અમિત શાહ ગુજરાતમાં રોકાશે અને રાજકીય બેઠક કરશે?

કદાચ વિસાવદરમાં પક્ષની હાર કેમ થઈ એનો તાગ મેળવવા માટે પણ આ બેઠક હોઈ શકે હોં!
કેન્દ્ર સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તા.૨૭મીએ અમદાવાદમાં યોજાયેલી રથયાત્રામાં પ્રસંગે વહેલી સવારે કુટુંબ સાથે હાજર રહીને જગદીશ મંદિરમાં મંગળા આરતી કરી હતી.
એવુ સંભળાય છે અમિત શાહ શુક્રવાર ઉપરાંત શનિ-રવિ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરીને પક્ષીય બેઠક કરીને કંઈક રાજકીય ચર્ચા કરવાનાં છે. આ બેઠક શેની માટે હશે અને તેનો એજન્ડા શું હશે?
તેની તો કોઈ વાત બહાર નથી આવી પણ પક્ષના કાર્યકરો તેમાં કદાચ પક્ષના સંગઠનનાં માળખાની કે પ્રધાનમંડળમા ફેરફારની શક્યતા જુએ છે. કદાચ વિસાવદરમાં પક્ષની હાર કેમ થઈ એનો તાગ મેળવવા માટે પણ આ બેઠક હોઈ શકે હોં!
રાજકોટના પૂર્વ મેયર જનક કોટકની વેદનાભરી નારાજગી
૧૯૭૫ થી ૧૯૭૭ દરમિયાન તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન ‘મેઈન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યોરિટી એકટ'(મીસા)હેઠળ અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ એક્ટ હેઠળ ભારતીય જનતા પક્ષના પૂર્વ સ્વરૂપ જનસંઘથી રાજકોટમાં ભારતીય જનતા પક્ષના અડીખમ નેતા રહેલાં અને રાજકોટનાં મેયરપદે સેવા આપી ચૂકેલા તથા કટોકટી વખતે જેલ ભોગવી ચૂકેલા જનક કોટકની પણ ધરપકડ કરવામાં આવી હતી.
કટોકટી સ્થાપના દિને કોટકે એવો ઉકળાટ વ્યક્ત કર્યો હતો કે રાજકોટના આજનાં ભા.જ.પ.ના કહેવાતા આગેવાનો મીસાવાસીઓનુ (એટલે કે કટોકટી વખતે જેલમાં ગયેલા લોકોનું)જરા પણ માન જાળવતા નથી
.વળી કોટકે ઉમેર્યું કે ભા.જ.પ.ના હાલના સત્તાધીશો બરાબર કામ કરતા નથી તેને કારણે પક્ષની આબરૂ ખરાબ થાય છે.કટોકટીનો વિરોધ કરનારાઓના સાહસ અને હિંમતનું સન્માન એ કોઈ વ્યક્તિનું નહીં પણ વિચારધારાનું સન્માન છે એમ માનતા જનક કોટક મીસાવાસીઓને વર્તમાન શાસકો માન નથી આપતા એ અંગે ઉંડા દુઃખની લાગણી અનુભવે છે.
જનક કોટક જણાવે છે કે અત્યારે પક્ષમાં હરામી અને ઝેરીલા લોકો આવી ગયા છે, રાજકોટ ભા.જ.પ.ખોટા માર્ગે જાય છે.અમે પાર્ટી માટે સંઘર્ષ કર્યો છે અને કરતા રહીશું.આ બધું જનક કોટકે ‘અહેવાલ’ના મેનેજિંગ તંત્રી સુરેશ પરમારને એક મુલાકાત વખતે જણાવ્યું છે.
ટોક ઓફ ધ સ્ટેટ બનેલા ગોપાલ ઈટાલીયા સીંગલ પેરેન્ટ બોય છે
તાજેતરમાં યોજાયેલી વીસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયાની ચર્ચા આજ ચોમેર થઈ રહી છે ત્યારે આ વ્યક્તિની એક (પ્રમાણમાં અજાણી રહી ગયેલી) વાત અહીં કરવી છે.
ગોપાલ ઈટાલીયા સીંગલ પેરેન્ટ બોય છે.તેમના પિતા ગોરધન ઇટાલિયા અને માતા ગોપાલના નાનપણથી અરસસપરસના મતભેદોવસાત છુટાં પડી ગયા હતા તેને કારણે ગોપાલનો ઉછેર તેમની માતાએ પોતાના પીયર (અને ગોપાળના મોસાળ)ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં રહીને કર્યો છે.
