ભારત-ચીનના મતભેદો ઘર્ષણમાં તબદીલ ના થવા જોઈએ

બેઈજિંગ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ બોમ્બને કારણે વિશ્વમાં પ્રવર્તી રહેલી આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ચીનમાં બે દિવસના શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સંમેલનનું આયોજન કરાયું છે.
અમેરિકાની આક્રમક વેપાર નીતિ સામે ટક્કર લેવા તથા વૈશ્વિક ઉત્પાદન તથા સપ્લાય ચેઈનને સ્થિર બનાવવા સહિતના મુદ્દે આ બેઠક અત્યંત મહત્વની બની રહેશે.
૨૦૨૦માં ગલવાન ખીણમાં બંને દેશો વચ્ચે થયેલાં ઘર્ષણ બાદ ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર પ્રથમ વખત આ સંમેલનમાં ભાગ લેવા ચીનની મુલાકાતે પહોંચ્યાં છે.ચીનના બે દિવસના સત્તાવાર પ્રવાસે પહોંચેલા વિદેશમંત્રી એસ. જયશંકરે બંને દેશો વચ્ચેના વેપાર સહિતના સંબંધોને સામાન્ય બનાવવા તથા આતંકવાદ મુદ્દે ભારતની ઝીરો ટોલરન્સની નીતિ પર ભાર મુક્યો હતો.
ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથેની મુલાકાતમાં જયશંકરે જણાવ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચેના મતભેદો વિવાદમાં તબદીલ ના થવા જોઈએ. ચીનના વિદેશમંત્રીએ પણ ભારત સાથે સહયોગ વધારવાની અને સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બંને દેશોએ સરહદ સંબંધિત વિવાદોનો ઉકેલ લાવવા માટે વાટાઘાટો કરતાં રહેવું જોઈએ.
આ ઉપરાંત વેપારને લગતાં નિયંત્રણાત્મક પગલાં અને અવરોધો દૂર કરી બંને દેશો વચ્ચેની હરીફાઈ ઘર્ષણનું સ્વરૂપ ના લે તેનું ધ્યાન રાખવું જોઈએ. પારસ્પારિક સન્માન, હિત અને સંવેદનશીલતાના આધારે જ બંને દેશો વચ્ચેનું જોડાણ મજબૂત બની શકે છે. જયશંકરે જણાવ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચેના સારા સંબંધો માત્ર બે દેશો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે લાભદાયી છે.
જયશંકરે ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે પણ મંત્રણા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય દ્વિપક્ષીય સંબંધોથી જ પારસ્પારિક લાભકારક પરિણામો હાંસલ થશે. ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે સંબંધો સામાન્ય કરવા તથા સરહદ પરનો તણાવ ઘટાડવા માટે છેલ્લાં નવ મહિનાથી દ્વીપક્ષીય મંત્રણાઓ ચાલી રહી છે.
આ મંત્રણાઓના ભાગરૂપે બંને દેશોએ ઘર્ષણ થાય તેવા સ્થળોએથી પોતાના સૈનિકો હટાવી લીધાં છે, જોકે સરહદ પરથી સંપૂર્ણ સૈન્ય હટાવાયું નથી. પૂર્વીય લદાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (વાસ્તવિક નિયંત્રણ રેખા) પર બંને દેશોના આશરે ૫૦-૬૦,૦૦૦ સૈનિકો તૈનાત છે.
ભારતીય વિદેશ મંત્રાલયે જયશંકર અને વાંગ વચ્ચેની મંત્રણાને રચનાત્મક અને ભવિષ્યલક્ષી ગણાવી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બંને દેશો એકબીજાના દેશમાં આવાગમન માટે ડાયરેક્ટ ફ્લાઈટ કનેક્ટિવિટી સહિતના વધારાના પગલાં લેવા પણ સહમત થયાં છે.
આ ઉપરાંત જયશંકરે મંત્રણા દરમિયાન ચીન તરફથી હાઈડ્રોલોજિકલ ડેટા ઉપલબ્ધ બનાવવાનું પુનઃ શરૂ કરવા સહિત બંને દેશોમાંથી પસાર થતી નદીઓ મુદ્દે પણ સહકાર સાધવાની બાબત પર ભાર મુક્યો હતો.
જયશંકરે જણાવ્યું હતું કે, ઓક્ટોબર, ૨૦૨૪માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાત બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ક્રમશઃ હકારાત્મક દિશામાં આગળ વધી રહ્યાં છે. આપણી જવાબદારી આ ગતિને જાળવી રાખવાની છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી અને જિનપિંગ વચ્ચે ગત ૨૩ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ રશિયાના કઝાનમાં મુલાકાત થઈ હતી.SS1MS