ઈન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા) ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો ૪૪મો દીક્ષાંત સમારોહ યોજાયો

ગુજરાતની ધરતી ઉપરથી ઉદ્દભવેલો સહકારિતાનો વિચાર આજે વૈશ્વિક બન્યો છે : શ્રી આચાર્ય દેવવ્રતજી
મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક તથા ૩૨૯ જેટલા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ
:: રાજયપાલશ્રી ::
- ડૉ. વર્ગીસ કુરિયન, ત્રિભુવનદાસ પટેલ અને સરદાર વલ્લભભાઈ પટેલના ગ્રામીણ ઉત્થાનના વિચારો ભારતની સમરસતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે
- સેક્સ–સોર્ટેડ સીમેન ટેક્નોલોજીના કારણે ડેરી ક્ષેત્રનો વિકાસ થશે જે ખેડૂતો – પશુપાલકોની આર્થિક સમૃદ્ધિમાં વધારો કરશે
જ્ઞાનનો ઉપયોગ ‘સ્વ’ ના વિકાસની સાથે સમાજ અને માનવ જાતના કલ્યાણ માટે કરીએ
સહકારિતાના આ વિચારને અનુરૂપ ગુજરાતમાં થઈ રહેલું સહકારિતાનું કાર્ય એ ગ્રામિણ ક્ષેત્રને મજબૂત બનાવવાની સાથે ૨૦૪૭ ના વિકસીત ભારતના સંકલ્પનાને સાકાર કરવામાં બહુમુલ્ય યોગદાન આપશે
આણંદ, શનિવાર: આણંદની ઈન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા) ખાતે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો ૪૪મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી સહિત મહાનુભાવોના વરદહસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક તથા ૩૨૯ જેટલા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઈરમાના સંસ્થાપક ડૉ. વર્ગીસ કુરિયન, ત્રિભુવનદાસ પટેલ અને સરદાર વલ્લભભાઈ પટેલના ગ્રામીણ ઉત્થાન અને સહકારના વિઝનને યાદ કરતાં જણાવ્યું હતુ કે, આ મહાનુભાવોનો ધ્યેય ગ્રામીણ ખેડૂતો અને ગામડાંના લોકોને શહેરી સુખ-સુવિધાઓ અને વિકાસના માર્ગે આગળ લાવવાનો હતો, જે ભારતની સમરસતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
રાજ્યપાલશ્રીએ ગોલ્ડ મેડલ વિજેતાઓ સહિત તમામ ડિગ્રીધારક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં બહુમૂલ્ય યોગદાન આપનાર શિક્ષકો અને પોતાના સપનાઓને બાજુએ મૂકીને બાળકોના શિક્ષણ માટે સમર્પિત માતા-પિતાના ત્યાગને ગૌરવપૂર્વક યાદ કર્યા હતા.
તૈત્તિરીય ઉપનિષદના ઉપદેશનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને સત્ય, ધર્મ અને શિક્ષણના પાલન દ્વારા જ્ઞાનનો પ્રચાર કરવા અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે, સત્ય પ્રકાશની જેમ અંધકારને દૂર કરે છે અને સત્યવાદી જીવન ભય-તણાવથી મુક્ત રાખે છે. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને શુભકર્મ, વિવેક અને બુધ્ધિ કૌશલ્ય દ્વારા તેમણે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ ‘સ્વ’ ના વિકાસની સાથે સમાજ અને માનવજાતના કલ્યાણ માટે કરવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, મનુષ્યનું જીવન ફક્ત રોટી, કપડાં અને મકાન મેળવવા પુરતું નથી. પરંતુ મનુષ્યની ખાસિયત તેની સહિષ્ણુતા, દયા અને પરોપકારમાં છે. જે વ્યક્તિ બીજાના દુ:ખ-સુખને પોતાનું માને, તે જ સાચો મનુષ્ય છે. શિક્ષણનો હેતુ માનવતા અને નૈતિકતા જાગૃત કરવાનો હોવો જોઈએ.
ઈરમા અને NDDBના ગ્રામીણ વિકાસમાં યોગદાનની પ્રશંસા કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સેક્સ-સોર્ટેડ સીમેન ટેક્નોલોજી દ્વારા ડેરી ક્રાંતિને બમણી કરવાની સિદ્ધિની સરાહના કરી, આ ટેક્નોલોજીના કારણે ડેરી ક્ષેત્રનો વિકાસ થશે જે ખેડૂતો – પશુપાલકોની આર્થિક સમૃદ્ધિમાં વધારો કરશે તેમ પણ જણાવ્યું હતું.
ગુજરાતની ધરતી ઉપરથી ઉદ્દભવેલો સહકારિતાનો વિચાર આજે વૈશ્વિક બન્યો છે, તેમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતુ કે, સહકારિતાના આ વિચારને અનુરૂપ ગુજરાતમાં થઈ રહેલું સહકારિતાનું કાર્ય એ ગ્રામિણ ક્ષેત્રને મજબૂત બનાવવાની સાથે ૨૦૪૭ ના વિકસીત ભારતના સંકલ્પનાને સાકાર કરવામાં બહુમુલ્ય યોગદાન આપશે.
રાજ્યપાલશ્રીએ ભારતની પ્રાચીન સમૃદ્ધિને ગામડાંઓની સહકારી અર્થવ્યવસ્થા સાથે જોડતાં કહયું હતું કે, તે સમયના ગ્રામીણ ઉદ્યોગો અને આદાન-પ્રદાનની પ્રણાલીના પરીણામે દેશમાં સોનાની ઉપલબ્ધિ વધી હતી. જેના કારણે ભારતવર્ષ તે સમયમાં ‘‘સોને કી ચીડીયા’’ તરીકે પણ ઓળખાતું હતું.
રાજયપાલશ્રીએ ગ્રામિણ સેક્ટરો અને સહકારિતાના ક્ષેત્રોના વિકાસ ક્ષેત્રે ઈરમાના યોગદાનને બિરદાવતાં ઉમેર્યું હતું કે, સહકારી ભાવનાને પુનર્જન્મ આપવા અને વિકસિત ભારતના નિર્માણમાં ઈરમા-ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની મહત્વની ભૂમિકા રહી છે.
રાજ્યપાલશ્રીએ ગુજરાતમાં સહકારી યુનિવર્સિટીની સ્થાપના દ્વારા ગ્રામીણ ભારતના આર્થિક અને શૈક્ષણિક વિકાસના માર્ગને મોકળો બનાવવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના દૂરોગામી વિઝનની સરાહના કરી હતી.
આ પ્રસંગે ઈરમાના નિર્દેશક ડૉ. ઉમાકાન્ત દાસ એ ઈરમા ખાતે ચાલતા વિવિધ શૈક્ષણિક આયામો, વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ સહિત વિવિધ બાબતોની વિસ્તૃત રૂપરેખા આપી હતી. કાર્યક્રમના પ્રારંભમાં ત્રિભુવન સહકાર યુનિવર્સિટીના કુલપતિ પદ્મશ્રી ડૉ. જે. એમ. વ્યાસે ૪૪ મા દીક્ષાંત સમારોહનો શુભારંભ કરાવ્યો હતો.
ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના ૪૪મા દીક્ષાંત સમારોહમાં સહભાગી થવા આણંદ ખાતે પધારેલા રાજયપાલશ્રીનું સહકાર મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, કુલપતિ પદ્મશ્રી ડૉ. જે. એમ. વ્યાસ સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB)ના અધ્યક્ષ ડૉ. મીનેશ શાહ, એન.ડી.ડી.બી. અને ઈરમાના અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ઇરમાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.