ગોપાળને તેમની માતા પ્રત્યે અપરિમિત આદર છે.તેમનુ પ્રાથમિક શિક્ષણ ટીંબીમાં અને માધ્યમિક શિક્ષણ ધોળામાં થયું.બાળપણમા ગોપાળે ખેતરમાં મજુર તરીકે પણ કામ કર્યું છે.એ રીતે કહીએ તો ગોપાલ કપરા સંઘર્ષમાંથી પસાર થઇને પોલીસ કોન્સ્ટેબલ અને મહેસુલી કારકૂન તરીકેની નોકરી કરી અને સમાજ સેવા માટે જરૂર પડ્યે એ નોકરીને લાત મારી માત્ર ૩૫ વર્ષની ઉંમરે રાજકારણમાં સફળ થયેલી વ્યક્તિ છે.
રથયાત્રા દરમિયાન દેખાયું કે હર્ષ સંઘવી ભરપૂર લોકપ્રિય થઈ રહ્યા છે
ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તા.૨૭ જુનના રોજ અમદાવાદમાં યોજાયેલી રથયાત્રા દરમિયાન પગે ચાલતા નીકળ્યા ત્યારે લોકોએ તેમને મળવાની અને તેમની સાથે હસ્તધૂનન કરવા માટે પડાપડી કરી કરી હતી.
વિરોધ પક્ષના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રથયાત્રા દરમિયાન સંઘવીનુ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.એવું કહેવાય છે કે હર્ષ સંઘવી કેન્દ્રનાં ગૃહ મંત્રી અમિત શાહની ખૂબ નજીક છે!અને તેમને રાજકીય રીતે મોટા નેતૃત્વ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.
સાચુ શું છે એની ખબર તો કોઈને ન પડે પણ વાસ્તવિકતા એ છે કે ગુજરાતનાં પ્રધાનમંડળમાં હાલ મુખ્યમંત્રી પછી સૌથી વધુ ખાતાઓ હર્ષ સંઘવી પાસે છે.સંઘવી હાલ ૮ ખાતાઓનો સ્વતંત્ર હવાલો સંભાળી રહ્યા છે અને ૩ ખાતાં તેઓ રાજ્યકક્ષાનાં મંત્રી તરીકે સંભાળી રહ્યા છે.સચિવાલયમા થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો સ્થિતિ એવી છે કે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હોવા છતાં આખું ગૃહ ખાતું જાણે તેઓ જ ચલાવતા હોય એવી છે.
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની દિવ્યાંગ બાળક પ્રત્યેની સંવેદનશીલતા
ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પાંડુરંગ શાસ્ત્રીની સત્સંગ પરંપરામાં ઉછરેરા છે.તેથી અન્ય રાજકારણી કરતા થોડા વધારે સંવેદનશીલ છે.તેમની એ સંવેદનશીલતાને પ્રતિબિંબિત કરતો એક કિસ્સો બહાર આવ્યો છે.
વિગત એવી છે કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ઉજવાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે વેરાવળની ‘પે સેન્ટર શાળા’ ખાતે યોજાયેલા પ્રવેશોત્સવ વખતે ધોરણ-૧માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી શુભમ હરેશ ભાઈ વાયલુ પ્રત્યે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ બાળક સાથે બાળક જેવા બની તેની સાથે ફોટો પડાવ્યો હતો અને ચોકલેટ આપી હેત વરસાવ્યું હતું.
આ અંગેની હકીકત એવી છે કે વેરાવળનો શુભમ સાંભળવામાં તકલીફ ધરાવતો દિવ્યાંગ બાળક છે, પરંતુ થોડા સમય પહેલા તેનું સરકારી ખર્ચે કોક્લીયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું છે.
આ ઇમ્પ્લાન્ટથી બાળક સાંભળતું થાય છે અને સાંભળવાના કારણે તે ધીરે ધીરે બોલતું પણ થાય છે. પ્રવેશોત્સવ વખતે અસહજતા અનુભવતા શુભમને જોઈને મંત્રી પાનસેરિયાએ તેને ખાસ પોતાની પાસે સ્ટેજ પર બોલાવ્યો હતો અને તેને ચોકલેટ આપીને તેનામાં આત્મવિશ્વાસ પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો હતો.