સાણંદ તાલુકામાં ૧૧૨ જેટલી શાળાઓમાં ૩૦૦૦થી વધુ બાળકોનો વિદ્યારંભ

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 અમદાવાદ
રાજ્ય સરકારના અધિકારીઓ, પદાધિકારીઓનું વડીલ વાત્સલ્ય અને શ્રેષ્ઠ શિક્ષણની પ્રેરણા
ગુજરાત રાજ્યમાં શિક્ષણના પાયાને મજબૂત કરવાના ઉમદા હેતુ સાથે આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫નું સાણંદ તાલુકામાં તારીખ ૨૬થી ૨૮મી જૂન, ૨૦૨૫દરમિયાન આયોજન કરવામાં આવ્યું.
આ ત્રણ દિવસીય મહોત્સવ દરમિયાન, સાણંદ તાલુકાની ૧૧૨ જેટલી શાળાઓમાં ૩૦૦૦ થી વધુ બાળકોએ ધોરણ ૧ અને બાલવાટિકામાં પ્રવેશ મેળવી પોતાની શૈક્ષણિક યાત્રાનો શુભારંભ કર્યો હતો.
આ પ્રવેશોત્સવને વધુ યાદગાર બનાવવા માટે, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માનનીય અધ્યક્ષ શ્રી હિમાંજય પાલીવાલ, ટેકનિકલ એજ્યુકેશનના જોઈન્ટ ડિરેક્ટર શ્રી સચિન પરીખ, પ્રાંત અધિકારી શ્રી ડી.બી. ટાંક, જિલ્લા આંકડા અધિકારી શ્રી એન.જી. પટેલ, તાલુકા મામલતદાર શ્રી સી.એલ. સુતરિયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી નીરજ બારોટ અને તાલુકા હેલ્થ ઓફિસર શ્રી બી.કે. વાઘેલા સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્વયં ઉપસ્થિત રહી બાળકોને શાળામાં પ્રવેશ અપાવીને ભૂલકાંઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ અધિકારીઓએ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય અને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી, જે તાલુકાના બાળકો માટે સરકારી અધિકારીઓનું વડીલ વાત્સલ્ય બની રહ્યું. શાળા પ્રવેશની સાથે, તેમને શબ્દપુષ્પ રૂપી પ્રેરણા પણ અપાઈ, જે તેમની શૈક્ષણિક યાત્રા માટે એક મજબૂત પાયો બનશે.
આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન સંસ્કૃત બોર્ડના અધ્યક્ષશ્રીએ રાજ્ય સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓ અને તેના આયામો વિશે વિગતે જાણકારી આપી તેમજ જિજ્ઞાસુઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના શૈક્ષણિક અને બાળલક્ષી અભિગમયુક્ત જવાબો આપ્યા.
‘એક પેડ મા કે નામ’ અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રવેશોત્સવની સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. દરેક શાળામાં વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરવામાં આવ્યો અને શૈક્ષણિક ગુણવત્તા વધારવા, શાળામાં બાળકોની નિયમિતતા વધારવા તથા પર્યાવરણની જાળવણી અને લોકભાગીદારી અંગે સંવાદ સાધીને માર્ગદર્શન આપ્યું હતું.
પ્રવેશોત્સવના અંતિમ દિવસે, શ્રી પાલીવાલ સાહેબે ત્રણ દિવસમાં શાળાકીય ઉપલબ્ધિઓ અને ‘ટીમ સાણંદ’ દ્વારા થયેલાં કાર્યોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે આ મહોત્સવ દ્વારા સાણંદ તાલુકાની ૧૧૨ જેટલી શાળામાં ૩૦૦૦થી વધુ બાળકોની શૈક્ષણિક યાત્રાનો વિદ્યારંભ સરકારના મૂલ્યનિષ્ઠ અને અનુભવી એવા સુશિક્ષિત અધિકારીઓના હસ્તે થયો છે, જે ખરેખર પ્રશંસનીય છે. આ કાર્યક્રમ બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધારવા અને વાલીઓમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવવામાં અત્યંત સફળ રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.