તરભ વાળીનાથ મંદિરની દાનપેટી તોડી તસ્કરો ૭૫ થી ૮૦ હજાર ચોરી ગયા

એક વ્યક્તિ સીસીટીવી ફૂટેજમાં દેખાયો
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામે માલધારી સમાજ સહિત ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર વાળીનાથ મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે
મહેસાણા,વિસનગર તાલુકાના તરભ ગામે વાળીનાથ મંદિરના ગર્ભગૃહની સામે ખુલ્લામાં મુકેલી દાનપેટીનું લોક તોડીને તસ્કરો રૂ.૭૫થી ૮૦ હજાર જેટલી રોકડ રકમ ચોરી જતાં ભક્તોમાં રોષ ફેલાયો છે. આ બાબતે વિસનગર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામે માલધારી સમાજ સહિત ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર વાળીનાથ મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિર લાખો લોકોની આસ્થા સાથે જોડાયેલું છે.આ મંદિરમાં ચોરીની ઘટના બની છે.
મંદિરના મુખ્ય મંદિરના ગર્ભગૃહની સામે ખુલ્લામાં મુકેલી લાકડાની દાનપેટીના એક નાના દરવાજાનું લોક તૂટેલું હોવાનું શનિવારે સવારે મંદિરના પૂજારી રતનભાઈ રાવલના ધ્યાને આવતાં તેમણે વહીવટની સેવા આપતા પીલુદરાના ગાંડાભાઈ ઉર્ફે વિહાભાઈ રબારીને જાણ કરી હતી.ગાંડાભાઈએ મંદિરમાં જઈને તપાસ કરતાં દાનપેટીમાંથી ચોરી થઈ હોવાનું જણાતાં તેમણે નજીકમાંથી અન્ય સેવા આપનાર દેણપના અમીતભાઈ રબારી, તરભના વાઘજીભાઈ રબારી, રુડાભાઈ રબારી વગેરેને જાણ કરી હતી.
બધાએ મળીને તપાસ કરતાં દાનપેટીમાંથી આશરે રૂ.૭૫થી ૮૦ હજાર જેટલી રકમની ચોરી થઈ હોવાનું જણાયું હતું. જેથી વિસનગર તાલુકા પોલીસને જાણ કરાઈ હતી અને મંદિરમાં લગાવેલા સીસીટીવીના ફૂટેજ ચેક કરતાં રાત્રે ૨-૩૦થી ૪-૩૦ વાગ્યા દરમિયાન એક વ્યક્તિ મંદિરમાં આવતો દેખાયો હતો. આ બાબતે ગાંડાભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી વિસનગર તાલુકા પોલીસે સીસી ટીવીના આધારે તસ્કરોને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે.ss1