બેંક ઓફ ઈન્ડિયાના અધિકૃત વેલ્યુઅરે કાવતરૂ રચી રૂ.૪.પ૪ કરોડની નકલી સોના પર લોન અપાવી ઠગાઈ કરી

પ્રતિકાત્મક
૩૭ ગોલ્ડ લોનધારકો સામે ફરિયાદ નોંધાવતા બાવલુ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી-નકલી ગોલ્ડના આધારે લોન લઈ કરોડોની ઠગાઈ
મહેસાણા, કડીના મેડા આદરજ ગામમાં આવેલી બેન્ક ઓફ ઈન્ડિયામાં દોઢ વર્ષ અગાઉ બેન્કના પેનલ ગોલ્ડ વેલ્યુઅરે નકલી ગોલ્ડને સાચું ગણી વેલ્યુએશન સર્ટિ. આપી ૩૭ લોકોને ગોલ્ડ લોન અપાવી રૂ.૪.પ૪ કરોડની બેન્ક સાથે છેતરપિંડી આચરી હતી. આ લોન ધારકો પૈકી બેમાં હપ્તા ન ભરાતાં રિકવરી અર્થે ગોલ્ડનું પુનઃમૂલ્યાંકન કરતા ભાંડો ફૂટયો હતો. આ અંગે બેન્કની ઝોનલ ઓફીસના ચીફ મેનેજરે ફરિયાદ નોંધાવી હતી.
કેસની વિગત અનુસાર કડી મેડા આદરજમાં આવેલી બેન્ક ઓફ ઈન્ડિયામાં દોઢ વર્ષ અગાઉ કડીના થોળ ગામમાં રહેતા મૌલિન દિનાશભાઈ સોનીને ગોલ્ડ લોન આપવા માટે લોન લેનાર સંભવિત લોકોની હાજરીમાં ગોલ્ડની અધિકૃતતા, શુધ્ધતા અને વજનનું મૂલ્યાંકન કરવા અધિકૃત ગોલ્ડ વેલ્યુઅર તરીકે પેનલમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ અધિકૃત ગોલ્ડ વેલ્યુઅરના વેલ્યુએશન પ્રમાણપત્રના આધારે બેન્ક ગોલ્ડ ઉપર ધિરાણ આપતી હતી.
આ ગોલ્ડ વેલ્યુઅર મૌલિન દિનાશભાઈ સોની પોતે નકલી ગોલ્ડ હોવાનું જાણતા હોવા છતાં અંદાજે ૩૭ જેટલા ગોલ્ડ લોન માટે ઈચ્છુક લોકો પાસે અરજી કરાવડાવી હતી અને ખોટું વેલ્યુએશન પ્રમાણપત્ર આપી બેન્ક ઓફ ઈન્ડીયામાંથી ગોલ્ડ લોન અપાવી હતી. દરમિયાન ગોલ્ડ લોન લેનારમાંથી બે ડિફોલ્ટર જાહેર થતાં બેન્કે રિકવરી કરવા સારૂ ગીરવે મૂકેલા સોનાના દાગીનાનું વૈકÂલ્પક એમ્પેનલ્ડ વેલ્યુઅર દ્વારા પુનઃ મૂલ્યાંકન કરાવતા ભાંડો ફૂટયો હતો.
જેમાં ગોલ્ડ લોન માટે બેન્કને આપેલું ગોલ્ડ નકલી હોવાનું જણાઈ આવતા આ શાખાના તમામ પ૮ ગોલ્ડ લોન ખાતાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ઉપરોકત પૈકી ૩૭ ગોલ્ડ લોન લેનારાઓ દ્વારા રાખવામાં આવેલા પ૪ એકાઉન્ટની તપાસ કરાતા કોઈ પણ પ્રમાણભૂત અને શુદ્ધતા વિનાનું બનાવટી ગોલ્ડ હોવાનું જણાઈ આવતા બેન્કને રૂ.૪.પ૪ કરોડનું આર્થિક નુકસાન થયું હતું.
આ અંગે ગાંધીનગર સ્થિત બેન્ક ઓફ ઈન્ડિયાની ઝોનલ ઓફીસના ચીફ મેનેજર સંજીવ સકસેનાએ બેન્ક સાથે આર્થિક છેતરપિંડી કરનાર બેન્કના અધિકૃત ગોલ્ડ વેલ્યુઅર મૌલિન દિનાશભાઈ સોની તેમજ ૩૭ ગોલ્ડ લોનધારકો સામે ફરિયાદ નોંધાવતા બાવલુ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આરોપીઓ ઃ મૌલિન દિનશભાઈ સોની – વેલ્યુઅર (થોળ, તા.કડી), મગનજી શંભુજી ઠાકોર, ક્રિષ્નાબેન મગનજી ઠાકોર (બંને રહે. મેડા આદરજ, તા.કડી), સુજલ રાયમલભાઈ દેસાઈ (મૂલાસણા તા.કડી, જિ. ગાંધીનગર), ધરમશી ધુલાજી ઠાકોર, અર્જુન જયંતીજી ઠાકોર, કનુજી જોઈતાજી ઠાકોર (ત્રણેય રહે. કડી), ભાવેશજી માણકાજી ઠાકોર, રતનજી મંગાજી ઠાકોર,
દિપકજી હમુજી ઠાકોર, નટુજી રામાજી ઠાકોર, વાસંતીબેન નટુજી ઠાકોર, રેસમા દશરથજી ઠાકોર, શેલેષ ગાભાજી ઠાકોર, ચેતનજી બાબુજી ઠાકોર, ગફુરજી બાબુજી ઠાકોર, રોહિતજી જીવણજી ઠાકોર, પિન્ટુજી અમરતજી ઠાકોર, સુનિલજી ગીરીશજી ઠાકોર, સુશીલ પ્રયાગભાઈ ચંદ્રવંશી, વિશાલ જગાનંદનભાઈ ઉપાધ્યાય, અક્ષયકુમાર રોહિતભાઈ રાવળ (તમામ ૧પ રહે. થોળ તા. કડી) હરેશકુમાર જગદેવજી ઠાકોર, નટવરજી ઈશ્વરજી ઠાકોર (બંને રહે. બાવલુ તા.કડી), અનિકેત અમૃતભાઈ રાવળ, અતુલકુમાર વિષ્ણુસિંહ ઠાકોર (બંને રહે. નદાણ,તા.કડી),
પ્રતાપજી ડાહ્યાજી ઠાકોર, વિક્રમજી ભીખાજી ઠાકોર, વિજય ગાભાજી ઠાકોર (ત્રણેય રહે. વડાવી તા.કડી), રાહુલ રમેશભાઈ રાવળ (કણજરી તા.કડી), વિપુલજી ગણપતજી ઠાકોર, વિશાલજી વિક્રમજી ઠાકોર, સંજય રુમાલજી ઠાકોર, અજયજી રૂમાલજી ઠાકોર તેમજ પિન્ટુજી જયંતીજી ઠાકોર (તમામ પાંચેય ઝાલોડા તા.કડી), રાજેશ અમરસંગ ઠાકોર (આંબલીયારા તા.કડી), મુકેશ દિનાજી ઠાકોર (કણજરી, તા.કડી), અલ્પેશજી સતિષજી ઠાકોર (રાંચરડા તા.કલોલ જિ. ગાંધીનગર) નો સમાવેશ થાય છે.