતી. કેબિન સુપરવાઇઝર શ્રદ્ધા ધવનની એક મિત્ર, જે તેને બંને એરલાઇનમાં જોડાયા તે પહેલાંથી ઓળખતી હતી. તેણે પાતાની સખીના સમર્પણની યાદો રજૂ કરી હતી. “ફ્લાઈટ બાદ ગમે તેટલા થાકેલા હોઈએ, શ્રદ્ધા પહેલા તેના યુનિફોર્મને ઇસ્ત્રી કરતી અને આગામી સેક્ટર માટે તૈયાર રાખતી. ભલે ગમે તેટલી મુશ્કેલથી મુશ્કેલ ફ્લાઇટ્સ હોય, તે હંમેશા આકર્ષક સ્મિત સાથે પોતાની ફરજો બજાવતી હતી.”
મિત્રોએ મૈથિલી પાટિલને એક ધાર્મિક મહિલા તરીકે યાદ કર્યા હતાં. જે હંમેશા પોતાની ફ્લાઇટ્સમાં ભગવાન કૃષ્ણની પ્રતિમા અને ભગવદ ગીતા સાથે રાખતી હતી. તેઓએ નગન્થોઈ શર્મા કોંગબ્રૈલાટપમ વિશે પણ વાત કરી હતી.
જેણે તેની બહેનની લંડનની ફ્લાઈટ વિશે ઉત્સાહપૂર્વક મેસેજ આપી 15 જૂને પાછા ફરવાનું વચન આપ્યું હતું. દરેક શ્રદ્ધાંજલિ દિપક પાઠક અને અપર્ણા મહાડિક જેવા અનુભવી ક્રૂ સભ્યોથી માંડી ઇરફાન શેખ, લમનુન્થેમ સિંગસન, સૈનિતા ચક્રવર્તી, રોશની સોંઘરે અને મનીષા થાપા જેવા ફ્રેશર્સ ક્રૂ સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વખતે તેમના પ્રોફેશનલિઝમ, જુસ્સા અને કરૂણાને યાદ કરવામાં આવ્યા હતાં.
સૈનિતાની એક સહકર્મી મિત્રે જણાવ્યું હતું કે, અમારા માટે એરક્રાફ્ટ એક મશીન નથી. અમારૂ બીજુ ઘર છે. એર ઈન્ડિયા ફેમિલી માટે અને જે સમુદાયોમાંથી આવેલા ક્રૂ સભ્યોને ગુમાવવાનું દુઃખ અપાર છે. તેઓ સમર્પણ, દયા, અને આકાશમાં ઉડવાના જુસ્સાની યાદો છોડી ગયા છે.