સિને એમ્પલોય્ઝ ફેડરેશને દિલજિત પરનો પ્રતિબંધ હટાવ્યો

મુંબઈ, જ્યારથી દિલજિત ‘સરદારજી ૩’માં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર સાથે કામ કરી રહ્યો હોવાના અહેવાલો આવ્યા હતાં, ત્યારથી દિલજિતનો ઘણો વિરોધ થઈ રહ્યો હતો. ભારતે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મુક્યો હોવાથી ભારતમાં તેની ફિલ્મ રિલીઝ પણ થઈ શકી નહોતી.
છતાં તેણે વિદેશમાં આ ફિલ્મ રિલીઝ કરતાં દિલજિતને ‘બોર્ડર ૨’માંથી હટાવી દેવાયો હોવાના અહેવાલો હતા. આ વિવાદો વચ્ચે બે દિવસ પહેલાં દિલજિતે ‘બોર્ડર ૨’ માટેના એક ગીતના શૂટિંગ દરમિયાનનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાે હતો. જેમાં બેકગ્રાઉન્ડમાં ‘બોર્ડર’નું યાદગાર ગીત ‘સંદેસે આતે હેં’ પણ વાગતું હતું. દિલજિત એરફોર્સના યુનિફોર્મમાં દેખાતો હતો.
આમ આ વીડિયો દ્વારા તેણે તે હજુ પણ ફિલ્મમાં હોવાની વાત જાહેર કરી હતી. હવે એવા અહેવાલો છે કે દિલજિત પર ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોય્ઝ દ્વારા મુકવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવાયો છે. અગાઉ તેમણે દિલજિત સામે અસહકારની જાહેરાત કરી હતી.
ફ્વાઇસના પ્રેસિડેન્ટ બી એન તિવારીએ કહ્યું કે પ્રોડ્યુસર ભુષણ કુમારે વ્યક્તિગત રીતે ફેડરેશનને વિનંતિ કરી હતી કે તેઓ દિલજિતને આ ફિલ્મ માટે શૂટ કરવાની મંજુરી આપે. તેમણે કહ્યું,“હા, અમે આ ફિલ્મ માટે પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે.”જોકે, આ નિર્ણય ફેડરેશનના સભ્યોની સંમતિથી જ લેવાયો છે.
આ અંગે ફ્વાઇસ સાથે જોડાયેલા ફિલ્મ મેકર અશોક પંડિતે જણાવ્યું,“અમારો દિલજિત સામેનો અસહકાર યથાવત છે. ભવિષ્યમાં તેની સાથે કામ કરવા માગતા બધાં જ આ બાબતે તૈયાર રહે.
પછી જો તેમને આર્થિક નુકસાની ભોગવવી પડશે તો તેના માટે ફડરેશન જવાબદાર રહેશે નહીં.”આનંદ પંડિતે સ્વીકાર્યું કે ‘બોર્ડર ૨’માં કોઈ પાકિસ્તાની કલાકાર નથી. સાથે તેમની એવી પણ દલીલ હતી કે આ ફિલ્મ દેશભક્તિ પ્રકારની ફિલ્મ છે, જેના કેન્દ્રમાં ભારતની સેનાઓ છે, તેથી દિલજિત માટે પાકિસ્તાની કલાકાર સાથેની ફિલ્મનો મુદ્દો વધુ સંવેદનશીલ બની જાય છે.
ફ્વાઇસ દ્વારા અગાઉ દિલજિત પર પ્રતિબંધ મુકીને ફિલ્મ મેકર્સને દિલજિત સાથે સંબંધો કાપી નાખવા અપીલ કરાઈ હતી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું, “જો તમે તેની સાથે સંકળાશો તો એ દર્શાવશે કે તમે દેશહિતનો ઊંડો વિરોધ ધરાવો છો. કલાતામક અને વ્યાપારી બાબતો દેશભક્તિની ભાવનાથી વિશેષ નથી. આપણી ઇન્ડસ્ટ્રી અને દેશ માટેનું માન સર્વાેચ્ચ હોવું જોઈએ.”SS1MS