અમદાવાદ સિવિલમાં 7 મહીનામાં 500 દર્દીઓની લિથોટ્રીપ્સીથી પથરીની પેઇનલેસ સારવાર કરાઇ

લિથોટ્રીપ્સી શરુ થયાના 7 મહીના માં 5૦૦ દર્દીઓની કિડની તેમજ પેશાબની નળીમાં રહેલી પથરીને કોઈ પણ કાપા વિના સર્જરી વગર દૂર કરાઈ
ખાનગી હોસ્પિટલમાં અંદાજે ₹. ૧૦થી ૧૫ હજારના ખર્ચે થતી લિથોટ્રીપ્સી ટ્રીટમેન્ટ સિવિલ હોસ્પિટલમાં નજીવા દરે અને આયુષ્માન કાર્ડ હેઠળ સંપૂર્ણપણે નિ:શુલ્ક ઉપલબ્ધ: ડૉ. રાકેશ જોષી, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ
તમને પથરી ની તકલીફ હોય તો એક વાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવીને યુરોલોજી વિભાગમાં ડૉક્ટરને જરૂરથી બતાવજો.
સિવિલ હોસ્પિટલ ના યુરોલોજી વિભાગ ના વડા ડો. શ્રેણિક શાહે વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે, સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગ દ્વારા છેલ્લા 7 મહીના માં લિથોટ્રિપ્સીથી ઓપરેશન વગર 5૦૦ દર્દીઓની કિડની તેમજ પેશાબની નળીમાં રહેલી પથરી દૂર કરવામાં આવી. તમામ દર્દીઓ પીડારહિત સામાન્ય જીવનશૈલીમાં પાછા ફર્યા છે.
જેમાં 84 % દર્દીઓમાં પ્રથમ પ્રયાસે જ સંપૂર્ણપણે પથરી દૂર થઇ. 16 % કિસ્સામાં બે વાર લીથોટ્રીપ્સી કરી પથરી દૂર કરવામાં આવી. જેમાં ૩ વર્ષથી લઇ ૮૦ વર્ષ સુધીના દર્દીઓની પથરીની તકલીફ દૂર કરાઇ. આ 500 દર્દીઓમાં 340 પુરુષ દર્દી તેમજ 160 સ્ત્રી દર્દીનો સમાવેશ થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 145 દર્દીઓમાં 10 mm (મિલીમીટર) સાઇઝની, 200 દર્દીઓમાં પથરીની સાઇઝ ૧૦થી ૧૫ mm તેમજ 155 દર્દીઓ એવા હતા જેમની પથરીની સાઇઝ ૧૫ mm કરતાં પણ વધારે હતી.
કુલ 5૦૦ દર્દીઓમાંથી 240 દર્દીઓમાં પથરી કીડનીમાં હતી, જ્યારે 135 દર્દીમાં મૂત્રવાહિનીના શરૂઆતના ઉપરના પેલ્વીસના ભાગમાં તથા 125 દર્દીઓમાં પથરી મૂત્રવાહિનીના ઉપરના ભાગમાં હતી.
આ તમામ 5૦૦ દર્દીઓની સંપૂર્ણપણે પથરી દૂર થઈ છે, તેમ તેમણે જણાવ્યું હતું.
ડો. શ્રેણીક શાહે આ પદ્ધતિથી સારવારના દર્દીઓ માટે ફાયદા વર્ણવતા જણાવ્યુ હતુ કે આ સારવાર માં
* શરીર ઉપર કોઇ કાપો મુકવામાં આવતો નથી.
* દર્દીની તકલીફમાં ઝડપી સુધારો થાય છે અને દર્દીઓ ૧થી ૨ કલાકમાં પોતાની રોજિંદા સામાન્ય ક્રિયાઓ પર પાછા ફરી શકે છે.
* ઓછો દુખાવો, ચેપનું ઓછું જોખમ અને કોઈ મોટી તકલીફ હોતી નથી.
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે,
પ્રાઈવેટ હોસ્પિટલમાં લિથોટ્રીપ્સીની સારવારનો અંદાજિત ખર્ચ જે ₹. ૧૦થી ૧૫ હજાર થાય છે તે સિવિલ હોસ્પિટલમાં ખુબ જ નજીવા દરે અને આયુષ્માન કાર્ડ હેઠળ સંપૂર્ણપણે નિ:શુલ્ક કરવામાં આવે છે. વધુમાં વધુ પથરી ના દર્દીઓ ને સિવિલ હોસ્પિટલ માં ઉપલબ્ધ્ધ આ સેવા નો લાભ લેવા ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ.
કિડ્ની તેમજ મૂત્રમાર્ગમાં રહેલી પથરીની ઓપરેશન વગર સારવાર માટે અમદાવાદ સિવિલ મેડિસિટીની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં આવેલા યુરોલોજી વિભાગમા સંપર્ક કરવાનો રહેશે.