Western Times News

Gujarati News

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ ત્રીજો દિવસ

વન અને પર્યાવરણ મંત્રાલય ગાંધીનગરના અગ્ર સચિવશ્રી સંજીવ કુમાર દ્વારા વાવોલ પ્રાથમિક શાળા ખાતેથી બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવાયો

શાળામાં મેળવેલ પ્રાથમિક જ્ઞાન આગળની કારકિર્દી ઘડતરમાં ખૂબ જ માર્ગદર્શક તથા મહત્વનો ભાગ ભજવે છે -અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ના ત્રીજા દિવસે વન અને પર્યાવરણ મંત્રાલય ગાંધીનગર ના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમારે ગાંધીનગર તાલુકાના વાવોલ ગામની શ્રી એમ બી પટેલ સાર્વજનિક વિદ્યાલય ખાતેથી બાલવાટિકા, ધોરણ-૧ અને ધોરણ-૯ના બાળકોને શૈક્ષણિક કીટ ભેટ આપીને હોંશભેર પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે સંબોધન કરતાં અગ્ર સચિવ શ્રી સંજીવ કુમારે જણાવ્યું હતું કે, રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આજે આ પરંપરાને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે. રાજ્યની સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના હેતુથી મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સની શરૂઆત કરાવવામાં આવી છે. જેનો હેતુ ઉચ્ચ ગુણવત્તાયુકત સર્વગ્રાહી શિક્ષણ આપવાનો છે.

સાથે જ તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આપ તમામ વિવિધ વિષય સાથે સ્નાતક અનુસ્નાતક બની રાજ્યકક્ષા નેશનલ કક્ષાની પરીક્ષાઓ પાસ કરી ઉત્તમ નોકરી મેળવો તેવી શુભેચ્છાઓ.

સાથે જ ગુજરાતમાં જે રીતે વિકાસની ગતિ જોવા મળી રહે છે તે પ્રમાણે જોતા રોજગારીની તકો અહીં મોટા પ્રમાણમાં છે, ત્યારે દરેક વિદ્યાર્થી ભણી ગણીને ખુબ સારી પોસ્ટ પર નિમણૂક મેળવે તે માટે દરેકે અત્યારથી જ મહેનત કરવી પડશે. કારણ કે ધોરણ 1 થી 10 સુધીમાં મેળવેલ પ્રાથમિક જ્ઞાન એ જ આગળ જતા કારકિર્દી ઘડતરમાં ખૂબ જ માર્ગદર્શક તથા લાભદાયક સાબિત થાય છે.

આ તકે અગ્ર સચિવ શ્રી સહિતના મહાનુભાવોના વરદહસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને વિવિધ સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ અગ્ર સચિવશ્રીએ શાળાના વર્ગ ખંડોની મુલાકાત લઈને શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે અગ્ર સચિવ શ્રી સાથે વાવોલના અગ્રણી તથા ગાંધીનગર જિલ્લાના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, પ્રગતિ મંડળ વાવોલના ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ રાઠોડ સહિત ગામના અગ્રણીઓ તથા શાળાના આચાર્યશ્રી શિક્ષકો અને વાલીઓ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.