મુમરામાં જઈને કોઈ નથી કહેતું કે, મરાઠીમાં વાત કરો: ત્યાં લોકો માત્ર ઉર્દૂમાં જ વાત કરે છે

મરાઠી વિવાદમાં હિન્દુત્વની એન્ટ્રી: BJPના આ નેતાએ ઠાકરેને ચેલેન્જ આપી
(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રમાં હિન્દી-મરાઠી ભાષા મુદ્દે વિવાદ વધી રહ્યો છે. મરાઠી ભાષાનો મોરચો લઈને કેટલાક નેતાઓ-કાર્યકરો તથા અસામાજિક તત્વો મરાઠી ન બોલવા બદલ લોકોની ધોલાઈ કરી રહ્યા હોવાના અનેક બનાવો બની રહ્યા છે.
મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરો દ્વારા એક દુકાનદાર પર મરાઠી ભાષા બોલવા દબાણ કર્યું હતું. તેમજ ન બોલવા પર તેની ધોલાઈ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી નિતેશ રાણેએ જણાવ્યું કે, આ ઘટનાના દોષિતોને સજા મળશે. જેમણે પણ હિન્દુઓ પર હાથ ઉગામ્યો છે, તેમની વિરૂદ્ધ અમારી સરકાર કામ કરશે અને સજા અપાવશે. ઠાકરે બ્રધર્સ પર પ્રહાર કરતાં રાણેએ કહ્યું કે, તેમણે ભાષાના નામ પર ગરીબ હિન્દુઓ પર હુમલો કર્યો છે. ઠાકરે બંધુઓને મારો પડકાર છે કે, તેઓ મુસ્લિમો પાસે મરાઠીમાં અજાન પઢાવે.
આ પ્રકારની તાકાત બતાવી જ હોય તો તેમણે નલ બજાર, ભિંડી બજાર, મોહમ્મદ અલી રોડ, બમ્બોરામાં જવુ જોઈએ. ત્યાંના લોકો મરાઠીમાં વાત કરતા નથી. તેઓ તો માત્ર ઉર્દૂમાં જ વાત કરે છે. રાણેએ આગળ કહ્યું કે, મુમરામાં જઈને કોઈ નથી કહેતું કે, મરાઠીમાં વાત કરો. મુમરા પણ આપણા મહારાષ્ટ્રમાં જ છે. શું તે પાકિસ્તાનમાં છે?
જાવેદ અખ્તરને પણ કોઈ નથી કહેતું કે, તમે સ્ટેજ પર મરાઠીમાં શાયરી બોલો. ત્યારે બધા ચૂપ રહે છે. તો પછી હિન્દુઓને શા માટે ટાર્ગેટ કરી રહ્યા છે. ગરીબ હિન્દુઓને કેમ માર મારી રહ્યા છો. આવા લોકોને કેમ ખુલ્લા મુકવામાં આવ્યા છે? મહારાષ્ટ્રમાં ભાષા પર થઈ રહેલી રાજનીતિનો મુદ્દો વિવાદાસ્પદ બન્યો છે.