Western Times News

Gujarati News

PTC કોલેજોમાં પ્રવેશ પૂરા થયા પણ મેરિટ યાદી જાહેર ન કરાતાં વિવાદ

EWS સહિતની કેટેગરીમાં પ્રવેશમાં ધાંધિયા થયાની ફરિયાદો

કોલેજોએ પોતાની રીતે વિદ્યાર્થીઓને ફોન કરીને બોલાવીને પ્રવેશ આપી દીધા પણ મેરિટ યાદી જાહેર કરી નથી

અમદાવાદ,રાજયમાં પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે પીટીસી કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા બાદ જુદી જુદી કોલેજોએ ફાળવેલા પ્રવેશની ચકાસણી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચકાસણી પુરી થયા પછી પણ હજુ સુધી કોલેજ કક્ષાએ કે પ્રાથમિક શિક્ષણની વેબસાઇટ પર પણ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલા પ્રવેશની યાદી જાહેર કરવામાં આવી નથી. જેના કારણે પીટીસી પ્રવેશમાં મેરિટની અવગણના થઇ હોવાની આશંકા વાલીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.રાજયમાં એક સમયે પીટીસીમાં પ્રવેશ માટે લાખો રૂપિયાનું ડોનેશન લેવામાં આવતું હતુ.

જોકે, આડેધડ કોલેજોને મંજુરી આપવાના કારણે અને પ્રાથમિક શિક્ષણમાં ભરતી ઓછી થવાના કારણે પીટીસી કરેલા હજારો યુવકોને નોકરી ન મળતાં પીટીસીના વળતાં પાણી થયા હતા. આગામી એક દાયકામાં પ્રાથિોમક શિક્ષણમાં મોટાપાયે શિક્ષકોની ભરતી થવાની છે તેવી ચર્ચા અને જાહેરાતોના કારણે ફરીવાર ધો.૧૨ પાસ કરેલા વિદ્યાર્થીઓ અન્ય કોર્સ કરવા કરતાં સરકારી નોકરી મળતી હોય તેવા આશયથી પીટીસી કરવા તરફ વળ્યા છે. જેના કારણે ચાલુવર્ષે પીટીસી પ્રવેશમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જે તે સમયે પીટીસી કોલેજોમાં ધસારો રહેતો હોવાથી કેન્દ્રીયકૃત પ્રવેશ પધ્ધતિ લાગુ કરવામાં આવી હતી. જોકે, ધીમે ધીમે પીટીસીમાં વિદ્યાર્થીઓ જ મળતાં નહોવાથી પ્રવેશની પ્રક્રિયા જે તે કોલેજોને સોંપી દેવામાં આવી હતી.

આમ, હાલમાં કોલેજ દ્વારા મેરિટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની કામગીરી કરવામાં આવી છે. તાજેતરમાં કોલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવી મેરિટના આધારે પ્રવેશ ફાળવી દીધો છે. જોકે, એકપણ કોલેજ દ્વારા પોતાની બેઠકો પર કયા કયા અને કેટલા મેરિટ ધરાવતાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેની યાદી જાહેર કરી નથી. જે વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો હોય તેમને સીધા ફોન કરીને ફી ભરવા માટેની સૂચના આપવામાં આવી હતી. એટલે કે જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે તેને ખબર છે પરંતુ તેની સાથે અથવા તો આગળ પાછળ કેટલું મેરિટ ધરાવતાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે અથવા તો જે તે કોલેજમાં છેલ્લો પ્રવેશ કેટલા મેરિટ સાથે અટકયો છે તેની કોઇ વિગતો કોલેજોમાં જાહેર કરવામાં આવી નથી.

તાજેતરમાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પણ ગ્રાન્ટેડ કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યો છે તેની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. હાલમાં ચકાસણીની કામગીરી પુરી થઇ ચુકી છે છતાં વિદ્યાર્થીઓનું મેરિટ જાહેર કરવામાં આવ્યું નથી. હાલની સ્થિતિમાં ૩૫ ગ્રાન્ટેડ, ૪ સરકારી, ૮ ડાયેટ અને ૪૯ સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ૧૦ હજાર જેટલી બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવી રહ્યો છે.રાજયની કેટલીક પીટીસી કોલેજોમાં EWS કેટેગરીમાં પ્રવેશ આપવામાં ધાંધિયા અને મેરિટની અવગણના થઇ હોવાની ફરિયાદો પણ બહાર આવી છે.

તાજેતરમાં અમદાવાદની એક પીટીસી કોલેજમાં વિદ્યાર્થીને ફોન કરીને EWS કેટેગરીમાં પ્રવેશ મળ્યો હોવાનું જણાવીને ફી ભરવા માટે બોલાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થી ફી ભરવા માટે આવ્યો ત્યારે તેને કહેવામાં આવ્યું કે તારો મેરિટમાં નંબર નથી માટે પ્રવેશ મળશે નહી. આમ, EWS કેટગરીમાં કેટલા અને કઇ રીતે પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તે અંગે કોઇ સ્પષ્ટતાં કરવામાં આવી નથી. તાકીદે પીટીસી કોલેજોમાં અપાયેલા પ્રવેશની મેરિટયાદી જાહેર કરીને કઇ કેટેગરીમાં કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેની જાહેરાત થવી જોઇએ તેવી માંગણી પણ વાલીઓમાં ઉઠવા પામી છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.